ચિત્રકાર From Wikipedia, the free encyclopedia
રાજા રવિ વર્મા[1] (૨૯ એપ્રિલ ૧૮૪૮ – ૨ ઓક્ટોબર ૧૯૦૬) એ મલયાલી મૂળના પ્રખ્યાત ચિત્રકાર અને કલાકાર હતા. તેમના ચિત્રોમાં જોવા મળતો વિશાળ સામાજીક પરિપેક્ષ અને સૌંદર્યબોધના કારણે તેઓ ભારતીય ચિત્રકલા જગતના ઇતિહાસમાં મહાન ચિત્રકાર તરીકે ઓળખ પામ્યા છે. તેમની ચિત્રકારી શુદ્ધ ભારતીય સંવેદના અને યુરોપની કળાના સંમિશ્રણના ઉદાહરણ રૂપે જોવામાં આવે છે. પરંપરા અને ભારતીય કલાના સૌંદર્યબોધની સાથોસાથ જ તેઓ યુરોપીયન તત્ત્વબોધ તકનિકની પ્રયુક્તિ કરવામાં સફળ રહ્યાં. પોતાના ચિત્રોના શિલામુદ્રણ (લિથોગ્રાફ) સામાન્ય જનતાને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવાના કારણે તેઓ લોકમાનસમાં એક ચિત્રકાર, પ્રભાવશાળી વ્યક્તિ અને સાર્વજનિક હસ્તી તરીકે સ્થાન જમાવવામાં સફળ રહ્યાં. ખાસ કરીને પુરાણો, રામાયણ – મહાભારત જેવા મહાકાવ્યોના પ્રસંગો અને દેવી દેવતાઓના ચિત્રોને સમગ્ર ભારતમાં અગાધ આવકાર મળ્યો.
તેમનો જન્મ ત્રાવણકોર રજવાડાં (હાલ કેરળ)ના કિલિમનૂર ખાતે થયો હતો.[2] તેમના પિતા એઝુમાવિલ નિલકંઠન ભટ્ટાત્રિપદ સંસ્કૃત અને આયુર્વેદના પંડિત હતા અને તેમની માતા ઉમયામ્બા થમ્પૂરાટ્ટી કવયિત્રી અને લેખિકા હતા. તેમણે લખેલ પુસ્તક પાર્વતી સ્વયંવર એ તેમના મૃત્યુ બાદ રવિ વર્માએ પ્રકાશિત કરાવેલું. તેમને એક બહેન મંગળાબાઇ અને બે ભાઇઓ ગોદા વર્મા (જ. ૧૮૫૪) અને રાજા વર્મા (જ. ૧૮૬૦) હતા. તે પૈકી રાજા વર્મા પણ ચિત્રકાર હતા અને તેમણે રવિ વર્માની સાથે જ પોતાનુ જીવન વ્યતિત કર્યું. યુવાન વયે જ ત્રાવણકોરના મહારાજા ઐલયમ થીરુનાલનો આશ્રય મળતાં તેમની ઔપચારિક તાલીમની શરુઆત થઈ.[3] તેમણે ચિત્રકારીના બુનિયાદી પાઠ મદૂરાઈથી શિખ્યા. બાદમાં પાણી રંગોની ચિત્રકારી રામાસ્વામી નાયડુ પાસેથી અને તૈલચિત્રોની કલા ડચ છાયાચિત્રકાર થીઓડોર જેન્સોન પાસેથી શિખ્યાં.
વર્ષ ૧૮૬૬ માં, ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન ત્રાવણકોર રજવાડાના મવેલિક્કર રાજ ઘરાનામાં ભગીરથી નામની ૧૨ વર્ષની કન્યા સાથે થયા. ભગીરથીનું મૂળ નામ પૂરુરુટ્ટતી નાલ ભગિરથી બાઈ હતું. તે તેમણી ત્રણ બહેનોમાં સૌથી નાના હતાં. તેમની મોટી બે બહેનોને ૧૮૫૭ ની સાલમાં ત્રાવણકોર રાજઘરાનામાં દત્તક આપવમાં આવી હતી. એ બન્ને બહેનો અટ્ટીંગલની રાણીઓ તરીકે ઓળખાતી હતી. આ જ કારણોસર રાજા રવિ વર્માના ત્રાવણકોર રાજ્ય સાથેના સંબંધો વધુ ગાઢ હતા. રવિ વર્માને પાંચ સંતાનો હતા જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થતો હતો. તેમનો સૌથી જ્યેષ્ઠ પુત્ર કેરાલા વર્મા (જ. ૧૮૭૬) ખૂબ જ આધ્યાત્મિક વૃતિવાળો હતો. તેણે જીવનપર્યંત લગ્ન ન કર્યા અને ૧૯૧૨ માં ઈશ્વરની શોધ માટે ગૃહત્યાગ કર્યો. નાનો પુત્ર રામા વર્મા (જ, ૧૮૭૯)એ તેના પિતાના વારસાને સંભાળ્યો અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી શિક્ષણ મેળવ્યું. તેમની જ્યેષ્ઠ પુત્રી ઐલયમ નાલ મહાપ્રભા રવિ વર્માના બે ચિત્રોમાં જોવા મળે છે.
ત્રાવણકોરના દિવાન ટી. માધવ રાવની સલાહથી ૧૮૯૪માં રવિ વર્માએ એક લિથોગ્રાફિક પ્રિંટીંગ પ્રેસ ઘાટકોપર, મુબંઈ ખાતે શરૂ કર્યો. જે ૧૮૯૯માં મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે સ્થળાંતરીત કરાયો હતો. આ પ્રેસ દ્વારા રામાયણ, મહાભારત અને પુરાણના પ્રસંગો અને દેવી દેવતાના ચિત્રો છાપવામાં આવ્યાં. આ ચિત્રો ૧૯૦૬ ની સાલમાં રવિ વર્માના નિધન બાદ પણ વર્ષો સુધી હજારોની સંખ્યામાં છપાતા રહ્યાં. રાજા રવિ વર્મા પ્રેસએ તે સમયનો ભારતનો સૌથી મોટો પ્રેસ હતો. આ પ્રેસનું વહિવટી સંચાલન રવિ વર્માના ભાઇ રાજા વર્માના હસ્તક હતું પણ તેમના વહિવટમાં પ્રેસને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવુ પડ્યું. ૧૮૯૯માં પ્રેસે નાદારી નોંધાવી અને ૧૯૦૧માં આ પ્રેસ, જર્મનીના એક ટેકનીશિયનને વેચી દેવામાં આવ્યો. શરુઆતમાં આ ટેકનિશીયન દ્વારા પણ રવિ વર્માના ચિત્રોનું વેચાણ ચાલુ રાખ્યું. સમય જતાં તેણે એક કલાકારને ભાડે રાખ્યો. પાછળથી સ્રેડીન્જરે આ પ્રેસનો વિસ્તાર કર્યો અને તેનો વાણિજ્યીક અને વિજ્ઞાપન છાપવામાં ઉપયોગ કર્યો. ૧૯૭૨માં આગને કારણે આ પ્રેસને નુકસાન થયું ત્યાં સુધી આ પ્રેસ કાર્યરત રહ્યો. આગમાં રવિ વર્માના ઘણા બધા અસલી લિથોગ્રાફિક ચિત્રો નાશ પામ્યાં.[4]
બ્રિટીશ વહિવટદાર એડાગર થર્સ્ટનનો રવિ વર્મા અને તેમના ભાઇની કારકિર્દી ઘડવામાં વિશેષ ફાળો રહ્યો છે.[5] ૧૮૭૩માં વિએના ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શિનીમાં એવોર્ડ જીત્યા બાદ તેમની કલાને વૈશ્વિક સ્તરે અનુમોદન મળ્યું. ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શિનીમાં બે સુવર્ણ પદક મેળવ્યાં. ચિત્ર પ્રેરણા મેળવવા તેઓ સમગ્ર ભારતમાં ફર્યા. મહાભારતના પાત્રો પૈકી દુશ્યંત – શકુંતલા અને નળ – દમયંતિના ચિત્રો એ એમને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી. તેમના ઘણા ખ્યાતનામ ચિત્રો વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહાયેલાં છે. અન્ય કેટલાંક ચિત્રો મૈસૂર અને ત્રાવણકોરના મહેલમાં સચવાયેલાં છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.