વિષ્ણુ સહસ્રનામ
ભગવાન વિષ્ણુના 1000 નામ / From Wikipedia, the free encyclopedia
વિષ્ણુ સહસ્રનામ (સંસ્કૃત, તત્પુરુષ સમાસ જેનો શબ્દશઃ અનુવાદ "વિષ્ણુના હજાર નામો" થાય છે) એ હિંદુ ધર્મમાં ઇશ્વરના મુખ્ય રૂપોમાંના એક ભગવાન વિષ્ણુના ૧,૦૦૦ નામો (સહસ્રનામ)ની સૂચિ છે. તે હિંદુ ધર્મમાં સૌથી વધુ પવિત્ર માનવામાં આવતો અને સૌથી વધુ રટણ કરવામાં આવતા સ્તોત્રોમાનો એક છે. વિષ્ણુ સહસ્રનામ મહાભારતમાં જોવા મળે છે તેમજ ભગવાન વિષ્ણુના ૧,૦૦૦ નામોની સૌથી જાણીતી આવૃત્તિ છે. પદ્મ પુરાણ અને મત્સ્ય પુરાણમાં અન્ય આવૃત્તિઓ છે. દરેક નામ તેમના અસંખ્ય ગુણોમાંના એકનો મહિમા ગાય છે.
મહાકાવ્ય મહાભારતમાં અનુશાસનપર્વ ના ૧૪૯માં પ્રકરણ અનુસાર, કુરુક્ષેત્રના યુદ્ધમાં મરણ શૈયા પર પડેલા ભીષ્મે આ નામો યુધિષ્ઠિરને સોંપ્યા. યુધિષ્ઠિર ભીષ્મને નીચેના પ્રશ્નો પૂછે છે:[1][2]
બધા દેવોમાં પરમ દેવ કોણ? કોણ પરમ ધામ છે? તમાર મતે ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો ? કોના જપ કરવાથી જન્મ-મરણના બંધનમાંથી જીવ મુક્ત થઇ શકે?
— Verses 7:8
ભીષ્મ એમ કહીને ઉત્તર આપે છે કે વિષ્ણુ સહસ્રનામનું રટણ કરવાથી માનવજાત બધા જ દુ:ખોમાંથી મુક્ત થશે 'જે સર્વ-વ્યાપી સર્વોચ્ચ વિષ્ણુના હજાર નામો છે, જેઓ સર્વ લોકના સ્વામી, પરમ પ્રકાશ, સૃષ્ટિના સાર છે અને, બ્રાહ્મણ છે.જડ અને ચેતન બધા જ પદાર્થો તેમનાંમાં વસે છે અને તેઓ બધા પદાર્થોમાં વસે છે.
વિષ્ણુ સહસ્રનામ ઘણા બધા ભાષ્યોનો વિષય બન્યું છે. આદિ શંકરાચાર્યે 8મી સદીમાં સહસ્રનામ પર એક પ્રમાણિત ભાષ્ય લખ્યું, જે સૌથી પ્રાચીન છે અને આજે પણ તેનો પ્રભાવ અનેક હિંદુત્વની શાળાઓ પર જોવા મળે છે. રામાનુજાચાર્યના એક અનુયાયી પરાશર ભટ્ટરે 12મી સદીમાં, વિષ્ણુના નામોને વિશિષ્ટઅદ્વૈત દ્રષ્ટિકોણથી વિગતવાર સમજાવતું એક ભાષ્ય લખ્યું. માધવાચાર્યે પણ વિષ્ણુ સહસ્રનામ પર એક ભાષ્ય લખ્યું, તેઓએ દર્શાવ્યું કે વિષ્ણુ સહસ્રનામના દરેક શબ્દના ઓછામાં ઓછા 100 અર્થ છે જેને તત્કાલીન પ્રજા દ્વારા પડકારવામાં આવ્યું, શ્રી માધવાચાર્યે દરેક વિષ્ણુ સહસ્રનામના ફક્ત 100 અર્થ જ નથી આપતા, પણ દરેક અર્થને બહુસ્તરીય જટિલતા આપતું વિસ્તરણ કરે છે અને સહસ્રનામનો મૂળ અને ગહન અર્થ ધારણ કરવાના ગુણને દર્શાવે છે. હિંદુ સાહિત્યમાં શિવ, દેવી, ગણેશ અને અન્ય જાણીતા દેવોને સમર્પિત સહસ્રનામોનો સમાવેશ થાય છે પણ તેમાંના કોઇને મહાભારત, વેદો કે ઉપનિ્ષદો સાથે દૃઢ સંબંધ નથી.