From Wikipedia, the free encyclopedia
ગિરનાર ઉડનખટોલા એ ભારતના ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલો એક ઉડનખટોલા (રોપ-વે) છે. તે એશિયાનો સૌથી લાંબો ઉડનખટોલા છે. ૧૯૮૩થી પ્રસ્તાવિત હોવા છતાં સરકારની મંજૂરીમાં વિલંબ અને અદાલતી દાવાઓને લીધે છેક સપ્ટેમ્બર ૨૦૧૮માં તેનું બાંધકામ શરૂ થયું. તેનું બાંધકામ ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું અને અને હવે સંચાલન પણ તેના દ્વારા જ કરવામાં આવે છે. તેનું ઉદ્ઘાટન ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને ઘણા હિન્દુ મંદિરો તેમજ અનેક જૈન મંદિરો હોવાને કારણે ગિરનાર પર્વત ગુજરાતનું એક મુખ્ય તીર્થસ્થળ છે.[1]
આ પ્રકલ્પ સૌ પ્રથમ ૧૯૮૩માં ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 9.1 hectares (22 acres) જંગલની જમીનને સામાન્ય જમીનમાં ફેરવવા સૂચન કર્યું હતું. ગુજરાત સરકારે ૧૯૯૪માં કુલ 7.29 hectares (18.0 acres) જંગલની જમીનને સામાન્ય જમીનમાં ફેરવવા મંજૂરી આપી હતી અને તોરણિયા ગામ નજીક તેના બદલામાં નવી જંગલની જમીનને મંજૂરી આપી હતી. ભારત સરકારે પણ ૧૯૯૫માં આ અંગે મંજૂરી આપી હતી.[1]
યાત્રાળુઓને પર્વત ઉપર લઈ જનારા પાલખીધારકોએ આ પ્રકલ્પનો વિરોધ કર્યો હતો અને તેમની આજીવિકા અંગે ગુજરાત વડી અદાલતમાં અરજી કરી હતી. ઉડનખટોલા બાંધતી કંપની ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા વળતર સ્વરૂપે વૈકલ્પિક આજીવિકા માટે સંમતિ આપ્યા બાદ આ અરજીને ખારીજ કરી દેવામાં આવી હતી.[1] ૨૦૨૦માં પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત પાલખીધારકો માટે કુલ ૧૦૪ દુકાનો નીચલા મથકના પાર્કિંગમાં બાંધવામાં આવી રહી હતી.[2] ૧૯૯૯માં પર્યાવરણીય કર્મશીલોના વાંધા બાંધકામ ફરી બંધ કરવામાં આવ્યું હતું.[1]
વાંધાઓને દૂર કર્યા પછી ૨૦૦૨માં કામ ફરી શરૂ થયું અને ૨૦૦૭માં જમીન હસ્તગત કરવામાં આવી. ત્યારના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકલ્પનો શિલાન્યાસ કર્યો. આ પ્રકલ્પ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની અંદર હોવાથી વન્યજીવન સંરક્ષણ અંગેની મંજૂરી નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફ દ્વારા ૨૦૧૧માં મળી, જ્યારે પર્યાવરણીય મંજૂરી ભારતના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા ૨૦૧૬માં આપવામાં આપી હતી.[1][3][4][5]
ગિરનારી ગીધ માટે રોપ-વેનો પ્રસ્તાવિત માર્ગ જોખમી ગણી ૨૦૧૭માં આ અંગે એક જાહેર હિતની અરજી ગુજરાત વડી અદાલતમાં દાખલ કરવામાં આવી હતી જેને ગુજરાત વડી અદાલતે ૨૦૨૦માં ખારીજ કરી દીધી હતી.[6][7]
અંતે સપ્ટેમ્બર ૨૦૧૮માં બાંધકામ ફરીથી શરૂ કરાયું હતું.[8] આ પ્રોજેક્ટ મે ૨૦૨૦માં ખુલ્લો મુકાવાનો અંદાજ હતો પરંતુ કોવિડ-૧૯ મહામારીને કારણે વધુ વિલંબ થયો હતો.[9][10] તેની સપ્ટેમ્બર ૨૦૨૦માં આખરી ચકાસણી કરવામાં આવી હતી અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. [11][12] આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તત્કાલીન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ ઓક્ટોબર ૨૦૨૦માં કર્યુ હતું.[13][14]
આ ઉડનખટોલા 2,320 metres (7,600 ft) લાંબો એટલે કે એશિયાનો સૌથી લાંબો ઉડનખટોલા છે.[15][16][17] તે કુલ ₹૧૩૦ crore (US$૧૭ million)ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો જેમાં નીચલા અને ઉપલા મથકો તેમજ ઉડનખટોલાને ટેકો આપતા થાંભલા બાંધવાનો ખર્ચ પણ શામેલ છે. [18] આ ઉડનખટોલા મોનો-કેબલ ગોંડોલા ડિટેચેબલ પ્રકારની લિફ્ટ્સ ચલાવે છે.[19] તે મુસાફરોને તળેટીથી 850 metres (2,800 ft) ઊંચે આવેલા અંબાજી મંદિરે લઈ જાય છે. તેમાં આઠ મુસાફરોની ક્ષમતાવાળી ૨૫ ટ્રોલીઓ છે. તે પ્રતિકલાક ૧૦૦૦ મુસાફરોને ઉપર લઇ જઈ શકે છે પરંતુ અત્યારે પ્રતિકલાક ૮૦૦ મુસાફરો અને દિવસના કુલ ૮૦૦૦ મુસાફરની ક્ષમતાથી કાર્ય કરે છે.[8][12][20][21] આ સફરમાં ૭.૪૩ મિનિટ લાગે છે.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.