![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c7/Ahalya.jpg/640px-Ahalya.jpg&w=640&q=50)
અહલ્યા
હિંદુ ધર્મમાં ગૌતમ મહર્ષિની પત્ની / From Wikipedia, the free encyclopedia
અહલ્યા અથવા અહિલ્યા (સંસ્કૃત: अहल्या) મહર્ષિ ગૌતમની પત્ની હતી. ઘણાં હિંદુ શાસ્ત્રો પ્રમાણે તેણીને ઇન્દ્રએ લલચાવી હતી, જેના કારણે તેણીના પતિએ શ્રાપ આપ્યો હતો અને વિષ્ણુના સાતમા અવતારમાં રામે આ શ્રાપથી મુક્ત કરાવી હતી.
અહલ્યા | |
---|---|
પંચકન્યાના સભ્ય | |
![]() અહલ્યા : રાજા રવિ વર્માનું તૈલચિત્ર. (૧૮૪૮–૧૯૦૬) | |
અન્ય નામો | અહિલ્યા |
જોડાણો | ઋષિ (સાધુ), પંચકન્યા |
રહેઠાણ | ગૌતમનો આશ્રમ |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | ગૌતમ ઋષિ |
બાળકો | શતાનંદ (રામાયણ અનુસાર) |
ભગવાન બ્રહ્મા દ્વારા સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્મિત અહલ્યાએ ઉંમરમાં ઘણા મોટા ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યા હતા. પ્રારંભિક સંપૂર્ણ કથામાં જ્યારે ઇન્દ્ર તેના પતિના વેશમાં આવે છે ત્યારે અહલ્યા તેના વેશપલટાને જુએ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારે છે. પાછળના સ્રોતો ઘણી વાર તેને બધા જ અપરાધભાવથી મુક્ત કરે છે અને વર્ણવે છે કે તે કેવી રીતે ઇન્દ્રની ચાલાકીનો શિકાર બને છે.[સંદર્ભ આપો]
તમામ કથાઓમાં અહલ્યા અને ઇન્દ્રને ગૌતમનો શ્રાપ આપવામાં આવ્યો છે. શ્રાપ દરેક લખાણમાં બદલાય છે, પરંતુ લગભગ તમામ સંસ્કરણોમાં રામને તેમના ઉદ્ધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે.[સંદર્ભ આપો] જો કે પ્રારંભિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી રીતે અહલ્યા વિશ્વથી અદૃશ્ય રહીને કઠોર તપસ્યા કરીને પ્રાયશ્ચિત્ત કરે છે અને કેવી રીતે રામ દ્વારા આતિથ્ય-સત્કાર આપીને તેને શુદ્ધ કરવામાં આવે છે, પરંતુ સમય જતાં વિકસિત થયેલા લોકપ્રિય પુનઃકથનમાં અહલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપવામાં આવે છે અને રામના ચરણસ્પર્શ કર્યા પછી તે પોતાનું માનવ સ્વરૂપ પાછું મેળવે છે.
ઇન્દ્ર દ્વારા અહલ્યાનું પ્રલોભન અને તેના પરિણામો તેના જીવન માટેના તમામ શાસ્ત્રીય સ્રોતોમાં તેની વાર્તાનું કેન્દ્રિય વર્ણન બનાવે છે.[1] જોકે બ્રાહ્મણ ગ્રંથો (ઈ.સ. પૂર્વે ૯મીથી ૬ઠ્ઠી સદી) ઇન્દ્ર સાથેના તેના સંબંધ તરફ ઇશારો કરતા પ્રારંભિક ગ્રંથો છે, પરંતુ ઈ. પૂ. પાંચમીથી ચોથી સદીના હિંદુ મહાકાવ્ય રામાયણ - જેના નાયક રામ છે - તેણે સૌથી પહેલા તેમના લગ્નેતર પ્રણયનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. મધ્યયુગીન કથાકારો ઘણીવાર રામ દ્વારા અહલ્યાની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને ભગવાનની બચાવ કૃપાના પુરાવા તરીકે જોવામાં આવે છે. તેમની વાર્તાને ધર્મગ્રંથોમાં ઘણી વખત ફરીથી રજૂ કરવામાં આવી છે અને આધુનિક યુગની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓમાં તેમજ નૃત્ય અને નાટકમાં પણ તે જીવંત છે. પ્રાચીન વર્ણનો રામકેન્દ્રિત છે, જ્યારે સમકાલીન કથાઓ અહલ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વાર્તાને તેના દૃષ્ટિકોણથી કહે છે. અન્ય પરંપરાઓ તેના બાળકો સાથે સંકળાયેલી છે.
પરંપરાગત હિંદુ ધર્મમાં, અહલ્યાને પંચકન્યા ("પાંચ કુમારિકાઓ")માંની પ્રથમ તરીકે બિરદાવવામાં આવે છે, જે સ્ત્રી પવિત્રતાના આદર્શરૂપ છે, જેના નામનો પાઠ કરવાથી પાપ દૂર થાય છે તેવું માનવામાં આવે છે. જ્યારે કેટલાક તેના પતિ પ્રત્યેની તેની વફાદારી અને શાપ તથા જાતિગત માપદંડોની અવિરત સ્વીકૃતિની પ્રશંસા કરે છે, જ્યારે અન્ય લોકો તેના વ્યભિચારની નિંદા કરે છે.