જૈન તત્વજ્ઞાન
From Wikipedia, the free encyclopedia
જૈન તત્વજ્ઞાન એ જૈન ધર્મમાં જોવા મળતી પ્રાચીન ભારતીય દાર્શનિક પ્રણાલી છે. જૈન ફિલસૂફીની મુખ્ય વિશેષતાઓમાંની એક તેનું દ્વૈતવાદી અધ્યાત્મશાસ્ત્ર છે, જે અસ્તિત્વની બે અલગ-અલગ શ્રેણીઓ ધરાવે છે, જીવંત, સભાન અથવા સંવેદનશીલ અસ્તિત્વ (જીવ તત્ત્વ) અને નિર્જીવ અથવા ભૌતિક (અજીવ તત્ત્વ ). [1]
જૈન ગ્રંથો જ્ઞાનશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને મુક્તિશાસ્ત્ર જેવા અસંખ્ય દાર્શનિક વિષયોની ચર્ચા કરે છે. જૈન વિચાર મુખ્યત્વે જીવંત પ્રાણીઓના સ્વભાવને સમજવા પ્રયત્ન કરે છે આ સાથે તે કેવી રીતે જીવો કર્મ (જેને સૂક્ષ્મ ભૌતિક કણો તરીકે જોવામાં આવે છે) દ્વારા બંધાયેલા છે અને કેવી રીતે જીવંત પ્રાણીઓ પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ મોક્ષ પામી શકે છે તેનું વિશ્લેષણ કરે છે. આ સાથે આદિ કે અંત ન ધરાવતા એવા વર્તુળાકાર અનંત બ્રહ્માંડ અને સૃષ્ટિ રચનારા કોઈ દેવના અસ્તિત્વનો ઇનકાર કરતી જૈન માન્યતા નોંધનીય છે.
જૈન દૃષ્ટિકોણથી અનુસાર જૈન તત્વજ્ઞાન શાશ્વત છે અને તે મહાન પ્રબુદ્ધ તીર્થંકરો દ્વારા અનંત ભૂતકાળથી અસંખ્ય વખત તે શીખવવામાં આવ્યું છે. [2] [3] ઈતિહાસકારો જૈન વિચારના વિકાસને પ્રાચીન ભારતની કેટલીક મુખ્ય વ્યક્તિઓ, મુખ્યત્વે મહાવીર (ઈ.સ. પૂર્વે ૫મી સદી, બુદ્ધના સમકાલીન) અને કદાચ પાર્શ્વનાથ (ઈ.સ. પૂર્વે ૮મી કે ૭મી સદી ઈ.સ. આ વિવાદિત છે)થી જોડે છે. [4]
પૌલ ડુંડાસના જણાવ્યા મુજબ, જૈન દર્શન તેના લાંબા ઇતિહાસ દરમિયાન પ્રમાણમાં સ્થિર રહ્યું છે અને તેમાં કોઈ મોટું આમૂલ સૈદ્ધાંતિક પરિવર્તન થયું નથી. આ મુખ્યત્વે ઉમાવતીના તત્ત્વાર્થસૂત્રના પ્રભાવને કારણે છે, જે તમામ જૈનોમાં કેન્દ્રિય અધિકૃત દાર્શનિક ગ્રંથ તરીકે રહ્યો છે. [4]