![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Tomato_leaf_stomate_1-color.jpg/640px-Tomato_leaf_stomate_1-color.jpg&w=640&q=50)
બાષ્પોત્સર્જન
From Wikipedia, the free encyclopedia
બાષ્પોત્સર્જન એ બાષ્પીભવન જેવી એક પ્રક્રિયા છે. તે જળ ચક્રનો એક ભાગ છે, અને તે વનસ્પતિના ભાગોમાંથી ખાસ કરીને પાંદડા ઉપરાંત થડ, ફૂલો અને મૂળમાંથી પણ (પ્રસ્વેદનની જેમ) પાણીની વરાળ ગુમાવે છે. પાંદડાની સપાટીઓ છિદ્રોથી ખુલે છે જે સંયુક્ત રીતે સૂક્ષ્મ છિદ્રો કહેવાય છે, અને મોટા ભાગની વનસ્પતિઓમાં તે પાંદડાઓની નીચેની બાજુએ સંખ્યાબંધ પ્રમાણમાં હોય છે. સૂક્ષ્મ છિદ્રોની આસપાસ સંરક્ષણાત્મક કોષો આવેલા હોય છે, જે છિદ્રોને ખુલ્લા અને બંધ કરે છે. [1]પાંદડા પરથી સૂક્ષ્મ છિદ્રો દ્વારા બાષ્પોત્સર્જન થાય છે, અને સૂક્ષ્મ છિદ્રોના ખુલવાને પ્રકાશસંશ્લેષણ માટે હવામાંથી પ્રસારેલા કાર્બન ડાયોક્સાઈડ મેળવવા માટેની આવશ્યક "કિંમત" તરીકે આપણે વિચારી શકીએ. બાષ્પોત્સર્જન વનસ્પતિને ઠંડી પણ રાખે છે અને મૂળથી અંકુર સુધી પાણી અને ખનીજ પોષક તત્ત્વોના જથ્થાના પ્રસરણને સમર્થ બનાવે છે.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Tomato_leaf_stomate_1-color.jpg/640px-Tomato_leaf_stomate_1-color.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/Afternoon_Clouds_over_the_Amazon_Rainforest.jpg/640px-Afternoon_Clouds_over_the_Amazon_Rainforest.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8c/Xerophyte.png/640px-Xerophyte.png)
સૂક્ષ્મ છિદ્રોમાંથી પાણી વાતાવરણમાં ફેલાવાથી વનસ્પતિઓના ઉપરના ભાગોમાં હાઈડ્રોસ્ટીક (પાણી) દબાણમાં ઘટાડો થાય છે અને તેથી મૂળથી પાંદડા સુધી પ્રવાહી પાણીના જથ્થાનું પ્રસરણ થાય છે. મૂળ અભિસરણ થકી પાણીનું શોષણ કરે છે, અને તેની સાથે પાણીમાં ઓગળેલાં ખનીજ પોષક પદાર્થો પણ જાઈલમ(કાષ્ઠવાહિની) થકી તેની સાથે પ્રસરણ પામે છે.
બાષ્પોત્સર્જનનો દર વનસ્પતિની સપાટી પરથી પાણીના અણુઓના બાષ્પીભવન સાથે સીધો જ જોડાયેલો છે, ખાસ કરીને સપાટી પરનાં છિદ્રો અથવા પાંદડા પરનાં સૂક્ષ્મ છિદ્રોમાંથી થતા બાષ્પીભવન સાથે. વનસ્પતિ મોટાભાગનું પાણી સૂક્ષ્મ છિદ્રોમાંથી થતા બાષ્પોત્સર્જનને કારણે ગુમાવે છે, પણ કેટલુંક સીધું બાષ્પીભવન પાદડાં પરના બાહ્ય કોષોની સપાટી પરથી પણ થાય છે. પાણી બહાર કાઢવાનો આધાર કેટલેક અંશે વનસ્પતિએ મૂળ દ્વારા પાણી કેટલી માત્રામાં શોષી લીધું છે તેની પર રહેલો છે. કેટલીક પર્યાવરણીય પરિસ્થિતિઓ જેમ કે સૂર્યપ્રકાશ, ભેજ, પવન અને તાપમાન પર પણ તેનો આધાર રહેલો છે. એક વનસ્પતિને સંપૂર્ણ સૂર્યપ્રકાશમાં એક સ્થળ પરથી બીજા સ્થળ પર રોપવી ન જોઈએ કારણ કે હાનિ પહોંચેલા મૂળ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડે તે પહેલાં જ એ વનસ્પતિ ખૂબ પાણી ગુમાવી શકે છે અને કરમાઈ શકે છે. સૂર્યથી જેમ વનસ્પતિની અંદર રહેલું પાણી ગરમ થાય છે તેમ બાષ્પોત્સર્જન થાય છે. ગરમાવો મોટા ભાગના પાણીને પાણીની બાષ્પમાં પરિવર્તિત કરે છે. આ વાયુ પછી સૂક્ષ્મ છિદ્રો દ્વારા બહાર નીકળી શકે છે. બાષ્પોત્સર્જન પાંદડાની અંદર ઠંડક કરવામાં મદદરૂપ બને છે કારણ કે બહાર નીકળતી વરાળ ગરમીનું શોષણ કરી લે છે. તેનો આધાર ખુલ્લા સૂક્ષ્મ છિદ્રોનું પ્રમાણ અને પાંદડાની આસપાસના વાતાવરણની બાષ્પીભવનની માંગ પર રહે છે. વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની માત્રાનો આધાર આસપાસની પ્રકાશની તીવ્રતા,[2] તાપમાન, ભેજ અને પવન ફૂંકાવવાની ઝડપ(બાષ્પીભવનની માંગને પ્રભાવિત કરનારા તમામ)ની સાથે સાથે તેના કદ પર પણ રહેલો છે. જમીનમાંનો પાણીનો પુરવઠો અને જમીનનું તાપમાન સૂક્ષ્મ છિદ્રો ખુલવાની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે, અને તેથી તે બાષ્પોત્સર્જનના દરને પણ પ્રભાવિત કરે છે.
એક પૂર્ણ વિકસિત વૃક્ષ, એક ગરમ સૂકા દિવસમાં તેનાં પાદડાં દ્વારા કેટલાંય સો ગેલન પાણી ગુમાવી શકે છે. વનસ્પતિના મૂળ દ્વારા દાખલ થતા પાણીના લગભગ 90 ટકા પાણીનો આ પ્રક્રિયા માટે ઉપયોગ થાય છે. બાષ્પોત્સર્જિત પાણીના જથ્થાના પ્રમાણ અને શુષ્ક ઉપજના જથ્થાના પ્રમાણનો ગુણોત્તર એ બાષ્પોત્સર્જનનો ગુણોત્તર છે, પાકનો બાષ્પોત્સર્જનનો ગુણોત્તર 200થી 1000ની વચ્ચેનો હોય છે (એટલે કે અનાજના છોડ શુષ્ક પેદાશના પ્રત્યેક કિલો માટે ૨૦૦ થી ૧૦૦૦ કિલો જેટલા પાણીનું બાષ્પોત્સર્જન કરે છે.)[3]
વનસ્પતિના બાષ્પોત્સર્જનનો દર ઘણી પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે, જેમાં પોટોમીટર, લાયસીમીટરો, પોરોમીટરો, પ્રકાશસંશ્લેષણની ક્રિયાઓ અને વનસ્પતિ જીવનરસના ઉષ્મા સંતુલિત પ્રવાહના માપ પરથી જાણવાનો સમાવેશ થાય છે.
રણની વનસ્પતિઓ અને શંકુઆકારના ફળની વનસ્પતિઓએ બાષ્પોત્સર્જન ઘટાડવા પાણીને જાળવી રાખવા માટે ખાસ પ્રકારની બંધારણીય રચનાઓ અનુકૂલિત બનાવી છે, જેમ કે જાડી બાહ્ય ત્વચા, પાંદડાંનું ઘટાડેલું ક્ષેત્રફળ, ઊંડા ઉતરી ગયેલાં સૂક્ષ્મ છિદ્રો અને રુવાંટી. ઘણી કાંટાળી વનસ્પતિઓ પાંદડાને બદલે વનસ્પતિના અન્ય ભાગોથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે, તેથી પાણી બહાર નીકળવાની સપાટી ખૂબ ઓછી થઈ જાય છે. ઘણી રણની વનસ્પતિઓમાં એક વિશિષ્ટ પ્રકારની પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે, જેને ક્રાસ્સુલૅસિયન એસિડ મેટાબોલિઝમ અથવા સીએએમ (CAM) પ્રકાશસંશ્લેષણ તરીકે પરિભાષિત કરવામાં આવે છે, જેમાં સૂક્ષ્મ છિદ્રો દિવસ દરમિયાન બંધ હોય છે અને જ્યારે બાષ્પોત્સર્જનની ક્રિયા પ્રમાણમાં ઓછી હોય છે, ત્યારે રાત્રિના સમયે ખુલ્લે છે.