ઘટોત્કચ
From Wikipedia, the free encyclopedia
ઘટોત્કચ (સંસ્કૃતઃ घटोत्कचः) મહાભારતનું એક પાત્ર છે જે ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. ઘટોત્કચ એક મહાન પરાક્રમી યોદ્ધા હતો. માતા રાક્ષસી હોવાને લીધે તે અનેક માયવી વિદ્યા પણ જાણતો હતો. સંસ્કૃતમાં ઘટ એટલે ઘડો અને ઉત્કચ એટલે માથું, જન્મ સમયે તેનું માથુ ઘટ (ઘડા) જેવુ હતું તેથી તેનું નામ ઘટોત્કચ રાખવામા આવ્યું.[1]
ઘટોત્કચ બાળપણમાં તેની માતા સાથે રહ્યો. એક વખત બાળપણમાં તે તેના પિતરાઈ અભિમન્યુને ન ઓળખવાને લીધે તેની સાથે યુદ્ધ કરી બેઠો હતો.[2] ઘટોત્કચની ગણના એક પ્રમાણિક અને નમ્ર પાત્ર તરીકે થાય છે. જ્યારે પણ જરૂર પડતી ત્યારે તે હંમેશા પોતાને અને પોતાના અનુચરોને ભીમની સેવા માટે ઉપલબ્ધ રાખતો. ભીમે તેને બોલાવવા માત્ર તેને યાદ જ કરવો પડતો અને તે હાજર થઈ જતો. તેના પિતાની જેમ જ ઘટોત્કચ પણ ગદાથી જ યુદ્ધ કરતો.
તેની પત્નીનું નામ અહીલવતી હતું અને પુત્રનું નામ બર્બરીક હતું. મહાભારતમાં ભીમે ઘટોત્કચને કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોના પક્ષે લડવા માટે બોલાવ્યો હતો. પોતાની માયાવી શક્તિના પ્રતાપે ઘટોત્કચ કૌરવોની સેનામાં કાળો કેર વર્તાવે છે. ખાસ કરીને જયદ્રથનાં મૃત્યુ પછી જ્યારે યુદ્ધ સૂર્યાસ્ત પછી ચાલુ હતું ત્યારે (રાત્રે) તેની શક્તિઓ ખૂબ ઉપયોગી થઈ પડી. આવી પરિસ્થિતીમાં કૌરવ નેતા દુર્યોધને તેના સર્વોત્કૃષ્ટ યોદ્ધા કર્ણને ઘટોત્કચનો વધ કરવાની વિનંતિ કરી કેમ કે ઘટોત્કચે હવાઈ આક્રમણ દ્વારા સમગ્ર કૌરવ સૈન્યને વિનાશને આરે લાવી મૂક્યું હતું. કર્ણ પાસે ઈંદ્ર દેવ પાસેથી મેળવેલું દિવ્ય અમોઘ અસ્ત્ર હતું- જેનો ઉપયોગ તે માત્ર એક જ વખત કરી શકતો. તેના મહાશત્રુ પાંડવ યોદ્ધા અર્જુન સાથેના યુદ્ધમાં વાપરવા તેણે તે બચાવી રાખ્યું હતું. પોતાના પરમમિત્ર દુર્યોધન જેને વફાદાર રહેવાની તેણે પ્રતિજ્ઞા કરી હતી તેની વિનંતિને તે ના ન પાડી શક્યો. છેવટે તેણે તે અમોઘ અસ્ર ઘટોત્કચ પર છોડ્યું અને તેને મારી નાખ્યો. આ ઘટનાને યુદ્ધની દિશા પરિવર્તક ગણવામાં આવે છે. ઘટોત્કચના મૃત્યુ પછી પાંડવોના માર્ગદર્શક કૃષ્ણ હસ્યા કેમકે હવે કર્ણ પાસે અર્જુન સામે લડવા કોઈ દિવ્ય અસ્ત્ર ન હોતાં યુદ્ધનું પરિણામ પાંડવોના પક્ષમાં નક્કી જ હતું.