રેંટિયા બારસ
From Wikipedia, the free encyclopedia
રેંટિયા બારસ એટલે કે ભાદરવા વદ બારસ એ ગુજરાતી પંચાંગ પ્રમાણે ઉજવાતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે.[1][2] ગાંધીજીનો જન્મ વિક્રમ સંવત ૧૯૨૫માં ભાદરવા વદ બારસના દિવસે ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા પોરબંદર શહેરમાં થયો હતો.[3] રેંટિયો ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ગાંધીજી દ્વારા સ્વદેશી અને શ્રમનું પ્રતિક બન્યો હતો. ઇસવીસન ૧૯૨૫માં ગાંધીજીએ લાખો ગરીબોને રોજગાર આપવા અને આત્મનિર્ભર બનાવવા માટે "અખિલ ભારતીય ચરખા સંઘ"ની સ્થાપના કરી હતી.[4]
બારડોલી સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થીના જણાવ્યા અનુસાર, "બધા પોતાનો જન્મ દિવસ પોતાના માટે ઊજવતાં હોય છે પરંતુ બાપુએ પોતાના જન્મ દિવસ એટલે કે ભાદરવા વદ બારસને રેંટિયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું." તેઓ વધુમાં કહે છે કે, બાપુનો "મુખ્ય ઉદ્દેશ દરેક હાથોને કામ આપવાનો હતો. રેંટિયાથી રૂની પૂણી વણવીથી કાંતણ, વણાટકામ સુધીની પ્રવૃતિમાં અનેક લોકોને રોજગારી મળી રહે છે. જેને કારણે ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે."[1]