જૈન ધર્મ
ભારતનો એક ધર્મ / From Wikipedia, the free encyclopedia
જૈન ધર્મ અથવા જૈનત્વ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા તથા, પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર, અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજાય છે. નાનપણથીજ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.
આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ પ્રિયદર્શના હતું. જ્યારે દિગંબર સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમણે માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:
મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૨ વર્ષમાં ૩ કેવળી થઈ ગયા: ૧. ગૌતમ સ્વામી ૨. સુધર્મ સ્વામી ૩. જમ્બુ સ્વામી.
તેમના પછી પાંચ શ્રુતકેવળી થઈ ગયા: ૧. વિષ્ણુદેવ ૨. નંદીમિત્ર ૩. અપરાજિત ૪. ગોવર્ધન ૫. ભદ્રબાહુ .
ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુષ્કાળ પડવાનો છે, તેથી તેમણે દુષ્કાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ ગમન કર્યું. તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં.
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે.
જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા કહે છે.