આત્મહત્યા
ઇરાદાપૂર્વક પોતાનો જીવ લેવાની ક્રિયા / From Wikipedia, the free encyclopedia
આત્મહત્યા અથવા આપઘાત એટલે કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક પોતાનો જીવ લેવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું અને ગળે ફાંસો ખાવો વગેરે આત્મહત્યા માટે ઉપયોગમાં લેવાતી સામાન્ય પદ્ધતિઓ છે. ઊંચાઈએથી પડતું મૂકવું, વાહનો નીચે છૂંદાઈને મરવું, બંદૂકની ગોળીથી મરવું, સામૂહિક મૃત્યુ વગેરે તેની ઓછી જાણીતી પદ્ધતિઓ છે. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ ૩૦૨ મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે.
આત્મહત્યા એક સંકુલ મનોવૈજ્ઞાનિક વર્તનઘટના અને સામાજિક સમસ્યા છે. દરેક આત્મહત્યાના ૧૦થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે એવું નોંધાયું છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે; પરંતુ સ્ત્રીઓ કરતાં પુરુષો આત્મહત્યાના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે એવું અત્યાર સુધીના અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. અપરિણીત કે છૂટાછેડા લીધેલ, એકલી રહેતી કે વિધવા-વિધુર વ્યક્તિઓમાં થતી આત્મહત્યાનું પ્રમાણ પરિણીત અને સંતાનોવાળી વ્યક્તિઓ દ્વારા થતી આત્મહત્યાના પ્રમાણ કરતાં વધારે જોવા મળે છે.[1]
આત્મહત્યાથી થતા મૃત્યુનો દર પૂર્વ યુરોપના દેશોમાં વર્ષે એક લાખ વ્યક્તિઓએ ૨૫ કે તેથી વધારે છે, જ્યારે સ્પેન કે ઇટાલી જેવા કેટલાક દેશોમાં આ દર વર્ષે ૧ લાખ વ્યક્તિઓએ ૧૦ કે તેથી પણ ઓછો છે.[1]