ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની From Wikipedia, the free encyclopedia
સવિતા ભીમરાવ આંબેડકર (૨૭ જાન્યુઆરી ૧૯૦૯ – ૨૯ મે ૨૦૦૩) એ ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને ભારતીય બંધારણના પિતા બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની હતાં. આંબેડકરવાદીઓ અને બૌદ્ધો તેમને માઇ અથવા માઇસાહેબ તરીકે ઓળખાવે છે.[1][2]
સવિતા આંબેડકર | |
---|---|
સવિતા ભીમરાવ આંબેડકર | |
જન્મની વિગત | શારદા કૃષ્ણરાવ કબીર 27 January 1909 |
મૃત્યુ | 29 May 2003 94) | (ઉંમર
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | માઈ (માતા), માઈસાહેબ આંબેડકર |
શિક્ષણ | એમબીબીએસ |
શિક્ષણ સંસ્થા | ગ્રાન્ટ મેડિકલ કોલેજ, મુંબઈ, મહારાષ્ટ્ર |
વ્યવસાય | સમાજસેવિકા, ચિકિત્સક |
પ્રખ્યાત કાર્ય | સામાજિક કાર્ય |
ચળવળ | દલિત બૌદ્ધિક ચળવળ |
જીવનસાથી | બાબાસાહેબ આંબેડકર (m. 1948 - d. 1956) |
બી. આર. આંબેડકરની વિવિધ ચળવળોમાં, ભારતીય બંધારણ અને હિન્દુ સંહિતા વિધેયકો તેમજ અન્ય પુસ્તકોના લેખન અને બૌદ્ધ સામૂહિક ધર્માંતરણ દરમિયાન તેમણે બાબાસાહેબની મદદ કરી હતી. બાબાસાહેબ આંબેડકરે તેમના પુસ્તક ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મની પ્રસ્તાવનામાં પોતાનું જીવન આઠ-દસ વર્ષ સુધી લંબાવવાનો શ્રેય સવિતાબાઈને આપ્યો હતો.[3][4][5]
સવિતા આંબેડકરનો જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૯૦૯ના રોજ મુંબઈમાં મરાઠી સરસ્વતી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું જન્મનું નામ "શારદા કબીર" હતું. તેમની માતાનું નામ જાનકી અને પિતાનું નામ કૃષ્ણરાવ વિનાયક કબીર હતું. તેમનો પરિવાર મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દૂર્સ ગામનો રહેવાસી હતો. બાદમાં તેમના પિતા રત્નાગિરીથી બોમ્બે આવ્યા હતા. અહીં તેમણે સર રાવ બહાદુર સી. કે. બોલે રોડ પર, દાદરની પશ્ચિમમાં માતૃછાયામાં એક ઘર ભાડે લીધું હતું.[6][7][8]
સવિતા આંબેડકર એક તેજસ્વી વિદ્યાર્થીની હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેમાં પૂર્ણ થયું હતું. ત્યારબાદ, ૧૯૩૭ની આસપાસ તેમણે ગ્રાન્ટ મેડિકલ કોલેજ, બોમ્બેમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમની નિમણૂક ગુજરાતની એક મોટી હોસ્પિટલમાં પ્રથમ શ્રેણીના ચિકિત્સા અધિકારી (મેડિકલ ઓફિસર) તરીકે કરવામાં આવી હતી. ગુજરાત વસવાટ દરમિયાન ટૂંકી માંદગીને કારણે તેઓ નોકરી છોડીને મુંબઈમાં પોતાના પરિવાર પાસે પરત ફર્યા હતા. તેમના આઠમાંથી છ ભાઈ–બહેનોના આંતરજ્ઞાતિય લગ્ન થયા હતા. તે દિવસોમાં મરાઠી બ્રાહ્મણ માટે તે એક અસાધારણ બાબત હતી. એ સંદર્ભે તેઓ જણાવે છે કે, "અમારા પરિવારે આંતરજ્ઞાતિય લગ્નોનો વિરોધ કર્યો ન હતો, કારણ કે આખો પરિવાર શિક્ષિત અને પ્રગતિશીલ હતો."[9][6]
મુંબઈના વિલે પાર્લેમાં એસ. એમ. રાવ નામના એક ડૉક્ટર રહેતા હતા, જેમને બી. આર. આંબેડકર સાથે ગાઢ સંબંધ હતા. આંબેડકર જ્યારે પણ દિલ્હીથી મુંબઈ આવતા ત્યારે તેઓ ઘણીવાર ડૉક્ટરને મળવા જતા હતા. શારદા કબીર પણ ડૉ. રાવ સાથે પારિવારીક સંબંધો હોવાથી ઘણી વાર તેમના ઘરે જતા હતા. એક દિવસ બાબાસાહેબ આંબેડકર દિલ્હીથી આવ્યા તે સમયે ડો.શારદા કબીર પણ ત્યાં હાજર હતા. ડૉ. રાવે આંબેડકર સાથે તેમની ઔપચારિક ઓળખ કરાવી હતી. બાબાસાહેબ તે સમયે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં શ્રમ પ્રધાન હતા. ડૉ. શારદા, ડૉ. આંબેડકરના અદ્ભૂત વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા. પોતાની પ્રથમ મુલાકાતમાં તેમને સમજાયું કે ડૉ. આંબેડકર એક અસાધારણ અને મહાન વ્યક્તિ છે, આ પ્રથમ બેઠકમાં આંબેડકરે સહાનૂભૂતિથી કબીર વિશે પૂછપરછ કરી હતી. તેનું કારણ એ હતું કે તેઓ મહિલાઓની પ્રગતિ પર કામ કરી રહ્યા હતા. આંબેડકરે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં બૌદ્ધ ધર્મ વિશે પણ ચર્ચા થઈ હતી.[7][10]
તેમની બીજી બેઠક ડૉ. માવળંકરના સલાહખંડમાં થઈ હતી. આંબેડકર તે સમયે ઉચ્ચ રક્તચાપ, મધુપ્રમેહ અને સાંધાના દુખાવા સહિત સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાઈ રહ્યા હતા. ૧૯૪૭માં ભારતીય બંધારણના લેખન દરમિયાન ભીમરાવ આરોગ્ય સંબંધિત સમસ્યાઓને કારણે સૂઇ શકતા ન હતા. પગમાં ન્યુરોપેથિક દુખાવો રહેતો હતો. ઇન્સ્યુલિન અને કેટલીક હોમિયોપેથિક દવાઓને કારણે તેમને અમુક અંશે રાહત રહેતી હતી. તેઓ સારવાર માટે બોમ્બે ગયા ત્યારે ડૉ. શારદા અને આંબેડકરની એકબીજાની નજીક આવ્યા હતા. આંબેડકરના પ્રથમ પત્ની રમાબાઈ આંબેડકરનું લાંબી માંદગી બાદ ૧૯૩૫માં અવસાન થયું હતું. આ રીતે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. પાછળથી પત્રવ્યવહાર પણ શરૂ થયો. તેમની મુલાકાતોમાં સાહિત્ય, સમાજ, ધર્મ વગેરેની વાતો થતી. કેટલીક વાર ચર્ચા-વિમર્શ પણ ચાલતો. આંબેડકર સવિતાબાઈની દલીલો ધ્યાનથી સાંભળતા અને પછી જવાબ આપતા. ૧૯૪૭માં આંબેડકર પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં હતા. તેમણે અનુભવ્યું કે તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કોઈ હોવું જોઈએ. ૧૬ માર્ચ ૧૯૪૮ના રોજ દાદાસાહેબ ગાયકવાડને લખેલા પત્રમાં આંબેડકરે લખ્યું હતું કે, "સ્વાસ્થ્ય માટે કે ઘરની સંભાળ રાખવા માટે સ્ત્રી નર્સ રાખવાથી લોકોના મનમાં શંકા–કુશંકાઓ થશે, તેથી લગ્ન એ વધુ સારો માર્ગ છે." યશવંતની માતા (રમાબાઈ)ના અવસાન પછી મેં લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજની પરિસ્થિતિમાં મારે મારો નિર્ણય છોડવો પડશે." આંબેડકરે શરીરની નરમ પ્રકૃતિના કારણોસર ડોક્ટર શારદા કબીર પાસેથી તબીબી સેવા લીધી હતી. પરિણામે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.[11][12]
તેમણે "ડૉ. આંબેડકરંચ્ય સહવાસત" (ગુજરાતી: ડૉ. આંબેડકર સાથેના સહવાસમાં) નામનું યાદગાર અને આત્મકથનાત્મક મરાઠી પુસ્તક લખ્યું હતું. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ફિલ્મમાં પણ ફાળો આપ્યો હતો. આ ફિલ્મમાં મૃણાલ કુલકર્ણીએ તેમનું પાત્ર ભજવ્યું હતું.[13]
પતિના મૃત્યુ બાદ સવિતા આંબેડકર એકલા પડી ગયા હતા. બાદમાં તે થોડો સમય માટે દલિત આંદોલનમાં ફરી જોડાયા હતા. ૧૯ એપ્રિલ, ૨૦૦૩ના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેમને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૯ મે, ૨૦૦૩ના રોજ મુંબઈની જે. જે. હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[14][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.