૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
From Wikipedia, the free encyclopedia
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ એ એપ્રિલ ૧૯૬૫થી સપ્ટેમ્બર ૧૯૬૫ સુધી બંને દેશો વચ્ચે ચાલેલી મુઠભેડનું પરિણામ હતું. સંઘર્ષની શરૂઆત પાકિસ્તાનની જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરોધિ બળવો ચાલુ કરવા ઓપરેશન જીબ્રાલ્ટર હેઠળ ઘૂસણખોરો દાખલ કરવાની કોશિષ સાથે થઈ. ભારતે તેના વિરોધમાં પશ્વિમ પાકિસ્તાન પર સૈન્ય હુમલો કર્યો. ૧૭ દિવસ ચાલેલા આ યુદ્ધમાં બંને પક્ષે મોટા પ્રમાણમાં ખુવારી થઈ અને હજારો સૈનિકો માર્યા ગયા, બખ્તરીયા દળો વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદની સૌથી મોટી લડાઈ પણ થઈ. સોવિયત યુનિયન અને સંયુક્ત રાજ્ય અમેરિકાની દખલગીરી બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંઘર્ષ વિરામ દરખાસ્ત બાદ તાસ્કંદ સમજૂતી દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવ્યો.[1] મોટા ભાગનું યુદ્ધ બંને દેશોની ભૂમિસેનાઓ વચ્ચે કાશ્મીર ખાતે અને ભારત અને પશ્ચિમ પાકિસ્તાનની સરહદે લડાયું. ૧૯૪૭માં ભાગલા બાદ આટલી મોટી સંખ્યામાં કાશ્મીર ખાતે સૈન્યની નિયુક્તિ પ્રથમ વખત થઈ અને તે ૨૦૦૧-૦૨માં ઓપરેશન પરાક્રમ દરમિયાન ફરી વખત જોવા મળી. મોટા ભાગની લડાઈ પાયદળ અને બખ્તરીયા દળો વચ્ચે વાયુસેના અને નૌસેનાઓની મદદથી લડાઈ. યુદ્ધ દ્વારા પાકિસ્તાનની અયોગ્ય સૈન્ય તાલીમ, અધિકારીઓની દિશાવિહોણી પસંદગી, હુકમ અને પ્રયોજન વચ્ચેનો તફાવત, નબળું જાસૂસી તંત્ર અને ખરાબ સૂચના તંત્ર ખુલ્લાં પડી ગયાં. આ નબળાઈઓ છતાં પાકિસ્તાની સૈન્ય તેના કરતાં બળુકા ભારતીય ભૂમિસેના સામે લડ્યું.[2] આ યુદ્ધની ઘણી માહિતી સ્પષ્ટ નથી.[3]
સંઘર્ષ વિરામ થવા છતાં સૈન્ય દ્રષ્ટિએ યુદ્ધનો કોઈ અંજામ મળ્યો નહિ, બંને દેશોએ વિજયનો દાવો કર્યો. મોટાભાગના તટસ્થ ટીકાકારો પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો પક્ષ મજબૂત રહ્યો હોવા સહમત થયા.[4][5][6][7][8][9] પરિણામ વિહોણા સંઘર્ષ છતાં યુદ્ધને પાકિસ્તાનની સૈન્ય અને રાજકીય હાર માનવામાં આવે છે કારણ કે તે કાશ્મીરમાં બળવો કરાવવામાં નિષ્ફળ રહ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ નક્કર ટેકો ન મળ્યો.[10][11][12][13][14][15][16][17]
આંતરરાષ્ટ્રીય સ્તરે આ યુદ્ધને શીત યુદ્ધના પરિપેક્ષમાં જોવામાં આવ્યું અને ઉપખંડમાં મોટાપ્રમાણ ભૂરાજકીય ઉથલપાથલનું કારણ બન્યું.[18] યુદ્ધ પહેલાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ મોટાપ્રમાણમાં ભારત અને પાકિસ્તાનને ટેકો આપતાં હતાં અને તેમને સૈન્ય હથિયારોના મુખ્ય નિકાસકારક હતા. યુદ્ધ દરમિયાન અને પછી ભારત અને પાકિસ્તન બંનેને મળતા પશ્ચિમી ટેકામાં કાપ આવ્યો અને અમેરિકા અને બ્રિટન બંને દ્વારા સૈન્ય સંરજામ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકાયો. તેના પરિણામે ભારત અને પાકિસ્તાન બંને દ્વારા અનુક્રમે સોવિયત યુનિયન અને ચીન સાથે સંપર્ક વધાર્યો. યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશોના નકારાત્મક વલણને કારણે ૧૯૭૧માં અને હાલ સુધી ઉપખંડ સાથેના સંબંધને અસર પહોંચાડી છે.[19][20][21][22]