ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
રાધનપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે.
લોકવાયકા મુજબ શહેરનું નામ રાધન ખાન ઉપરથી પડ્યું છે, જે ફતેહ ખાન બલોચનો વંશજ હતો. ફતેહ ખાન બલોચે ગુજરાત સલ્તનતના અહમદ શાહ તૃતીયથી આઝાદી મેળવી હતી અને હાલના રાધનપુર શહેરની જગ્યા પર પોતાનું રજવાડું સ્થાપ્યું હતું.[1]
રાધનપુર વાઘેલા રાજપૂતોના શાસન હેઠળ હતું અને વાઘેલા લુણાજી પરથી લુણાવાડા તરીકે જાણીતું હતું. પછીથી રાધનપુર ગુજરાત સલ્તનત હેઠળના શાસનમાંથી ફતેહ ખાન બલોચના શાસનમાં આવ્યું અને તે કુટુંબના વંશજ રાધન ખાન પરથી રાધનપુર નામ પડ્યું હોવાનું કહેવાય છે.
બાબી વંશના પૂર્વજો મુઘલ બાદશાહ હુમાયું જોડે અથવા ગુજરાત સલ્તનતના સુલ્તાન મુઝફ્ફર ત્રીજા (૧૫૬૧-૧૫૭૨)ના ચાકરો જોડે ભારતમાં પ્રવેશ્યા હતા. બહાદુર ખાન બાબી શાહજહાંના શાસનમાં થરાદનો વડો નિયુક્ત થયો હતો અને તેનો પુત્ર શેર ખાન બાબી ૧૬૬૩માં બેચરાજીનો થાણેદાર બન્યો. તેમના વંશજોએ રાધનપુરની આજુબાજુના કેટલાંક ગામોનું નિયંત્રણ મુઘલોના હેઠળ ૧૬૯૩ થી ૧૭૩૦ વચ્ચે જાળવી રાખ્યું હતું. ૧૭૪૩માં, બાબી વંશજ જવાન મર્દ ખાન બીજાએ અમદાવાદ પર કબ્જો મેળવ્યો અને ઉત્તર ગુજરાતના કેટલાંક ગામોને પોતાના નિયંત્રણમાં લાવ્યો. ૧૭૫૩માં તેને અમદાવાદ ખાતે મરાઠા ગાયકવાડે હરાવ્યો અને ગાયકવાડે તેનું ઉત્તર ગુજરાતના ગામો પરનું નિયંત્રણ માન્ય રાખ્યું. તેના વંશજોએ ધીમે-ધીમે કેટલાંક ગામો ગાયકવાડ વડે ગુમાવ્યા. ૧૮૧૩માં શેર ખાને ગાયકવાડ અને બ્રિટિશરો જોડે સંધિ કરીને બ્રિટિશ આશ્રિત રજવાડું બનાવ્યું.[2] તેના વંશજોએ ભારતની સ્વતંત્રતા સુધી રજવાડા પર રાજ્ય કર્યું. રાધનપુરનો છેલ્લો નવાબ મુર્તુઝા ખાન બાબી બહાદુર હતો અને રજવાડાને ૧૧ તોપોની સલામી મળતી હતી.
રાધનપુર રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું,[3] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. બોમ્બે પ્રેસિડેન્સીને સ્વતંત્રતા પછી બોમ્બે રાજ્યમાં ફેરવવામાં આવી. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થતા રાધનપુર બનાસકાંઠા જિલ્લામાં આવ્યું અને ત્યારબાદ તેનો સમાવેશ પાટણ જિલ્લામાં થયો.
રાધનપુર 23.83°N 71.6°E પર સ્થિત છે.[4] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૨૭ મીટર (૮૮ ફીટ) છે.
રાધનપુર શહેરની ફરતે આઠ દરવાજાઓ ધરાવતી પથ્થરની દિવાલ હતી. શહેરમાં રાજગઢી કહેવાતો કિલ્લો આવેલો છે, જે નવાબનું નિવાસસ્થાન હતું. અહીં ૨૪ જૂનાં જૈન અને ૧૦ જૂનાં હિંદુ મંદિરો અને ૧૦ મસ્જિદો આવેલ છે. જૈન મંદિરોમાં કેટલાંક રંગબેરંગી પથ્થરો ધરાવતી છત ધરાવે છે. નવાબ જોરાવર ખાનની કબર સહિત અન્ય નવાબોની કબરો પણ આવેલી છે.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.