રામસેતુ
હિંદુ ધર્મનું મહત્વનું સ્થળ / From Wikipedia, the free encyclopedia
રામસેતુ (તમિલ: இராமர் பாலம், ஆதாம் பாலம், સંસ્કૃત/હિંદી: रामसेतु, મલયાલમ: രാമസേതു, અંગ્રેજી: Adam's Bridge) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાનાં રામેશ્વરમ (પંબન ટાપુ)ના દરિયા કિનારેથી શરૂ થતી સમુદ્રનાં છીછરા તટમાં પથરાયેલી ચૂનાના પથ્થરની શૃંખલા છે, જે બીજે છેડે શ્રીલંકાનાં વાયવ્ય તટ પર આવેલા મન્નાર દ્વીપ સુધી પ્રસરેલી છે. આ ખડક શૃંખલા હિંદુ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. હિંદુ ધર્મના મહત્વના ગ્રંથ રામાયણમાં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. એમાં દર્શાવ્યા પ્રમાણે રામસેતુનું નિર્માણ ભગવાન રામની વાનરસેનાએ રાજા રાવણની લંકા પર ચઢાઇ કરવા માટે પથ્થરો વડે કર્યું હતું અને આ સેતુ પરથી રામસેના લંકામાં પહોંચી હતી. ભૂસ્તરશાસ્ત્રીય પુરાવાઓ પરથી એમ ફલિત થાય છે કે આ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચેનું ભૂતપૂર્વ ભૂમિ જોડાણ છે.[1]
રામસેતુ ૩૦ કિમી (૧૮ માઇલ) લાંબો છે [2] અને મન્નારની ખાડીને 'પાક સ્ટ્રેટ'થી અલગ પાડે છે. આખા વિસ્તારમાં કેટલીક જગ્યાએ રેતાળ પટ એકદમ કોરો છે અને ઘણી જગ્યારે દરિયો ઘણો છીછરો છે, ઊંડાણ ફક્ત ૩થી ૩૦ ફીટ (૧થી ૧૦ મીટર) જેટલું જ છે જેને કારણે વહાણવટું લગભગ અશક્ય બને છે.[1][3][4] અમુક અહેવાલો મુજબ લગભગ ૧૫મી સદી સુધી ખાડીનો આ ભાગ પગે ચાલીને આ સેતુ પરથી પાર કરી શકાય તેમ હતો. ત્યારબાદ સમયાંતરે આવેલા સમુદ્રી તોફાનોને કારને ખાડીની ઉંડાઈ વધી ગઈ: મંદિરની નોંધો અનુસાર ૧૪૮૦માં આવેલા ચક્રવાતમાં તુટતા પહેલા સુધી રામસેતુ સંપૂર્ણ પણે દરિયાની સપાટીથી ઉપર હતો.[5]