![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0d/Harshnathtemple.jpg/640px-Harshnathtemple.jpg&w=640&q=50)
હર્ષનાથ મંદિર
From Wikipedia, the free encyclopedia
હર્ષનાથ મંદિર ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિકર જિલ્લાના મુખ્ય શહેર સિકરથી નજીક પહાડી પર સ્થિત એક ઐતિહાસિક મંદિર છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર આ સ્થાન પૂર્વકાળમાં ૩૬ માઇલના ઘેરામાં વસેલ હતું[1]. વર્તમાન સમયમાં હર્ષનાથ નામનું ગામ હર્ષગિરિ પહાડીની તળેટીમાં વસેલ છે અને સિકરથી આશરે આઠ માઇલ જેટલા અંતરે દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલ છે. આ હર્ષગિરિ પર્વત ૨૯૭૩ ફૂટ (૯૦૦ મીટર) ઊંચાઈ ધરાવે છે અને તેના ઉપર લગભગ ૯૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન મંદિરોના ખંડેરો આવેલ છે. આ મંદિરો ખાતે એક કાળા પથ્થર પર કોતરેલ લેખ પ્રાપ્ત થયેલ છે, જેની શરૂઆત શિવસ્તુતિથી થાય છે અને પૌરાણિક કથાના સ્વરૂપમાં લેખ લખવામાં આવેલ છે, જેમાં હર્ષગિરિ પર્વત અને મંદિરનું વર્ણન છે અને તેમાં લખ્યું છે કે આ મંદિરના નિર્માણનું કાર્ય અષાઢ શુક્લ ત્રયોદશ, સોમવાર, વિક્રમ સંવત ૧૦૧૨ (૯૫૬ એડી) થી શરુ કરવામાં આવ્યું હતું અને વિગ્રહરાજ ચૌહાણના સમયકાળમાં વિક્રમ સંવત ૧૦૩૦ (૯૭૩ એડી) પૂર્ણ કરવામાં આવ્યું હતું[2]. આ લેખ સંસ્કૃત ભાષામાં છે અને તે રામચંદ્ર નામના કવિ દ્વારા લખાયો હતો. આ મંદિરના ભગ્નાવશેષોમાં અનેક સુંદર કલાપૂર્ણ મૂર્તિઓ અને સ્તંભો વગેરે પ્રાપ્ત થયેલ છે, જેમાંથી મોટા ભાગના અવશેષો સિકર ખાતે સંગ્રહાલયમાં સુરક્ષિત છે.
હર્ષનાથ મંદિર | |
---|---|
हर्षनाथ मंदिर | |
![]() હર્ષનાથ મંદિર, રાજસ્થાન | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | સિકર જિલ્લો |
દેવી-દેવતા | શિવ (હર્ષનાથ) |
સ્થાન | |
સ્થાન | સિકર |
રાજ્ય | રાજસ્થાન |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 27°30′59.79″N 75°11′1.76″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | મહામેરુ શૈલી, વાસ્તુશાસ્ત્ર તેમ જ પંચરાત્રશાસ્ત્ર |
નિર્માણકાર | શૈવ સંત ભાવરક્ત |
પૂર્ણ તારીખ | વિક્રમ સંવત ૧૦૩૦ (ઇ.સ. ૯૭૩) |
ચૌહાણ શાસકોના કુળ દેવતા - શિવ હર્ષનાથનું આ મંદિર હર્ષગિરિ પર આવેલ છે અને તેનું નિર્માણ મહામેરુ શૈલીમાં કરવામાં આવેલ છે. વિક્રમ સંવત ૧૦૩૦ (૯૭૩ એડી)ના એક અભિલેખ મુજબ આ મંદિરનું નિર્માણ ચૌહાણ શાસક વિગ્રહરાજ પ્રથમના શાસનકાળમાં એક શૈવ સંત ભાવરક્ત દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં એક ગર્ભગૃહ, અંતરાલ, કક્ષાસનયુક્ત રંગમંડપ અને અર્ધમંડપ સાથે એક અલગ નદીમંડપ પણ છે. તેના મૂળભૂત તબક્કામાં આ મંદિર એક શિખર દ્વારા પરિપૂર્ણ હતું, જે હાલમાં ખંડિત થઈ ગયેલ છે. વર્તમાન ખંડિત અવસ્થામાં પણ આ મંદિર તેની સ્થાપત્ય વિશિષ્ટતાઓ અને દેવી-દેવતાઓની પ્રતિમાઓ સહિત નૃત્યકારો, સંગીતકારો, યોદ્ધાઓ અને કીર્તિમુખના પ્રારૂપવાળી સુશોભન દૃશ્યાવલિઓની ઉત્તમ શિલ્પકૌશલ માટે ઉલ્લેખનીય છે. આ મંદિરની સંલગ્ન એક ઉચ્ચ અધિષ્ઠાન પર સ્થિત બીજું મંદિર ઉત્તર મધ્યકાલીન છે અને તે માટે ભગવાન શિવને સમર્પિત છે. નજીકમાં સ્થિત એક અન્ય મંદિર ભૈરવને સમર્પિત છે[3].