![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b3/Shiv_Mandir%252C_Ambernath.jpg/640px-Shiv_Mandir%252C_Ambernath.jpg&w=640&q=50)
શિવ મંદિર, અંબરનાથ
From Wikipedia, the free encyclopedia
અંબરનાથનું શિવ મંદિર એ અગીયારમી સદીનું પ્રાચીન, ઐતિહાસિક હિંદુ મંદિર છે, જે હજુ પણ વપરાશમાં છે. આ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ નજીક આવેલ થાણા જિલ્લાના અંબરનાથ ખાતે આવેલ છે. આ મંદિર અંબરેશ્વર તરીકે પણ ઓળખાય છે અને સ્થાનિક લોકોમાં આ પુરાતન શિવાલય તરીકે ઓળખાય છે. આ મંદિર વાઢવણ (વાલધુની) નદીના કિનારે, અંબરનાથ રેલ્વે સ્ટેશનથી પૂર્વમાં ૨ (બે) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિર ઈ. સ. ૧૦૬૦માં[1] હેમાડપંતી વાસ્તુ-શૈલીમાં, સુંદર કોતરણીવાળા પથ્થર વડે શિલાહર રાજા ચિત્તરાજા દ્વારા બનાવવામાં આવેલ છે. કદાચ આ મંદિર ફરી તેમના પુત્ર મુમ્મુણી દ્વારા બનાવવામાં આવેલ પણ હોઈ શકે છે.[2] યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ સાંસ્કૃતિક સ્થાપ્ત્ય (આર્ટિસ્ટિક આર્કિટેક્ચર)ની યાદીમાં અંબરનાથના આ પ્રાચીન શિવમંદિરનો સમાવેશ થયેલ છે[3].
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b3/Shiv_Mandir%2C_Ambernath.jpg/640px-Shiv_Mandir%2C_Ambernath.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/af/Shiv_Mandir_Ambernath_%2C_Side_View.jpg/640px-Shiv_Mandir_Ambernath_%2C_Side_View.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8d/Udaipur_Temple%2C_west_side.jpg/640px-Udaipur_Temple%2C_west_side.jpg)
સામાન્યપણે આ મંદિરનું ગર્ભગૃહ જમીનથી નીચે આવેલ છે, જ્યાં ૨૦ પગથિયાં જેટલું ઊતરીને પહોંચી શકાય છે અને તેની ઉપરનું શિખર આકાશ તરફ ખુલ્લું અને મંડપ કરતાં થોડું વધારે ઊંચાઈવાળું છે. દેખીતી રીતે ખ્યાલ આવે છે કે ક્યારેય શિખરનું નિર્માણ પૂર્ણ થયું નથી. આ ભુમિજા પ્રકારનું શિખર જો પૂર્ણ કરવામાં આવ્યું હોત તો ઉદયપુર, મધ્ય પ્રદેશ ખાતે આવેલ ઉદયેશ્વર મંદિર (શરૂઆત ઈ. સ. ૧૦૫૯),[4] અને નાસિક જિલ્લાના સિન્નર ખાતે આવેલ ગોંડેશ્વર મંદિરને મહદંશે મળતું આવતું હોત.[5] જેટલું બાંધકામ થયેલ છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે બાંધકામ ઉપરનું શિખર ગવક્ષ-મધુકોશીય આકાર પર ચાર ખૂણીય વળાંકમય આકારમાં સંપૂર્ણ ઊંચાઈ સુધી અવિરતપણે આવરી લેવાયું હોત, અને તેના દરેક સોપાન વચ્ચે દરેક આધાર પર પાંચ શિલાઓની પંક્તિઓ હોત, જેના કારણે શિખરના કદમાં ઘટાડો થાય છે.[6]
મંડપના ભાગમાં ત્રણ તરફ દરવાજાઓ છે. અહીં બાહ્ય ભાગના કોતરકામને ઘણું નુકસાન પહોંચ્યુ છે, પરંતુ કેટલાક નારી અને દિવ્ય શિલ્પો સાબૂત રહેલ છે.[7]