ભારતીય રાજ્ય From Wikipedia, the free encyclopedia
સિક્કિમ ભારતનું પૂર્વમાં આવેલું રાજ્ય છે જેની સરહદો ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાએલી છે, તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. આ રાજ્યમાં કુલ ૧૧ ભાષાઓને અધિકૃત ભાષા ગણવામાં આવે છે, જેમાં નેપાળી, સિક્કિમી, હિન્દી, લેપ્ચા, તમાંગ, લીમ્બુ, નેવારી, રાઈ, ગુરુન્ગ, મગર, સુંવાર અને અંગ્રેજીનો સમાવેશ થાય છે[2][3]. શાળાઓમાં મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે તેમ જ સરકારી પત્ર, દસ્તાવેજ વગેરેમાં પણ અંગ્રેજી ભાષાનો વપરાશ થાય છે.
સિક્કિમ
सिक्किम | |
---|---|
ભારતમાં સિક્કિમનું સ્થાન (લાલ રંગમાં) | |
સિક્કિમનો નકશો | |
અક્ષાંશ-રેખાંશ (ગંગટોક): 27.33°N 88.62°E | |
દેશ | ભારત |
ભારતસંઘમાં જોડાણ † | ૧૬ મે ૧૯૭૫ |
રાજધાની | ગંગટોક |
મોટું શહેર | ગંગટોક |
જિલ્લાઓ | ૪ |
સરકાર | |
• રાજ્યપાલ | ગંગા પ્રસાદ |
• મુખ્યમંત્રી | પ્રેમ સિંગ તમાંગ (SKM) |
• ધારાસભા | એકગૃહી, (૩૨ બેઠકો) |
• સંસદિય મતક્ષેત્ર | રાજ્ય સભા ૧ લોક સભા ૧ |
• ઉચ્ચ ન્યાયાલય | સિક્કિમ ઉચ્ચ ન્યાયાલય |
વિસ્તાર | |
• કુલ | ૭,૦૯૬ km2 (૨૭૪૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૨૭મો |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૬,૧૦,૫૭૭ |
• ક્રમ | ૨૮મો |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-SK |
HDI | 0.684 (medium) |
HDI રેન્ક | ૭મો (૨૦૦૫) |
સાક્ષરતા | ૭૬.૬% (૭મો) |
અધિકૃત ભાષા | નેપાળી (lingua franca) અંગ્રેજી સિક્કિમીઝ, અને લેપ્ચા (૧૯૭૭ થી) લિંબુ (૧૯૮૧ થી) નેવારી, ગુરુંગ, મગાર, શેરપા, અને તમાંગ (૧૯૯૫ થી) સુંવાર (૧૯૯૬ થી) |
વેબસાઇટ | sikkim.gov.in |
† સિક્કિમના ધારાગૃહે રાજાશાહીનો અંત અને ભારતના બંધારણીય ભાગ તરીકે ભળવાનો ઠરાવ કર્યો એટલે ભારતના બંધારણના ૩૬માં સુધારા દ્વારા સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું. |
"સિક્કિમ" નામ વિષે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત ધારણા એવી છે કે આ શબ્દ લિંબુ ભાષાના બે શબ્દોમાંથી બન્યો છે. લિંબુ ભાષામાં "સુ" એટલે નવું અને "ખિયિમ" એટલે મહેલ કે આવાસ. આ નામ તે રાજ્યના પ્રથમ રાજા ફુન્તસોગ નામગ્યાલ દ્વારા બંધાવવામાં આવેલા મહેલના સંદર્ભે પડ્યું હોવાનું મનાય છે. તિબેટી ભાષામાં સિક્કિમને "ડેનજોંગ" તરીકે ઓળખાય છે. જેનો અર્થ થાય છે "ડાંગરની ખીણ",[4]. ભૂતિયા લોકો આને "બેયુલ ડેમઝોંગ" કહે છે, જેનો અર્થ છે "ડાંગરની ગુપ્ત ખીણ"[5]. સિક્કિમના મૂળ વતની લેપ્ચા લોકો આને "નાયે-માઈ-એલ" કહે છે જેનો અર્થ સ્વર્ગ એવો થાય છે.[5] હિંદુ પૌરાણિક ગ્રંથોમાં સિક્કિમને "ઈન્દ્રકિલ" તરીકે ઓળખાવાયો છે, જેનો અર્થ ભગવાનનું ઉદ્યાન એવો થાય છે.[6]
સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા. તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી.[7] સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સંત પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે.[8] ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સાને દિવ્ય સાક્ષાતકાર થયો, જેમાં તેને દક્ષિણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પાદરી-રાજા બનાવવામાં આવ્યા.[9]
૧૬૭૦માં ફુનત્સોગ નામગ્યાલ પછી તેમનો પુત્ર તેનસંગ નામગ્યાલ ગાદીએ આવ્યો. તેણે સિક્કિમની રાજધાનીને યુસોમથી રાબ્દેનત્સેમાં ખસેડી. ઈ.સ. ૧૭૦૦માં રાજાની સાવકી બહેન(જેને સિક્કિમની ગાદી ન અપાઈ)ની મદદ વડે ભૂતાને સિક્કિમ પર આક્રમણ કર્યું. તેના દસ વર્ષ પછી તિબેટી સેનાઓએ ભૂતાનીને સિક્કિમથી ખદેડી દીધા અને છોગ્યાલને ફરી ગાદીએ બેસાડ્યા. ૧૭૧૭ અને ૧૭૩૩ની વચમાં પશ્ચિમે આવેલા નેપાળ અને પૂર્વે આવેલા ભૂતાન દ્વારા સિક્કિમ પર ઘણાં આક્રમણો થયા. તેવી એક નેપાળી ચડાઈ દરમ્યાન રાજધાની રાબ્દેનત્સેનો ધ્વંસ કરવામાં આવ્યો.[10] ૧૭૯૧માં ગોરખા આક્રમણથી સિક્કિમ અને તિબેટથી બચાવવા માટે ચીને સિક્કિમમાં સૈન્ય મોકલ્યું હતું. ગોરખાઓના પરાજય પછી ચીનના ક્વીંગ રાજવંશનું સિક્કિમ પર નિયંત્રણ રહ્યું.[11]
ભારતમાં અંગ્રેજોનું રાજ સ્થપાતાંં સિક્કિમે તેના દુશ્મન નેપાળ સામે અંગ્રેજો સાથે મિત્રતા કેળવી. નેપાળે સિક્કિમ પર આક્રમણ કરી તરાઈ સહિતના ક્ષેત્ર પર આધિપત્ય મેળવ્યું. આને કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નેપાળ પર આક્રમણ કર્યું અને પરિણામે ૧૮૧૪નું ગોરખા યુદ્ધ થયું.[13] ૧૮૧૭માં નેપાળ અને સિક્કિમ વચ્ચે સંધિ થઈ અને તે અનુસાર નેપાળે પચાવી પાડેલો સિક્કિમનો પ્રદેશ પાછો આપવો પડ્યો. પરંતુ જ્યારે અંગ્રેજોએ સિક્કિમના મોરાંગ પ્રાંતમાં કરવેરો ઉઘરાવવો શરૂ કર્યો ત્યારે સિક્કિમ અને અંગ્રેજોના સંબંધોમાં કડવાશ ઊભી થઈ. ૧૮૪૯માં સર જોસેફ ડાલ્ટન હૂકર અને ડૉ. આર્થર કેમ્પબેલ નામના બે ડોક્ટરોએ (જેઓ અંગ્રેજ સરકારના અંગ્રેજ-સિક્કિમ સંબંધો વિષેના અધિકારીઓ હતા) સિક્કિમમાં ગુપ્તપણે, અનધિકૃત પ્રવેશ કર્યો.[14] સિક્કિમ સરકારે આ બંને ડૉક્ટરોને અટકમાં લીધા. આને કારણે સિક્કિમના અંગ્રેજો સાથેના સંબંધો વધુ વણસ્યા જેને પરિણામે મોરાંગ અને દાર્જીલિંગ જીલ્લાઓને ૧૮૫૩માં બ્રિટિશ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવ્યા. ત્યાર બાદ સિક્કિમનો છોગ્યાલ અંગ્રેજોના નિયંત્રણ હેઠળ માત્ર નામનો જ રાજા રહી ગયો.[15] ૧૮૯૦માં સિક્કિમ અંગ્રેજરક્ષિત રાજ્ય બની ગયું, અને ત્યાર બાદ બીજા ત્રણ દાયકામાં તેણે થોડી વધુ સ્વાયત્તતાઓ મેળવી.[16]
ઇ.સ.૧૯૪૭માં ભારતને સ્વાત્તંત્રતા મળ્યા બાદ સિક્કિમમાં ભારતીય સંઘરાજ્યમાં ન જોડાવું એવો લોકમત આવ્યો. ૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારતરક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધે સ્વાયત્તતા મળી.
૧૯૫૩ રાજ મંડળ સ્થપાયું જેણે છોગ્યાલના આધિપત્ય હેઠળ સંસદીય સરકારના ગઠનની જોગવાઈ કરી. તે સમયે સિક્કિમ નેશનલ કૉંગ્રેસે નવી ચૂંટણી અને સિક્કિમના રાજકારભારમાં વધુ નેપાળી સહભાગની માંગણી કરી. ૧૯૭૩ના સમયના છોગ્યાલ(રાજા) પાલ્દેન થોન્દુપ નામગ્યાલ ખૂબ જ અપ્રિય હતા અને તેમના મહેલની બહાર રમખાણો ફાટી નીકળ્યા અને ભારતીય સંરક્ષણની માંગણી કરવામાં આવી.
૧૯૭૫માં સિક્કિમના વડા પ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરીકે ભેળવી દેવાની વિનંતી કરી. તે જ વર્ષના એપ્રિલ માસમાં ભારતીય સેનાએ ગંગટોકનો કબ્જો મેળવ્યો અને છોગ્યાલના મહેલના સૈનિકોને નિઃશસ્ત્ર કરી દીધા. ત્યાર બાદ એક લોકમત લેવામાં આવ્યો, જેમાં ૯૭.૫ ટકા મતદાતાઓએ રાજાશાહીનો અંત કરી અને ભારતીય સંઘ સાથે જોડાવાની તરફેણ કરી. આ સંમેલનને લોકોની ઈચ્છા અને ભારતીય સંઘની સહમતિથી પ્રેરિત જણાવાયું હતું પણ તેની ચડાઈ, જાતિભેદનો ફાયદો ઉપાડવો, જનમતમાં ગોટાળા જેવી અનેક ટીકાઓ કરવામાં આવી.[17] ૧૬ મે,૧૯૭૫ના દિવસે સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય બન્યું અને રાજાશાહી નાબુદ થઈ.[18] નવા રાજ્યના ઉમેરણ માટે ભારતીય સંસદ દ્વારા સંવિધાનમાં સુધારો કરવામાં આવ્યો. સૌ પ્રથમ ૩૫મા સુધારા હેઠળ સિક્કિમને "સંલગ્ન" રાજ્ય તરીકે ખાસ દરજ્જો અપાયો. ત્યાર બાદ ૩૬મા સુધારા હેઠળ સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો અને સિક્કિમનું રાજ સંવિધાનની પ્રથમ સારણીમાં ઉમેરાયું.[19]
૨૦૦૦ની સાલમાં સત્તરમા કર્મપા ઉરગ્યેન ત્રિનલે દોરજી (જેમને દલાઈ લામાએ માન્યતા આપી અને ચીની સરકારે પણ ટુલ્કુ તરીકે સ્વીકાર્યા) તિબેટથી નાસી છૂટ્યા અને તેમણે સિક્કિમની રુમટેક મઠમાં આશ્રય માગ્યો. આ મુદ્દે ચીની અધિકારીઓ અવઢવમાં હતા. જો તેઓ ભારતનો વિરોધ કરે તો તેઓ સિક્કિમને ભારતનું અંગ ગણે છે એમ સાબિત થાય. ચીન સિક્કિમને ભારતશાસિત સ્વતંત્ર રાજ્ય માનતું હતું. છેવટે ૨૦૦૩માં ચીની સરકારે એ શરતે સિક્કિમને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી કે ભારત સરકાર પણ તિબેટને ચીનનો ભાગ ગણે;[20] અલબત્ત, ૧૯૫૩માં જવાહરલાલ નહેરૂના કાળ દરમ્યાન નવી દિલ્હીએ તિબેટને ચીનનો ભાગ સ્વીકાર્યો હતો.[21] ૨૦૦૩ની આ સમજૂતીને કારણે ભારત ચીન સંબંધોમાં સુધારો આવ્યો,[22] અને ૬ જુલાઈ ૨૦૦૬ના દિવસે સિક્કિમનો નથુલા ઘાટ ભારત-ચીન વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લો મૂકાયો જે ભારત-ચીન વચ્ચે પ્રથમ ખુલ્લી સીમા બની. [23] પ્રાચીન રેશમ માર્ગની એક શાખા માર્ગસમો આ ઘાટ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી બંધ પડ્યો હતો.[23]
૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના દિવસે સિક્કિમમાં ૬.૯ Mwનો ભૂકંપ આવ્યો જેમાં સિક્કિમ, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાનના કુલ ૧૧૬ લોકો મૃત્યુ પામ્યા.[24] એકલા સિક્કિમમાં જ ૬૦ લોકો મૃત્યુ પામ્યા અને ગંગટોક શહેરમાં ભારે નુકસાન થયું.[25]
હિમાલયની પર્વતમાળામાં આવેલા માળા સમાન સિક્કિમ એ મુખ્યત્વે પર્વતીય ભૂક્ષેત્ર ધરાવે છે. રાજ્યના ભૂક્ષેત્રની સમુદ્રસપાટીથી ઊંચાઈ ૨૮૦મી થી લઈને ૮૫૮૬મી જેટલી છે. વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર - કાંચનજંઘા સિક્કિમ અને નેપાળની સરહદે આવેલું છે.[26]. મોટા ભાગનો ભૂભાગ પર્વતીય ઢોળાવ ધરાવતો હોવાથી તે ખેતી માટે અયોગ્ય છે. જોકે અમુક પર્વતીય ઢોળાવોને પગથિયા ખેતરો સ્વરૂપે વિકસાવાયા છે. બરફ ઓગળવાથી વહેતા ઘણાં ઝરણાંઓ રાજ્યના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાંથી વહે છે. આ ઝરણાઓ મળીને તીસ્તા અને રંગીત નામની મુખ્ય નદી અને તેની ઉપનદીઓ બનાવે છે. આ નદીઓ રાજ્યની ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે[27] આ રાજ્યની ત્રીજા ભાગની જમીન જંગલોથી છવાયેલી છે.
સિક્કિમની પૂર્વ, પશ્ચિમ અને ઉતરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં હિમાલયના નીચા શિખરો આવેલા છે. આ દક્ષિણ ભાગમાં વસ્તીની ગીચતા વધુ છે. સિક્કિમમાં ૨૬ શિખરો, ૮૦થી વધુ હિમનદીઓ,[28] ૨૨૭ જેટલા ઊંચાઈ પર આવેલા તળાવો (જેમ કે ત્સોન્ગમો, ગુરુડોન્ગમર અનેખેચોપાલરી), ગરમ પાણીના પાંચ ઝરા અને ૧૦૦થી વધુ નદીઓ અને ઝરણાંઓ આવેલાં છે. રાજ્યના ૮ પર્વતીય ઘાટ તેને તિબેટ, નેપાળ અને ભૂતાન સાથે જોડે છે.[29]
સિક્કિમના ગરમ પાણીના ઝરા તેની વૈદકીય ગુણધર્મો માટે પ્રચલિત છે. અહીં પુર્ચાચુ, યુમથાન્ગ, બોરાન્ગ, રાલાન્ગ, તારમ-ચુ અને યુમી સમડોન્ગ જેવા ગરમ પાણીના ઝરા પ્રખ્યાત છે. નદી કિનારા નજીકના ઝરા વધુ પ્રમાણમાં ગંધક ધરાવે છે; અમુક ઝરા તો હાઈડ્રોજન વાયુ ઉત્સર્જીત કરે છે. .[30]. આ ઝરાઓનું સરાસરી તાપમાન 50 °C (122 °F) જેટલું હોય છે. [31]
સિક્કિમની ટેકરીઓ મોટે ભાગે નીસીઓસ અને શીસ્ટ નામના ખડકોની બનેલી છે, જેને કારણે ઢીલી અને છીછરી કથ્થઈ રંગની ચીકણી માટીનું નિર્માણ થાય છે. આ માટી છીદ્રાળુ હોય છે અને તેમાં મોટા પ્રમાણમાં આયર્ન ઓક્સાઈડ હોય છે. આ માટી ન્યૂટ્રલથી લઈ અમ્લીય હોય છે. તેમાં ઓર્ગેનીક કે ક્ષારોનો અભાવ હોય છે. આ પ્રકારની માટી નીત્ય લીલા અને પાનખર જંગલ ઉગાડે છે. [32]
મોટા ભાગના સિક્કિમમાં પ્રીકેમ્બ્રીયન ખડકો ધરાવે છે, જે તેના શિખરો જેટલાં જૂના નથી. તે ખડકોમાં ફાયલાઈટ હોય છે, વિદારણની તેના પર વધુ અસર થાય છે. આ સાથે રાજ્યમાં પડતા અત્યંત વધારે વરસાદને કારણે ખૂબ વધુ પ્રમાણમાં માટી અને તેમાંના પોષક તત્ત્વોનું ધોવાણ થાય છે. આને કારણે અહીં જમીનનું સ્ખલન ખૂબ થાય છે જેથી મુખ્ય શહેરી ક્ષેત્રોથી અહીંના ગામડાઓ દૂર સુદૂર એકલાં અટૂલા જોવા મળે છે. [33]
સિક્કિમમાં પાંચ ઋતુઓ શિયાળો, ઉનાળો, વસંત, પાનખર અને વર્ષા જોવા મળે છે. અહીં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસું હોય છે. અહીંની આબોહવા દક્ષિણમાં ઉપ વિષુવવૃત્તીયથી લઈને ઉત્તરમાં ટુંડ્રા પ્રકારની છે. સિક્કિમની માનવ વસાહતી પ્રદેશમાં સમશીતોષ્ણ વાતાવરણ હોય છે અને તાપમાન 28 °C (82 °F)થી ઉપર જતું નથી. સિક્કિમનું સરાસરી વાર્ષિક તાપમન લગભગ 18 °C (64 °F) જેટલું છે.
નિયમિત હિમવર્ષા મેળવતું હોય એવું સિક્કિમ ભારતનું એક રાજ્ય છે. અહીંની હિમરેખા ઉત્તરે 6,100 metres (20,000 ft) થી લઈને દક્ષીણે 4,900 metres (16,100 ft) જેટલી છે.[34] ઉત્તર સિક્કિમમાં ટુંડ્ર પ્રકારની આબોહવા લગભગ ચાર મહિના સુધી રહે છે, તે સમય દરમ્યાન રાત્રે ઉષ્ણતામાન 0 °C (32 °F) કરતાં પણ નીચે જતું હોય છે. વાયવ્ય સિક્કિમના પર્વત શિખરો તેની ઉંચાઈને કારણે આખું વર્ષ હિમાચ્છાદિત રહે છે, શિયાળામાં પર્વતો પર તાપમાન −40 °C (−40 °F) જેટલું નીચે જાય છે.
વર્ષા ઋતુમાં અહીં ભૂસ્ખલનનો ભય વધી જાય છે. સિક્કિમમાં એકધારા વરસાદ પડતો રહ્યો હોવાનો ૧૧ દિવસનો રેકોર્ડ છે. શિયાળા અને ઉનાળામાં ધુમ્મસને કારણે વાહનવ્યવહાર કઠીન બને છે.[35]
રાષ્ટ્રીય દિવસ | ૧૬ મે (ભારતસાથે વિલિનીકરણ દિવસ) |
---|---|
રાષ્ટ્રીય પ્રાણી | રાતો પાંડા |
રાષ્ટ્રીય પક્ષી | રાતો તેતર (Blood Pheasant)[36] |
રાષ્ટ્રીય વૃક્ષ | બુરુંશ [37] (રોડડેન્ડ્રન - Rhododendron) |
રાષ્ટ્રીય પુષ્પ | નોબેલ ઓર્ચિડ [38] |
ભારતીય સંવિધાન અનુસાર સિક્કિમમાં સંસદીય પદ્ધતિ ધરાવતી પ્રતિનિધિત્વ લોકશાહી અમલમાં છે. અહીંના લોકો મતાધિકાર ધરાવે છે. સરકારી તંત્ર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે:
૧૯૭૫માં સિક્કિમમાં રાજાશાહીનો અંત આવ્યો ત્યાર બાદ થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બહુમતી મળી. ૧૯૭૯ની કટોકટી પછી સિક્કિમ સંગ્રામ પરિષદ પાર્ટી સત્તા પર આવી અને તેના નેતા નર બહાદૂર ભંડારી મુખ્ય મંત્રી બન્યા. ૧૯૮૪ અને ૧૯૮૯ની ચૂંટણીમાં પણ નર બહાદૂર ભંડારીનો પક્ષ વિજયી રહ્યો. ૧૯૯૪ની ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના પવન કુમાર ચૅમલિંગ સિક્કિમના મુખ્ય મંત્રી બન્યા. તે પછી ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯ એ તમામ ચૂંટણીઓમાં ચૅમલીંગની પાર્ટી સત્તા પર રહી છે.[15][40][41] [42]
હાલના વર્ષોમાં બૃહદ નેપાળ ચળવળ દ્વારા સિક્કિમને નેપાળને સોંપી દેવાની માંગણી થતી રહી છે. આ ચળવળ દ્વારા અંગ્રેજો દ્વારા ૧૯મી અને ૨૦મી સદીમાં જે નેપાળી ભૂમિને પચાવી પડાઈ હતી તેને પાછી નેપાળ હસ્તક કરવાની માગણી પ્રસારિત થઈ છે. ૧૯૫૦ની ભારત નેપાળ મૈત્રી સંધિ દ્વારા ૧૮૧૫ની સુગૌલી સંધિને રદ કરાઈ તે અનુસાર જે ભૂમિ પર સિક્કિમ રાજ્ય છે, તે નેપાળની છે એવો વિચાર આ ચળવળ ધરાવે છે.[43]
સિક્કિમમાં ચાર જીલ્લા આવેલા છે – પૂર્વ સિક્કિમ જિલ્લો, પશ્ચિમ સિક્કિમ જિલ્લો, ઉત્તર સિક્કિમ જિલ્લો અને દક્ષિણ સિક્કિમ જિલ્લો, તેમના જીલ્લા મથક અનુક્રમે ગંગટોક ગ્યાલશીંગ, મંગન અને નામચી છે.[44] આ જિલ્લાઓને ફરી ઉપવિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. પાકયોંગ અને રોંગ્લી એ પૂર્વી જિલ્લાના ઉપવિભાગ છે. સોરેંગ એ પશ્ચિમ જિલ્લાનો ઉપવિભાગ છે. ચુંગથાંગ એ ઉત્તર જિલ્લાનો ઉપવિભાગ છે. રાવોંગ્લા એ પશ્ચિમ જિલ્લાનો ઉપવિભાગ છે. [45]
સિક્કિમના દરેક જિલ્લાની વહીવટની દેખરેખ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલા જિલ્લા કલેક્ટર દ્વારા રાખવામાં આવે છે. જિલ્લાના સર્વ નાગરિક/વસાહતી ક્ષેત્રની દેખરેખ તેની હેઠળ આવે છે. સિક્કિમ રાજ્ય ચીન સાથેની ઘણી સંવેદનશીલ સીમા ધરાવતો હોવાથી, તેનો ઘણો મોટો ભાગ સેનાના નિયંત્રણ હેઠળ આવે છે. ઘણા ક્ષેત્રોમાં વિદેશીઓનો પ્રવેશ નિષેધ છે અથવા તો તે સ્થળોની મુલાકાત લેવા ખાસ પરવાનાની જરૂર પડે છે.[46]
ભારતમાં આવેલા ત્રણ નિવસન-ક્ષેત્રમાંના એક એવા નિમ્ન હિમાલયના નિવસન હોટસ્પોટ પર સિક્કિમ આવેલું છે. અહીંના જંગલ ક્ષેત્રની પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સિક્કિમની પર્વતીય ભૂગોળને કારણે ભૂક્ષેત્ર વિવિધ ઉંચાઈઓ ધરાવે છે, જેને કારણે અહીં ઉષ્ણકટિબંધીયથી લઈ સમષીતોષ્ણ કટિબંધીય અને આલ્પાઈન અને ટુંડ્ર પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. સિક્કિમ વિશ્વની અમુક જગ્યાઓમાંની એક છે જ્યાં આટલા નાના ક્ષેત્રફળમાં આટલી વિવિધતા જોવા મળે છે. સિક્કિમનો ૮૧% ભાગ ત્યાંની સરકારના વનવિભાગ હેઠળ આવે છે.[47]
સિક્કિમ લગભગ ૫૦૦૦ પ્રજાતિના ફૂલોની વિવિધતા ધરાવે છે. તેમાં ૫૧૫ દુર્લભ ઓર્ચિડ, ૬૦ પ્રીમુલા પ્રજાતિના, ૩૬ રોડોડેનડ્રોન, ૧૧ ઑક, ૨૩ વાંસની પ્રજાતિઓ, ૧૬ શંકુદ્રુમ પ્રજાતિઓ, ૩૬૨ પ્રકારની ફર્ન અને એ પ્રકારના, ૮ ફર્ન વૃક્ષો અને ૪૨૪ વૈદકીય વનસ્પતિ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.[49] સ્થાનીય ભાષામાં ક્રિસમસ ફ્લાવર તરીકે ઓળખાતા શંકુદ્રુમ વૃક્ષો અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. બોબલ ડેન્ડ્રોબીયન એ સિક્કિમનું રાજ પુષ્પ છે અને રોડોડેનડ્રોન એ આ રાજ્યનું રાજ વૃક્ષ છે.[50]
સિક્કિમના ઓછી ઊંચાઈ ધરાવતા ક્ષેત્રોમાં આવેલા હિમાલયન ઉપ ઉષ્ણકટિબંધીય પહોળા પાંદડા ધરાવતા વનોમાં ઓર્ચિડ, લોરેલ, કેળાં, સાલ અને વાંસના વૃક્ષો ઉગે છે. 1,500 metres (4,900 ft)થી વધુ ઊંચાઈએ આવેલા ક્ષેત્રોમાં પૂર્વીય હિમાલયન ઉપ ઉષ્ણકટિબંધીય પહોળા પાંદડા ધરાવતા વનો જોવા મળે છે જેમાં ઓક, અખરોટ, મેપલ, બીર્ચ, એલ્ડર, મેગ્નોલિયા જેવા વૃક્ષો જોવા મળે છે તે સાથે હિમાલયન સમષીતોષ્ણ પાઈનના વનોમાં ચીર પાઈન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. 3,500 to 5,000 metres (11,500 to 16,400 ft)ની ઊંચાઈ પર અલ્પાઈન વન્યસૃષ્ટિ જોવા મળે છે. તેમાં નીચેના ક્ષેત્રોમાં જુનીપેર, ફર સાઈપ્રેસ અને રોડોડેનડ્રોન જોવા મળે છે અને ઊંચાઈએ રોડોડેનડ્રોનની અન્ય પ્રજાતિઓ તથા અન્ય જંગલી પુષ્પો ઉગે છે.
સિક્કિમની પ્રાણીસૃષ્ટિમાં હિમ ચિત્તો(સ્નો લેપર્ડ),[51] કસ્તુરી મૃગ, હિમાલયન થાર, લાલ પાંડા, હિમલાન મરમોટ, હિમાલયન સેરૉ, હિમાલયન ગોરલ, મન્ટજેક, લંગૂર, એશિયન કાળા રીંછ, વાદળી ચિત્તા,[52] આરસી બિલાડી (માર્બલ કેટ), લેપર્ડ કેટ,[53] ધોલ, તિબેટી શિયાળ, હોગ બેજર(હિન્દી - બિજ્જૂ), બિન્ટુરોંગ અને હિમાલયન જંગલી બિલાડીનો સમાવેશ થાય છે. આલ્પાઈન ક્ષેત્રોમાં યાક મોટા પ્રમાણમાં મળી આવે છે તેમને દૂધ,માંસ અને ભારે કામ માટે પાળવામાં આવે છે.
સિક્કિમની પક્ષીસૃષ્ટિમાં ઇમ્પેયાન તેતર, રાતો શિંગડાવાળો તેતર, હિમ પાર્ટ્રિજ, તિબેટી હિમ કૂકડો, દાઢીધારી ગીધ અને ગ્રીફોન ગીધ(મહાકાય ગીધ), સોનેરી ગરુડ, કેવ્લ(તેતર), પ્લોવર, જંગલી કૂકડો, સેન્ડ પાઈપર, કબૂતર, પ્રાચીન વિશ્વનું ફ્લાય કેચર, બેબ્લર અને રોબીનનો સમાવેશ થાય છે. સિક્કિમમાં પક્ષીઓની ૫૫૦થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંની અમુક તો લુપ્તપ્રાયઃ ઘોષિત કરાઈ છે.[54]
સિક્કિમ વિશાલ કીટક સૃષ્ટિ ધરાવે છે પણ તેનો પદ્ધતિસર અભ્યાસ થયો નથી. સિક્કિમના સૌથી વધુ પ્રચલિત કીટકો છે પતંગિયાં. ભારતીય ઉપમહાદ્વીપમાં પતંગિયાંની ૧૪૩૮ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંની ૬૯૫ જેટલી સિક્કિમમાં નોંધાઈ છે.[55] જેમાં લુપ્તપ્રાયઃ કૈસરે હિન્દ, યેલો ગોર્ગોન અને ભુતાન ગ્લોરી પણ સામેલ છે. [56]
૨૦૧૨માં સિક્કિમનું થોક સ્થાનીય ઉત્પાદન (Gross Domestic Product -GDP) ૮૪૦૦ કરોડ જેટલું હતું. જે તે સમયના ૨૮ ભારતીય રાજ્યોના થોક ઉત્પાદનમાં ત્રીજું સૌથી ઓછું ઉત્પાદન હતું.[57] સિક્કિમની અર્થવ્યવસ્થા ખેતી આધારીત છે. જેમાં પર્વત પરના ઢોળાવ પર પગથિયાં ખેતર બનાવી તેમાં ચોખા ઉગાડવામાં આવે છે. તે સિવાય રાજ્યમાં મકાઈ, બાજરો, ઘઉં, જવ, સંતરા, ચા અને એલચી પણ ઉગાડવામાં આવે છે. [58][59] ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં સિક્કિમમાં એલચીનું ઉત્પાદન વધુ થાય છે અને અહીં ભારતના કોઈ પણ રાજ્યની સરખામણીએ વધુ ભૂમિ પર એલચી પકવાય છે.[60] સિક્કિમની પર્વતીય ભૂમિ અને નબળા વાહનવ્યવહારની અપલબ્ધિને કારણે અહીં મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસ્યા નથી. દારૂ ગાળણ, ચામડું પકવવું અને ઘડિયાળ બનાવવા જેવા ઉદ્યોગો રાજ્યના દક્ષિણી ભાગમાં આવેલા મેલી અને નોરથાંગમાં વિકસ્યા છે. આ સિવાય સિક્કિમમાં નાના પ્રમાણમાં તાંબુ, ડોલોમાઈટ, ટેલ્ક, ગ્રેફાઈટ, ક્વાર્ટઝાઈટ, કોલસો, સીસું અને જસતનો ખાણ ઉદ્યોગ પણ ચાલે છે. [61] સિક્કિમમાં લઘુત્તમ ઉદ્યોગો હોવા છતાં ૨૦૦૦થી સિક્કિમની અર્થવ્યવસ્થા ભારતની સૌથી વધુ ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા રહી છે. ૨૦૦૭માં જ સિક્કિમનો જીડીપી ૧૩% જેટલો વધ્યો.[62] ૨૦૧૫ સુધીમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતરીત કરવાની સિક્કિમની યોજના છે. [63][64][65][66]
હાલના વર્ષોમાં સિક્કિમ સરકારે પર્યટનનો પ્રચાર પ્રસાર કર્યો છે. આને પરિણામે મધ્ય ૧૯૯૧થી સિક્કિમની આવક ૧૪ ગણી વધી છે.[67] આ સિવાય સિક્કિમ સરકારે ઓનલાઈન અને કેસિનોની ગેમ્બલિંગને પણ પ્રોત્સાહન આપ્યું છે. સિક્કિમનો પ્રથમ કેસિનો માર્ચ ૨૦૦૯માં શરૂ થયો હતો. [68] સિક્કિમ સરકારની પ્લેવીન લોટરી ખૂબ સફળ રહી હતી. [69][70] ઓક્ટોબર ૨૦૦૯માં સિક્કિમ સરકારે ત્રણ ઓનલાઈન સ્પોર્ટ્સ બેટીંગ લાઇસન્સને પરવાનગી આપવાની યોજનાની જાહેરાત કરી છે. [71]
૬ જુલાઈ ૨૦૦૬થી નથુલા ઘાટ ફરી ખોલવામાં આવ્યો જેથી ભારત તિબેટ અને લ્હાસા સાથે સંપર્ક સ્થાપિત થયો. આ ઘટના સિક્કિમ માટે ખૂબ લાભદાયી મનાય છે. જોકે ભારત અને ચીન સરકારના બંધનોને કારણે આ વેપાર વિકસ્યો નથી. [72]
સિક્કિમના પર્વતીય ભૂસ્તરને લીધે અહીં એક પણ હવાઈ મથક કે રેલ્વે મથક નથી. ગંગટોકથી 30 km (19 mi) દૂર રાજ્યનું સૌથી પહેલું હવાઈ મથક - પાકયોંગ હવાઈ મથક બંધાઈ રહ્યું છે.[73] આનું બાંધકામ ભારતીય વિમાન પત્તન પ્રાધિકરણ (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા) દ્વારા ૨૦૦ એકર ભૂમિ પર થઈ રહ્યું છે. ૪૭૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલું આ ભારતના સૌથી ઊંચા પાંચ હવાઈ મથકમાંનું એક બનશે. [74][75] આ હવાઈ મથક ATR વિમાનોને ઉતારવા સક્ષમ હશે. .[76]
હાલમાં સિક્કિમથી સૌથી નજીકનું હવાઈ મથક પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આવેલું બાગડોગરા હવાઈ મથક છે. આ હવાઈ મથક ગંગટોકથી ૧૨૪ કિમી દૂર છે. આ બંને સ્થળો બસ સેવા દ્વારા જોડાયેલા છે.[77] સિક્કિમ અને બાગડોગરાને જોડતી રોજિંદી હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે. આ સેવા સિક્કિમ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા ચલાવવામાં આવે છે. હેલિકોપ્ટાનો આ પ્રવાસ અડધા કલાકનો છે અને તે ૪ પ્રવાસીઓને લઈ જઈ શકે છે. [40] ગંગટોક હેલીપેડ એ રાજયનું એકમાત્ર હેલીપેડ છે.
ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ 31 અને 31A સિલિગુડી અને ગંગટોકને જોડે છે.[78] સિક્કિમ નેશનલ ટ્રાન્સપોર્ટ રાજ્યમાં બસ અને ટ્રક સર્વિસ ચલાવે છે. ખાનગી બસ, પ્રવાસી ટેક્સીઓ અને જીપ આખા સિક્કિમ તેમજ સિલિગુડી સુધી ઉપલબ્ધ છે. મેલીથી છૂટી પડતી એક શાખા રાજ્યના પશ્ચિમી ભાગને જોડે છે. સિક્કિમના દક્ષિણી અને પશ્ચિમી ક્ષેત્રો દાર્જીલિંગ અને કાલિમ્પોગ જેવા ગિરિમથકો સાથે પણ જોડાયેલા છે.[79] રાજય નથુલા ઘાટ થકી તિબેટ સાથે જોડાયેલું છે.
સિક્કિમમાં રેલ્વે સેવાનો અભાવ છે. સિક્કિમથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સિલિગુડી કે ન્યુ જલપાઈગુડી છે. [80] હવે સિક્કિમના રાંગપો અને પશ્ચિમ બંગાળના સીમાવર્તી શહેર સેવોકને જોડતી પરિયોજના શરૂ થઈ છે. [81] પાંચ સ્ટૅશન ધરાવતી આ રેલ્વે પહેલા ૨૦૧૫ સુધીમાં પૂરી થવાની હતી. આ રેલ્વે સેવા સિક્કિમની અર્થવ્યવસ્થા અને ભારતીય સેનાને ઉપયોગી સાબિત થશે.[82][83] જોકે આનું બાંધકામ મોડું પડ્યું છે. [84] આ સાથે રેલ્વે મંત્રાલયે મિરિક અને રાનીપુલને જોડતી રેલ્વેનો પણ પ્રસ્તાવ આપ્યો છે.[85]
સિક્કિમના મોટા ભાગના રસ્તાની દેખરેખ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન એ ભારતીય સેનાની એક શાખા છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનની સત્તા હેઠળ ન આવતા હોય એવા 1,857 kilometres (1,154 mi) જેટલા રસ્તા રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવે છે. દક્ષિણ સિક્કિમના રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ - NH31A એ રાજ્યના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. અહીં ભૂસ્ખલનની ઘટનાઓ ઓછી ઘટતી હોવાથી અહીંના રસ્તાઓ સારી સ્થિતિમાં છે.[45]
સિક્કિમમાં મોટાભાગની વિદ્યુત શક્તિ ૧૯ જેટલા જળવિદ્યુત કેન્દ્રોમાંથી મેળવવામાં આવે છે.[67] તે સિવાય નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને પાવરગ્રીડ કોર્પોરેશન પાસેથી પણ વિદ્યુત ઊર્જા મેળવવામાં આવે છે. [86] ૨૦૦૬ સુધીમાં સિક્કિમે ૧૦૦% ગ્રામીણ વીજળીકરણ પ્રાપ્ત કર્યું હતું. [87] જો કે અહીં વોલ્ટેજ ઘણાં જ અસ્થિર હોય છે અને વોલ્ટેજ સ્ટેબીલાઈઝરની જરૂર રહે છે. સિક્કિમનો વીજળી વપરાશ ૧૮૨ કિલોવૉટ/કલાક જેટલો છે. રાજ્ય સરકારે રસોઈ માટે બાયોગેસ અને સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો છે પણ તેને ઘણો નબળો પ્રતિસાદ મળ્યો છે અને તેનો ઉપયોગ પ્રકાશ મેળવવા પૂરતો જ થાય છે.[88] ૨૦૦૫ સુધીમાં સિક્કિમમાં ૭૩.૨ ટકા ઘરો સલામત પીવાનું પાણી મેળવી શકતા હતા,[45] અહીં મોટી સંખ્યામાં આવેલા ઝરણા દ્વારા લોકો પાણી પુરવઠો પ્રાપ્ત કરે છે.
૮ ડિસેમ્બર ૨૦૦૮ના દિવસે સિક્કિમ ૧૦૦% શૌચાલય વ્યવસ્થા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, અને ખુલ્લામાં શૌચ નિકાસથી મુક્ત થયું હતું અને "નિર્મળ રાજ્ય"નો દરજ્જો પ્રપ્ત કર્યો હતો.[89][90]
સિક્કિમ એ ભારતની સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય છે. ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર સિક્કિમની વસતી ૬૧૦,૫૭૭ હતી. [1] સિક્કિમમાં વસતીનું ઘનત્વ સૌથી ઓછું છે. (૮૬ વ્યક્તિઓ પ્રતિ ચો. કિમી.) જોકે અહીં વસતી વધારાનો દર વધુ છે જે ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે લગભગ ૧૨.૩૬% જેટલો હતો. અહીં જાતિ ગુણોત્તર પ્રતિ ૧૦૦૦ પુરુષોએ ૮૮૯ સ્ત્રીઓ જેટલો છે. જેમાં કુલ ૩,૨૧,૬૬૧ સ્ત્રીઓ અને ૨,૮૬,૦૨૭ પુરુષો છે. મુખ્યત્વે ગ્રામીણ એવા રાજ્યમાં ગંગટોક એ સૌથી વધુ શહેરીકરણ પામેલું ક્ષેત્ર છે. ૨૦૦૫માં આ રાજ્યની શહેરી વસ્તી કુલ વસ્તીના ૧૧.૦૬% જેટલી હતી.[45] ૨૦૧૧માં સિક્કિમની માથાદીઠ આવક ૮૧,૧૫૯ હતી.[92]
સદીઓથી થતા નેપાળી લોકોના સ્થળાંતરને કારણે સિક્કિમના મોટા ભાગના લોકો નેપાળી મૂળના છે. [સંદર્ભ આપો] ભૂતિયા અને લેપ્ચા લોકોને સિક્કિમના મૂળ રહેવાસી માનવામાં આવે છે. ભૂતિયા લોકો સિક્કિમમાં તિબેટના ખામ જિલ્લામાંથી ૪થી શતાબ્દીમાં આવ્યા હતા. લેપ્ચા લોકો દૂર પૂર્વમાંથી આવ્યા હતા. તિબેટી મૂળના લોકો સિક્કિમના પૂર્વી અને ઉત્તરી ભાગોમાં રહે છે સ્થળાંતરીત વસ્તી બિહારી, બંગાળી અને મારવાડી લોકોની છે જેઓ દક્ષિણી સિક્કિમમાં રહે છે.[93]
સિક્કિમમાં નેપાળી લોકોના આગમન પછી હિંદુ ધર્મ એ સિક્કિમનો બહુસાંખ્યક ધર્મ રહ્યો છે. કુલ વસ્તીના ૬૦.૯૩% લોકો આ ધર્મ પાળે છે. બૌદ્ધ ધર્મ એ સિક્કિમનો બીજો સૌથી બહુસંખ્યક ધર્મ છે. ૨૮.૧૦% લોકો આ ધર્મ પાળે છે. સિક્કિમમાં ૭૫ બૌદ્ધ મઠો આવેલા છે તેમાંથી સૌથી જૂનો ૧૭૦૦ના સૈકામાં સ્થપાયો છે.[95] સિક્કિમના ખ્રિસ્તીઓ મૂળે લેપ્ચ લોકો છે જેમને બ્રિટિશ મિશનરીઓએ વટલાવ્યા હતા. વસતીનો ૬.૬૦% ભાગ ખ્રિસ્તી ધર્મ પાળે છે. અન્ય અલ્પ સંખ્યકોમાં બિહારી મુસલમાનો અને જૈન લોકોનો સમાવેશ થાય છે, જેમની વસતી લગભગ ૧% જેટલી છે.[96] વસતીનો સિવાયનો ભાગ સિક્કિમના સ્થાનિક લોકોનો છે તેઓ પારંપારિક ધર્મ પાળે છે.
૧૯૭૦માં સિક્કિમના ભારત સાથેના વિલિનીકરણ સમયે લેપ્ચા અને નેપાળી લોકોમાં તણાવ વધી ગયો હતો, તે સિવાય ભારતના અન્ય રાજ્યોની જેમ કોઈ મોટા સ્થાનીય રમખાણો અહીં થયા નથી.[97][98] લેપ્ચા લોકોનો પારંપારિક ધર્મ મુમ તરીકે ઓળખાય છે. આ ધર્મ સર્વાત્મવાદમાં માને છે. [99]
સિક્કિમમાં પ્રમુખ સ્વરૂપે નેપાળી ભાષા બોલાય છે. અમુક ક્ષેત્રોમાં સિક્કિમી અને લેપ્ચા ભાષા પણ બોલાય છે. ભારતીય અંગ્રેજી અને હિંદી ભાષા પણ સમગ્ર સિક્કિમમાં લોકો સમજે છે. અન્ય ભાષાઓ જેમ કે ડ્ઝોંગા, ગ્રોમા, ગુરુંગ, લિંબુ, મગર, માઝી, મઝવાર, નેવારી, રાઈ, શેરપા, સુનવાર, તમાંગ, થુલુંગ, તિબેટી નએ યંકા જેવી ભાષાઓ પણ અહીં બોલાય છે.[100]
સિક્કિમમાં બહુ સંખ્યક લોકો દિવાળી અને દશેરા જેવા તહેવાર ઉજવે છે. પારંપારિક સ્થાનીય તહેવારો જેમકે માઘે સંક્રાંતી અને ભીમસેન પૂજા પણ અહીં પ્રખ્યાત છે.[101] લોસાર, લુસોન્ગ, સાગા દવા, લ્હાબાબ દ્યુચેન, દ્રુપ્કા તેશી અને ભુમચુ જેવા બૌદ્ધ તહેવારો સિક્કિમમાં ઉજવાય છે. લોસાર(તિબેટી નૂતન વર્ષ) નામના તહેવાર દરમ્યાન શાળાઓ અને કાર્યાલયો એક અઠવાડીયાની રજા રાખે છે.[102] સિક્કિમના મુસલમાનો ઈદ-ઉલ-ફિત્ર અને મહોરમ જેવા તહેવારો મનાવે છે.[103] ઑફ સિઝનના સમયે પ્રવાસીઓને આકર્ષવા અહીં નાતાલ ઉજવવાને પ્રોત્સાહન અપાય છે. [104]
પશ્ચિમિ રૉક સંગીત અને ભારતીય પૉપ સંગીતનો ઘણો મોટો વર્ગ સિક્કિમમાં છે. નેપાળી રૉક સંગીત અને લેપ્ચા સંગીત પણ પ્રસિદ્ધ છે.[105] ફૂટબોલ અને ક્રિકેટ સિક્કિમની લોકપ્રિય રમતો છે. પ્રવાસનના ભાગ તરીકે હેન્ડ ગ્લાઈડિંગ અને રીવર રાફ્ટીંગ પણ લોકપ્રિય બન્યા છે.[106]
સિક્કિમમાં સામાન્ય રીતે નૂડલ્સ આધારીત વાનગીઓ જેમકેે ઠુપ્કા, ચાઉમીન, થાન્થુક,ગ્યાથુક અને વોન્ટોન પ્રચલિત છે. મોમો નામનું તાજું ફરસાણ અહીં લોકપ્રિય છે. આ એક પ્રકારની ભરેલી વાનગી છે જેમાં શાકભાજી, સ્થાનીય ભેંસનું માંસ કે પોર્ક (ડુક્કરનું માંસ) ભરાય છે અને તેને સૂપ સાથે પીરસવામાં આવે છે.[107] સિક્કિમમાં બીયર, રમ, વ્હીસ્કી અને બ્રાંડી છૂટથી પીવાય છે,[108] તે સિવાય અહીં બાજરામાંથી બનતો ટોંગબા નામનો સ્થાનીય દારૂ પણ લોકપ્રિય છે. દારૂના પ્રતિ વ્યક્તિ સેવનમાં પંજાબ અને હરિયાણા પછી સિક્કિમ ત્રીજા ક્રમાંકે આવે છે.[109]
દક્ષિણ સિક્કિમમાં અંગ્રેજી, હિંદી અને નેપાળી વર્તમાન પત્રો મળે છે. નેપાળી અને અંગ્રેજી વર્તમાનપત્રો સિક્કિમમાં સ્થાનીય રીતે પ્રસિદ્ધ થાય છે. હિંદી અને અંગ્રેજી વર્તમાન પત્રો સિલીગુડીમાંથી આવે છે. "જમારો પ્રજાશક્તિ" (નેપાળી વર્તમાન પત્ર), હિમાલયન મિરર, સિક્કિમ એક્સપ્રેસ સિક્કિમ નાઉ (અંગ્રેજી વર્તમાનપત્ર) સમય દૈનિક તથા કાંચનજંઘા ટાઇમ્સ અને પ્રજ્ઞા ખબર (નેપાળી સાપ્તાહિક) અને હીમાલીબેલા એ સિક્કિમના જાણીતા પ્રકાશનો છે. [110] આ સિવાય રાષ્ટ્રીય છાપા જેમ કે ધ સ્ટેટ્સ મેન, ધ ટેલિગ્રાફ, ધ હિંદુ, ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા, હિમાલય દર્પણની સ્થાનીય આવૃત્તિઓ પણ અહીં આવે છે. સિક્કિમ હેરાલ્ડ એ અહીંની રાજ્ય સરકારનું સાપ્તાહિક છે. હિમગિરી એ નેપાળી અને અંગ્રેજીમાં હાલખબર એ ઓનલાઈન વર્તમાનપત્રો છે. આ સિવાય તિસ્તારંગીત, અવ્યક્ત, બિલોકન, જર્નલ ઑફ હીલ રીસર્ચ, ખબેર કાગઝ અને સિક્કિમ સાયંસ સોસાયટી ન્યૂઝ લેટર એ અન્ય પ્રકાશનો છે.[111]
સિક્કિમના શહેરોમાં ઇન્ટરનેટ કૅફે જોવા મળે છે. જોકે, બ્રોડબેન્ડ સુવિધા વધુ પ્રચલિત નથી. મોટા ભાગના ક્ષેત્રોમાં ડીશ એન્ટેના દ્વારા સેટેલાઈટ ટેલિવિઝન માણી શકાય છે. ભારતમાં અન્ય ક્ષેત્રોમાં બતાવાતી ચેનલો અહીં પણ જોઈ શકાય છે. વધારામાં અહીં નેપાળી ભાષાની ચેનલો પણ જોવાય છે. ડીશ ટીવી, દૂરદર્શન અને નાયુમા એ મુખ્ય સેવા પૂરી પાડનાર કંપનીઓ છે.
સિક્કિમમાં પ્રૌઢ સાક્ષરતાનો દર ૬૯.૬૮% છે. જેમાં ૭૬.૭૩% પુરુષો અને ૬૧.૪૬% સ્ત્રીઓ સાક્ષર છે. સિક્કિમમાં ૧૧૫૭ શાળાઓ છે જેમાં ૭૬૫ રાજ્ય સંચાલિત, ૭ કેન્દ્ર સંચાલિત અને ૩૮૫ ખાનગી શાળાઓ છે. [112] સિક્કિમમાં ૧૨ કૉલેજો આવેલી છે. સિક્કિમ મણીપાલ વિદ્યાપીઠ એ સિક્કિમની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે જે અભિયાંત્રિકી(એન્જિનિયરીંગ), વૈદકીય અને વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) જેવા ક્ષેત્રોમાં શૈક્ષણિક સેવા આપે છે.[113] રાજ્ય સરકાર સંચાલિત બે પોલીટૅક્નીક શાળાઓ છે જે વિવિધ એન્જિનિયરીંગમાં પદવી (ડિપ્લોમા) પ્રદાન કરે છે. આ પોલીટેક્નીક છે એડવાન્સસ ટેકનિકલ ટ્રેઈનિંગ ઇન્સ્ટીટ્યુટ (ATTC) અને બીજી છે સેંટર ફોર કોમ્પ્યુટર ઍન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (CCCT). (ATTC) એ બારદંગ, સિંગતમમાં આવેલી છે જ્યારે CCCT ચીસોપાની, નામ્ચીમાં આવેલી છે. ૨૦૦૮માં યાંગાંગમાં સિક્કિમ વિશ્વવિદ્યાપીઠ શરૂ કરવામાં આવી છે.[114]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.