ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, ઉદારમતવાદી માનવતાવાદી અને ફિલ્મ નિર્માતા From Wikipedia, the free encyclopedia
ઇસ્મત ચુગતાઇ (૨૧ ઓગસ્ટ ૧૯૧૫- ૨૪ ઓક્ટોબર ૧૯૯૧) એક ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, ઉદારમતવાદી માનવતાવાદી અને ફિલ્મ નિર્માતા હતા. ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં, તેમણે સ્ત્રીઓની લૈંગિકતા અને સ્ત્રીત્વ, માર્ક્સવાદી દ્રષ્ટિકોણથી મધ્યમ વર્ગની નમ્રતા અને વર્ગ સંઘર્ષ સહિતના વિષયો પર વિસ્તૃત લખ્યું હતું. સાહિત્યિક વાસ્તવવાદની લાક્ષણિકતા ધરાવતી શૈલી સાથે ચુગતાઈએ વીસમી સદીના ઉર્દૂ સાહિત્યમાં એક મહત્ત્વના અવાજ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી. તેમને ૧૯૭૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
ઇસ્મત ચુગતાઈ | |
---|---|
જન્મ | બદાયૂં, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | 21 August 1915
મૃત્યુ | 24 October 1991 76) મુંબઈ, ભારત | (ઉંમર
વ્યવસાય |
|
ભાષા | ઉર્દૂ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતૃ શિક્ષણ સંસ્થા | અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી |
લેખન પ્રકાર | |
નોંધપાત્ર સર્જનો | લિહાફ, કાગઝી હૈ પહેરન |
જીવનસાથી | શહીદ લતીફ (૧૯૪૨–૧૯૬૭) |
સંતાનો | સીમા સબરીના લતીફ |
ઇસ્મત ચુગતાઇનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૧૫ના રોજ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં નુસરત ખાનમ અને મિર્ઝા કાસીમ બેગ ચુગતાઇને ત્યાં થયો હતો. તેઓ છ ભાઈઓ અને ચાર બહેનો સાથેના માતાપિતાના દસ બાળકોમાં નવમાં ક્રમે હતા.[1] ચુગતાઈના પિતા સનદી અધિકારી હોવાથી આ પરિવાર અવારનવાર સ્થળાંતર કરતો હતો; તેમણે પોતાનું બાળપણ જોધપુર, આગ્રા અને અલીગઢ સહિતના શહેરોમાં વિતાવ્યું હતું. તેઓ નાના હતા ત્યારે જ તેમની બહેનોના લગ્ન થઈ ગયા હોવાથી મોટે ભાગે તો તે તેમના ભાઈઓની સંગતમાં જ રહ્યા હતા. ચુગતાઇએ તેમના ભાઈઓના પ્રભાવને એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે વર્ણવ્યું હતું જેણે તેમના રચનાત્મક વર્ષોમાં તેમના વ્યક્તિત્વને પ્રભાવિત કર્યું હતું. તેમણે પોતાના બીજા ક્રમના સૌથી મોટા ભાઈ મિર્ઝા અઝીમ બેગ ચુગતાઈ (નવલકથાકાર)ને એક માર્ગદર્શક તરીકે માનતા હતા. ચુગતાઇના પિતા ભારતીય સનદી સેવામાંથી નિવૃત્ત થયા બાદ આખરે આ પરિવાર આગ્રામાં સ્થાયી થયો હતો.[2]
ચુગતાઈએ તેમનું પ્રાથમિક શિક્ષણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મહિલા કોલેજમાંથી મેળવ્યું હતું અને ઇસાબેલા થોબર્ન કોલેજમાંથી ૧૯૪૦ માં સ્નાતકની પદવી મેળવી હતી.[3] તેમના પરિવારના સખત વિરોધ છતાં, તેમણે પછીના વર્ષે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી પૂર્ણ કરી હતી.[2] આ સમયગાળા દરમિયાન ચુગતાઇ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા રહ્યા હતા, તેમણે ૧૯૩૬માં એસોશિએશની પ્રથમ બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ આ ચળવળ સાથે સંકળાયેલા અગ્રણી મહિલા લેખકોમાંના એક રશીદ જહાંને મળ્યા હતા, જેમને પાછળથી ચુગતાઇને "વાસ્તવિક, પડકારજનક સ્ત્રી પાત્રો" લખવા માટે પ્રેરિત કરવા માટે શ્રેય આપવામાં આવ્યો હતો.[4][5] ચુગતાઈએ તે જ સમયે ખાનગીમાં લખવાનું શરૂ કર્યું, પરંતુ ઘણા સમય પછી સુધી તેમણે તેમના લેખનકાર્ય માટે પ્રકાશનનો વિચાર કર્યો ન હતો.[5]
જ્યારે મેં લખવાનું શરૂ કર્યું, ત્યારે એક વલણ હતું - રોમેન્ટિક વસ્તુઓ લખવી અથવા પ્રગતિશીલની જેમ લખવું. જ્યારે મેં લખવાનું શરૂ કર્યું, ત્યારે લોકોને ખૂબ આઘાત લાગ્યો કારણ કે મેં ખૂબ જ નિખાલસતાથી લખ્યું [...] તમે જેને "સાહિત્યિક" કહો છો તે મેં લખ્યું નથી. હું જેમ બોલું છું તેમ જ લખ્યું અને લખું છું, સાહિત્યિક ભાષામાં નહિ પણ ખૂબ જ સરળ ભાષામાં.
ચુગતાઈએ ૧૯૩૯માં ઉર્દૂ સામયિક સાકી માટે ફસાદી નામનું નાટક લખ્યું હતું, જે તેમનું પ્રથમ પ્રકાશિત લેખન હતું.[7] બાદમાં તેમણે અન્ય પ્રકાશનો અને વર્તમાનપત્રો માટે લખવાનું શરૂ કર્યું. તેમની શરૂઆતની કેટલીક કૃતિઓમાં બચપન, (આત્મકથાત્મક લેખ), કાફિર (તેમની પ્રથમ ટૂંકી-વાર્તા) અને ધીત (જિદ્દી), વગેરેનો સમાવેશ થાય છે.[8]
પ્રગતિશીલ લેખકોની ચળવળ સાથે ચુગતાઈના સતત જોડાણની તેમની લેખન શૈલી પર નોંધપાત્ર અસર પડી હતી; જહાં, સજ્જાદ ઝહીર, સાહિબઝાદા મહમદઝફ્ફર અને અહમદ અલી સહિતના જૂથના સભ્યો દ્વારા ઉર્દૂમાં લખાયેલી ટૂંકી વાર્તાઓનું સંકલન અંગારેએ તેમના પર ખાસ પ્રભાવ પાડ્યો હતો. તેમના લેખનશૈલી પરની પ્રારંભિક અસરોમાં વિલિયમ સિડની પોર્ટર, જ્યોર્જ બર્નાર્ડ શો અને એન્ટોન ચેખોવ જેવા લેખકોનો સમાવેશ થાય છે.[9] ચુગતાઇના બે પ્રારંભિક ટૂંકી વાર્તાઓના સંગ્રહો કલિયાં અને ચોટે અનુક્રમે ૧૯૪૧ અને ૧૯૪૨માં પ્રકાશિત થયા હતા.[8]
ચુગતાઇની પ્રથમ નવલકથા જિદ્દી, જે તેમણે તેમના વીસીના દાયકાની શરૂઆતમાં લખી હતી, તે સૌ પ્રથમ ૧૯૪૧માં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકમાં એક ધનાઢ્ય ઘરમાં ઘરેલુ મદદનું કામ કરતી એક મહિલા અને તેના માલિકના પુત્ર વચ્ચેના પ્રેમસંબંધની વાત કરવામાં આવી છે. ચુગતાઈએ પાછળથી રોમેન્ટિક નવલકથાકાર હિજાબ ઇમ્તિયાઝ અલીની કૃતિઓ સાથે નવલકથાના વિષયો અને શૈલીની સમાનતાની ચર્ચા કરી હતી, અને તેમને અન્ય પ્રારંભિક પ્રભાવ તરીકે ટાંક્યા હતા. સમીક્ષકોએ નવલકથાને તેના 'સંમોહક ગદ્ય'[10] અને નવીન વિષયવસ્તુ કે જેમાં સ્ત્રીઓ પુરુષોને બદલે અન્ય મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી બેડીઓમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે એવી દુનિયાની ઝાંખી કરાવવા માટે[11] કૃતિની પ્રશંસા કરી હતી. પાછળથી ઝિદ્દીનું અંગ્રેજીમાં વાઇલ્ડ એટ હાર્ટ તરીકે ભાષાંતર કરવામાં આવ્યું હતું અને ૧૯૪૮માં તે જ નામની ફિચર ફિલ્મમાં રૂપાંતરણ થયું હતું.[1]
શિક્ષણમાં સ્નાતક પદવી મેળવ્યા બાદ ચુગતાઈએ અલીગઢ સ્થિત એક કન્યા શાળાની મુખ્યાઅચાર્યના પદ માટે સફળતાપૂર્વક અરજી કરી હતી. ત્યાં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરી રહેલા શહીદ લતીફને મળ્યા હતા.[7] ચુગતાઈએ અલીગઢમાં તેમના રોકાણ દરમિયાન વિવિધ પ્રકાશનો માટે લખવાનું ચાલુ રાખ્યું હતું. ગેંદા અને ખિદમતગર જેવી ટૂંકી વાર્તાઓ અને ઇન્તિખાબ નાટક દ્વારા તેમને સફળતા મળી હતી, જે તમામ તે સમયગાળા દરમિયાન પ્રકાશિત થયા હતા.[12] ત્યારબાદ તેઓ ૧૯૪૨ માં બોમ્બે ગયા અને શાળાઓના નિરીક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.[7] એ જ વર્ષના ઉત્તરાર્ધમાં એમણે બોલીવૂડમાં સંવાદ લેખક તરીકે કામ કરી રહેલા લતીફ સાથે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. ખ્વાજા અહમદ અબ્બાસ આ સમારંભના કાનૂની સાક્ષી હતા.[1][13]
રાત્રિભોજન દરમિયાન અમે સામસામે ઊભા રહ્યા. મને લાગ્યું કે મારા પગ નીચેની જમીન ખસી રહી છે. તે ટોળામાંથી પસાર થઈ, મારી તરફ કૂદી અને મને તેના બાહુપાશમાં લઈ [...] મને લાગ્યું કે મારી જાતને કોઈના બાહુપાશમાં નાખીને મારું હૃદય રડી રહ્યું છે. તેણે મને એક અદ્ભુત રાત્રિભોજ માટે આમંત્રણ આપ્યું. જ્યારે મેં તેના ફૂલ જેવા છોકરાને જોયો ત્યારે મેં મારી જાતને સંપૂર્ણ પુરસ્કૃત મહેસૂસ કરી. મને લાગ્યું કે તે મારો પણ છે. મારા મનનો એક ભાગ, મારા મગજની જીવંત પેદાશ. મારી કલમનું એક સંતાન. લિહાફ
ચુગતાઈએ તેમની ટૂંકી વાર્તા લિહાફ માટે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું, જે લાહોર સ્થિત સાહિત્યિક સામયિક અદાબ-એ-લતીફના ૧૯૪૨ના અંકમાં પ્રકાશિત થઈ હતી.[2] ચુગતાઇની અર્ધ-આત્મકથાત્મક નવલકથા ટૅઢી લકીર ૧૯૪૩માં પ્રકાશિત થઇ હતી.[8] લગ્ન પછીના વર્ષોમાં લતીફના આગ્રહને કારણે ચુગતાઇએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.[12] તેમણે ૧૯૪૦ના દાયકાના અંતમાં પટકથા લખવાનું શરૂ કર્યું અને લતીફની ફિલ્મ ઝિદ્દીથી પટકથા લેખક તરીકેની શરૂઆત કરી હતી. કામિની કૌશલ, પ્રાણ અને દેવ આનંદને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઝિદ્દી ૧૯૪૮ની સૌથી મોટી વ્યાવસાયિક હીટ સાબિત થઈ હતી. તે ૧૯૪૧ની નામાંકિત ટૂંકી વાર્તા પર આધારિત હતી; ચુગતાઇએ ફિલ્મ નિર્માણ માટે પટકથાના રૂપમાં કથા ફરીથી લખી હતી.[13][14] ત્યારબાદ તેમણે કામીની કૌશલ અને દિલીપ કુમાર અભિનીત ૧૯૫૦માં આવેલી ફિલ્મ આરઝૂ માટે સંવાદ અને પટકથા લખી હતી. ચુગતાઈએ ૧૯૫૩માં આવેલી ફિલ્મ ફરેબ દ્વારા દિગ્દર્શન તરફ પોતાની કારકિર્દીનો વિસ્તાર કર્યો હતો, જેમાં અમર, માયા દાસ, કિશોર કુમાર, લલિતા પવાર અને ઝોહરા સહગલ જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો. પોતાની એક ટૂંકી વાર્તા પર આધારિત પટકથા ફરીથી લખ્યા બાદ ચુગતાઈએ લતીફ સાથે મળીને આ ફિલ્મનું સહ-દિગ્દર્શન કર્યું હતું.[14] રિલીઝ થયા બાદ, આરઝૂ અને ફરેબ બંનેએ પ્રેક્ષકોનો સકારાત્મક પ્રતિસાદ મેળવ્યો હતો અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.[15]
ચુગતાઈનું ફિલ્મો સાથેનું જોડાણ ત્યારે મજબૂત થયું જ્યારે તેમણે અને લતીફે પ્રોડક્શન કંપની ફિલ્મીનાની સહ-સ્થાપના કરી.[8] ફિલ્મ નિર્માતા તરીકેનો તેમનો પ્રથમ પ્રોજેક્ટ ૧૯૫૮માં રજૂ થયેલી ફિલ્મ સોને કી ચિડિયા હતો, ફિલ્મની કથા તેમણે જ લખી હતી અને સહ-નિર્માણ કર્યું હતું. નૂતન અને તલત મહમૂદને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં એક બાળ કલાકારની કથા હતી, જેની સાથે તેની કારકિર્દી દરમિયાન દુર્વ્યવહાર અને શોષણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને પ્રેક્ષકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ સફળતાનો સીધો જ લાભ ચુગતાઇની લોકપ્રિયતામાં થયો હતો, જેની નોંધ લેખક અને વિવેચક શમ્સ કંવલે લીધી હતી.[16] સોને કી ચિડિયાફિલ્મને "ભારતીય સિનેમામાં માથાભારે સમય" અને ફિલ્મ ઉદ્યોગના "ગ્લેમર પાછળની ગંદકી" દર્શાવવા માટે નોંધપાત્ર નિર્માણ તરીકે વર્ણવવામાં આવી હતી.[17] આ ફિલ્મમાં પોતાના અભિનય માટે સારો પ્રતિસાદ મેળવનાર નૂતને પોતે પણ તેને પોતાના મનપસંદ અભિનયમાંનો એક ગણાવ્યો હતો.[18] ૧૯૫૮માં પણ ચુગતાઇએ મહમૂદ-શ્યામા સ્ટારર લાલારુખનું નિર્માણ કર્યું હતું.[19]
ચુગતાઈએ ફિલ્મ પ્રોજેક્ટ્સ પ્રત્યે પ્રતિબદ્ધતા હોવા છતાં તે સમય દરમિયાન ટૂંકી વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું હતું. ૧૯૫૨માં તેમનો ટૂંકી વાર્તાઓનો ચોથો સંગ્રહ ચુઇ મુઇ (ટચ-મી-નોટ) પ્રકાશિત થયો હતો, જેને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.[20] રફાય મહમૂદે ૨૦૧૪ના તંત્રીલેખમાં એકવીસમી સદીમાં આ વાર્તાઓની પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો હતો. નસીરુદ્દીન શાહે એક સ્મારક શ્રેણી ઇસ્મત આપા કે નામના ભાગરૂપે ચુઇ મુઇનું નાટ્ય રૂપાંતરણ રજૂ કર્યું હતું, જેમાં તેમની પુત્રી હીબા શાહે મુખ્ય પાત્ર ભજવ્યું હતું.[21]
૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં ચુગતાઈએ કુલ આઠ નવલકથાઓ લખી હતી, જેમાંની પ્રથમ નવલકથા માસૂમા (નિર્દોષ છોકરી) હતી, જે ૧૯૬૨માં પ્રકાશિત થઈ હતી.[8] આ કથા એક યુવાન અભિનેત્રી નિલોફરના જીવનને દર્શાવવામાં આવ્યું છે, જેને એકવાર તેના પિતા તેને છોડી દે તે પછી તેના પરિવારને ટકાવી રાખવા માટે કોલ ગર્લ તરીકે કામ કરવાની ફરજ પડે છે. ૧૯૫૦ના દાયકાના બોમ્બેમાં આકાર પામતી આ નવલકથા જાતીય શોષણ અને સામાજિક અને આર્થિક અન્યાયના વિષયો પર આધારિત છે.[22] તેમની પછીની કૃતિ, ૧૯૬૬માં પ્રકાશિત નવલકથા સૌદાઇ (વળગાડ) હતી જે ૧૯૫૧માં આવેલી ફિલ્મ બુઝદિલની પટકથા પર આધારિત હતી, જેનું તેમણે લતીફ સાથે સહ-લેખન કર્યું હતું.[23]
માસૂમા અને સૌદાઇ બંનેના ઉષ્માભર્યા આવકાર બાદ,[2] ચુગતાઇને તેમની પાંચમી નવલકથા દિલ કી દુનિયા માટે નોંધપાત્ર પ્રશંસા મળી હતી.[10] નવલકથાની સમીક્ષા કરતા વિવેચકોએ તેને ચુગતાઈના સર્જનાત્મક કાર્યોમાં ટેઢી લકીર પછી બીજા સ્થાને મૂકી છે.[10][24] આ નવલકથા ઉત્તર પ્રદેશના રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારમાં રહેતી મહિલાઓના વૈવિધ્યસભર જૂથના જીવનને દર્શાવે છે. ટેઢી લકીરની જેમ જ દિલ કી દુનિયા પણ આત્મકથનાત્મક સ્વરૂપની છે, આ નવલકથામાં ચુગતાઇએ ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વીતેવેલા પોતાના બાળપણની અસર જોવા મળે છે. આ બંનેની સરખામણી કરતાં હુસૈન કહે છે, "જો ટેઢી લકીર મને તેની બોલ્ડનેસ, રેન્જ અને એક મોટી નવલકથા તરીકેની તેની વિશ્વસનીયતાથી પ્રભાવિત કર્યો હોય, તો દિલ કી દુનિયાનો પ્રભાવ કાયમ માટે મારી સાથે રહેશે, અને મને મારી પોતાની વાર્તાઓમાં તેના વિષયગત અને શૈલીગત પડઘા જોવા મળશે."[10]
૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં ચુગતાઈએ અજીબ આદમી અને જંગલી કબૂતર નામની બે નવલકથાઓ લખી હતી, જેમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિશેના તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[23][25] જંગલી કબૂતર, જે પ્રથમ વખત ૧૯૭૦ માં પ્રકાશિત થઈ હતી, તે એક અભિનેત્રીના જીવન પર આધારિત હતી અને તે સમયે બનેલી વાસ્તવિક જીવનની ઘટનાઓથી આંશિક રીતે પ્રેરિત હતી.[26] ચુગતાઈના પૌત્ર, ફિલ્મ નિર્માતા એજાઝ ખાને ૨૦૧૫ માં મુંબઈ મિરરને આપેલા એક ઇન્ટરવ્યુમાં વાર્તા પર આધારિત ફીચર ફિલ્મ બનાવવામાં રસ દર્શાવ્યો હતો: તેમણે મુલાકાતમાં જણાવ્યું હતું કે, "હું તેની એક વાર્તા બનાવવા માંગું છું, જંગલી કબૂતરે [એક વાર્તા તરીકે] હંમેશાં મને આકર્ષિત કર્યો છે."[27]
અજીબ આદમી એ જ રીતે ધરમ દેવના જીવન પર આધારિત છે, જે બોલિવૂડના એક લોકપ્રિય અગ્રણી વ્યક્તિ છે અને તેમના સાથી અભિનેત્રી ઝરીન જમાલ સાથેના તેમના લગ્નબાહ્ય સંબંધની તેમાં સામેલ લોકોના જીવન પર પડેલી અસરનું વર્ણન કરે છે. આ નવલકથા સહકલાકારો ગુરુ દત્ત અને વહીદા રહેમાન વચ્ચેના અફેર પર આધારિત હોવાનું કહેવાય છે; દત્તે પાર્શ્વ ગાયિકા ગીતા દત્ત સાથે લગ્ન કર્યા હતા અને તે સમયે આ દંપતીને ત્રણ બાળકો હતા.[25] મીના કુમારી, લતા મંગેશકર અને મોહમ્મદ રફી સહિત વાસ્તવિક જીવનની હસ્તીઓના અનેક નિર્દેશો છે, પરંતુ દત્ત પરિવારના સભ્યો અને રહેમાનનું ક્યારેય સ્પષ્ટ નામ લેવામાં આવતું નથી.[25]
મુંબઈ સ્થિત લેખક અને પત્રકાર, જેરી પિન્ટોએ અજીબ આદમીની પ્રારંભિક રિલીઝની અસરની નોંધ લેતા કહ્યું હતું કે, "આ પહેલાં બોલિવૂડના ગૂંચવાયેલા ભાવનાત્મક જીવનનું આનાથી વધુ નાટ્યાત્મક અને નિખાલસ વર્ણન થયું ન હતું."[28] ૨૦૧૯માં ખલીજ ટાઇમ્સ માટે લખતા ખાલિદ મોહમ્મદે આ લાગણીનો પડઘો પાડ્યો હતો. તેમણે આ પુસ્તકને હિન્દી ફિલ્મ ઉદ્યોગ વિશેનું એક પ્રકારનું પ્રથમ પુસ્તક ગણાવ્યું હતું, જે "બોલિવૂડના બધા લોકો માટે પણ આંખ ઉઘાડનારું પુસ્તક હતું." મોહમ્મદે ચુગતાઈની નિખાલસ લેખન શૈલીની વિગતવાર નોંધ પણ કરી હતી અને કહ્યું હતું કે તેમની પાસે "વાર્તાઓને નિખાલસતાથી અને નિર્ભયતાથી રજૂ કરવા માટે જન્મજાત ભેટ" છે.[29]
ચુગતાઇને 1980ના દાયકાના અંતભાગમાં અલ્ઝાઇમર રોગ હોવાનું નિદાન થયું હતું, જેણે ત્યાર બાદ તેનું કામ મર્યાદિત કરી દીધું હતું.[30] લાંબી માંદગી બાદ ૨૪ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ મુંબઈમાં તેમના ઘરે તેમનું અવસાન થયું હતું.[31] ચુગતાઈ ઈસ્લામમાં સામાન્ય રીતે દફનવિધિ કરાવવાની વિરુદ્ધમાં હોવાનું મનાય છે. રક્ષંદા જલીલે ચુગતાઈની કુરતુલેન હૈદર સાથેની એક વાતચીતને ટાંકીને ઇસ્મત ચુગતાઈ પરનાં લખાણોમાં લખ્યું છે, "મને કબરથી ખૂબ ડર લાગે છે. તેઓ તમને કાદવના ઢગલા નીચે દફનાવે છે. કોઈ ગૂંગળામણ અનુભવે [...] એના કરતાં મારા અંતિમ સંસ્કાર કરવામાં આવે તો વધારે સારું." [32] મોટાભાગના અહેવાલો અનુસાર, ચુગતાઇના અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાનગૃહમાં તેમની અંતિમ ઇચ્છા અનુસાર કરવામાં આવ્યા હતા.[31][33]
તેમની અસંખ્ય કૃતિઓના અંગ્રેજીમાં અનુવાદ કર્યા બાદ, વીસમી સદીના ઉર્દૂ સાહિત્યમાં નવેસરથી રસ અને ત્યાર બાદ વિવેચનાત્મક પુનઃમૂલ્યાંકનને પગલે ચુગતાઈનો લેખક તરીકેનો દરજ્જો વધ્યો હતો.[13][34][35][36] તેની કૃતિઓ માટે વિવેચનાત્મક પુનઃમૂલ્યાંકનની શરૂઆત લિહાફના પુનઃવાચનથી થઈ હતી, જેણે વચ્ચેના વર્ષોમાં વધુ મહત્વ આપ્યું છે; સામંતશાહી સમાજમાં ઉપેક્ષિત પત્નીના વણસ્પર્શ્યા જીવનચિત્રણ માટે તેની નોંધ લેવામાં આવી હતી અને તે સેક્સના પ્રારંભિક નિરૂપણ માટે એક સીમાચિહ્નરૂપ બની હતી, જે આધુનિક ભારતીય સાહિત્યમાં હજી પણ નિષિદ્ધ છે. ત્યારબાદ લિહાફને વ્યાપકપણે અંકલિત કરવામાં આવી છે અને તે ચુગતાઇની સૌથી વધુ પ્રશંસાપાત્ર કૃતિઓમાંની એક બની ગઈ છે.[37][1]
વર્ષોથી વિશાળ શ્રોતાઓને વાંચન માટે તેમનું વધુ કામ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોવાથી, ચુગતાઈના લેખનના મર્યાદિત અવકાશની આસપાસ કેન્દ્રિત ટીકાઓ પણ ઓછી થઈ ગઈ છે. ૧૯૩૩ના પશ્ચાદવર્તી ભાગમાં, નકવીએ ચુગતાઈના લખાણોના કથિત અવકાશનો પણ પ્રતિકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તેમનું કાર્ય લિહાફના કેન્દ્રમાં રહેલા વિષયો દ્વારા "ન તો મર્યાદિત હતું કે ન તો થાકેલું" હતું: "તેની પાસે રજૂ કરવા માટે ઘણું હતું, ઘણું બધું હતું".[7] તેમણે અલગથી જંગલી કબૂતરનું ઉદાહરણ આપ્યું હતું, જે ચુગતાઇની પ્રથમ નવલકથાઓમાંની એક હતી જે બેવફાઈના વિષયની શોધ કરતી હતી. નકવીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આ સમય સુધીમાં ઉર્દૂ સાહિત્યમાં પોતાની જાતને એક મહત્ત્વના અવાજ તરીકે પ્રસ્થાપિત કરી હોવા છતાં ચુગતાઈ હજુ પણ નવા વિષયોની તપાસ કરવા અને પોતાના કાર્યના વ્યાપને વિસ્તારવા માટે ઉત્સુક છે.[23]
ટેઢી લકીર, જેને ચુગતાઈના સર્વશ્રેષ્ઠ સર્જન તરીકે ગણવામાં આવે છે તેને હવે ટીકાકારો અને વિવિધ મીડિયા આઉટલેટ્સ દ્વારા ઉર્દૂ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ કૃતિઓમાંની એક માનવામાં આવે છે.[9][38] વિવેચક અને નાટ્યકાર શમીમ હન્ફી તેની સર્વોચ્ચ પ્રશંસા કરે છે અને કહે છે કે આ નવલકથા, ખાસ કરીને તેનો પ્રથમ ભાગ, વિશ્વ સાહિત્યના ઉચ્ચતમ ધોરણો સાથે મેળ ખાય છે.[39] હુસૈન તુલનાત્મક રીતે તેને ઉર્દૂ ભાષાની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક ગણાવે છે અને નોંધે છે કે ચુગતાઈ તેના તમામ સાહિત્યિક પ્રભાવો અને તેના પોતાના જીવંત અનુભવોને જોડીને એક ઉદ્દામવાદી લખાણ બનાવે છે. તેમણે નવલકથાના માળખાને એક બિલ્ડુન્ગ્સરોમન[upper-alpha 1] સાથે સરખાવ્યું અને તે સમયગાળાના રાષ્ટ્રવાદી અને નારીવાદી મુદ્દાઓની તેની તપાસની પ્રશંસા કરી છે.[10] ટીકાકારોએ પણ આ નવલકથામાં ચુગતાઇની લેખન શૈલીની તુલના ફ્રેન્ચ લેખક અને બૌદ્ધિક સિમોન ડી બ્યુવોઇર સાથે કરી છે, જે આ બંનેના અસ્તિત્વવાદી અને માનવતાવાદી જોડાણ પર આધારિત છે.[8]
ચુગતાઈ એક ઉદારમતવાદી મુસલમાન હતા, જેમની પુત્રી, ભત્રીજા અને ભત્રીજીના લગ્ન હિન્દુઓ સાથે થયા હતા. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો, ચુગતાઈ "હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પરિવારમાંથી આવી હતી, જેઓ બધા શાંતિથી જીવે છે".[40] તેણે કહ્યું કે તે માત્ર કુરાન જ નહીં, પરંતુ ગીતા અને બાઇબલ પણ નિખાલસતાથી વાંચે છે.[40]
ચુગતાઈની ટૂંકી વાર્તાઓમાં તેણી જે પ્રદેશમાં રહેતી હતી તેના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. તેમની વાર્તા "સેક્રેડ ડ્યુટી"માં આ બાબતને સારી રીતે દર્શાવવામાં આવી હતી, જેમાં તેમણે ભારતમાં સામાજિક દબાણોનો સામનો કર્યો હતો, જેમાં વિશિષ્ટ રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.[41][42]
ચુગતાઈના ઘડતરના વર્ષોમાં નઝર સજ્જાદ હૈદરે પોતાની જાતને એક સ્વતંત્ર નારીવાદી અવાજ તરીકે પ્રસ્થાપિત કરી હતી, અને બે તદ્દન ભિન્ન સ્ત્રીઓ હિજાબ ઇમ્તિયાઝ અલી અને રશીદ જહાંની ટૂંકી વાર્તાઓ પણ ચુગતાઈના શરૂઆતના લેખનમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતી હતી.[43]
અંગારે અને લિહાફ સહિતનાં તેમનાં ઘણાં લખાણો પર દક્ષિણ એશિયામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેમની સુધારાવાદી અને નારીવાદી વિષયવસ્તુએ રૂઢિચુસ્તોને નારાજ કર્યા હતા (ઉદાહરણ તરીકે, તેમનો એવો અભિપ્રાય કે મુસ્લિમ સમાજોમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો પડદો નકાબને મુસ્લિમ મહિલાઓ માટે હતોત્સાહિત કરવો જોઇએ કારણ કે તે જુલમી અને સામંતશાહી છે.[44]) તેના ઘણા પુસ્તકો પર વિવિધ સમયે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.[સંદર્ભ આપો]
૨૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ગૂગલે તેમનો ૧૦૭મો જન્મદિવસ ગૂગલ ડૂડલ સાથે ઉજવ્યો હતો.[45]
વર્ષ | શીર્ષક | ભૂમિકા | Notes |
---|---|---|---|
૧૯૪૮ | શિકાયત | – | સંવાદ લેખક |
૧૯૪૮ | ઝિદ્દી | – | |
૧૯૫૦ | આરઝૂ | – | |
૧૯૫૧ | બુઝદિલ | – | |
૧૯૫૨ | શીશા | – | |
૧૯૫૩ | ફરેબ | – | સહ-નિર્દેશન |
૧૯૫૪ | દરવાજા | – | |
૧૯૫૫ | સોસાયટી | – | |
૧૯૫૮ | સોને કી ચિડિયા | – | નિર્માતા |
૧૯૫૮ | લાલા રુખ | – | સહ દિગ્દર્શક અને નિર્માતા |
૧૯૬૬ | બહારે ફીરભી આયેગી | – | |
૧૯૭૩ | ગરમ હવા | – | ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ પટકથા પુરસ્કાર (કેફી આઝમી સાથે) |
૧૯૭૮ | ઝૂનૂન | મિરિયમ લાબાડોર | વિશેષ ઉપસ્થિતિ |
વર્ષ | કાર્ય | પુરસ્કાર | પુરસ્કાર શ્રેણી | પરિણામ | Ref. |
---|---|---|---|---|---|
૧૯૭૪ | ટેઢી લકીર | ગાલિબ પુરસ્કાર | શ્રેષ્ઠ ઉર્દૂ નાટક | વિજેતા | [46] |
૧૯૭૪–૭૫ | ગર્મ હવા | ૨૧મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર | શ્રેષ્ઠ પટકથા | વિજેતા | |
ફિલ્મફેર પુરસ્કાર | શ્રેષ્ઠ પટકથા | વિજેતા | |||
– | ભારત સરકાર રાજ્ય પુરસ્કાર | – | વિજેતા | ||
૧૯૭૬ | – | ભારતીય નાગરિક પુરસ્કાર | પદ્મશ્રી | વિજેતા | [47] |
૧૯૭૯ | – | આંધ્ર પ્રદેશ ઉર્દૂ અકાદમી પુરસ્કાર | મકદૂમ લાયબ્રેરી પુરસ્કાર | વિજેતા | |
૧૯૮૨ | – | સોવિયેત લેન્ડ નહેરુ પુરસ્કાર | – | વિજેતા | [48] |
૧૯૯૦ | – | રાજસ્થાન ઉર્દૂ અકાદમી | ઈકબાલ સન્માન | વિજેતા | [48] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.