From Wikipedia, the free encyclopedia
પાબ્લો નેરુદા (જુલાઇ 12, 1904-સપ્ટેમ્બર 23, 1973) ચિલીના સામ્યવાદી લેખક અને રાજકારણી નેફતાલી રિકાર્ડો રેયેસ બાસોઆલ્ટો નું ઉપનામ અને પછી કાયદેસરનું નામ હતું. તેમણે વિખ્યાત ચેક કવિ જેન નેરુદા પ્રત્યે માનરૂપે પોતાનું ઉપનામ પસંદ કર્યું હતું.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
નેરુદા વિવિધ શૈલીમાં કુશળતા ધરાવતા હતા જેમાં તેમના કાવ્ય સંગ્રહ ટ્વેન્ટી પોએમ્સ ઓફ લવ એન્ડ એ સોંગ ઓફ ડિસ્પેર જેવી શૃંગારરસથી ભરપૂર પ્રેમ કવિતાઓ, અતિવાસ્તવવાદી કવિતાઓ, ઐતિહાસિક મહાકાવ્યો અને છેડેચોક રાજકીય વિચારોનો સમાવેશ થાય છે. 1971માં નેરુદાને સાહિત્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. કોલંબિયાના નવલકથાકાર ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝએ એક વખત તેમને “20મી સદીમાં કોઇ પણ ભાષામાં થઇ ગયેલા સૌથી મહાન કવિ”[1] ગણાવ્યા હતા. નેરુદા હંમેશા લીલા રંગની શાહીથી લખતા હતા કારણ કે તે “એસ્પેરાન્ઝા” (આશા)નો રંગ હતો.
જુલાઈ 15, 1945ના રોજ બ્રાઝિલમાં સાઓ પાઉલો ખાતે પેસેમ્બુ સ્ટેડિયમમાં તેમણે સામ્યવાદી ક્રાંતિકારી નેતા લુઇસ કાર્લોસ પ્રેસ્ટેસના માનમાં 100,000 લોકોની હાજરીમાં પઠન કર્યું હતું.[2]
પોતાના જીવનકાળ દરમિયાન નેરુદાએ અનેક રાજદ્વારી પદ સંભાળ્યા હતા અને ચિલિયન કોમ્યુનિસ્ટ પાર્ટીમાં થોડો સમય સેનેટર રહ્યા હતા. ચિલીના રૂઢિવાદી પ્રમુખ ગોન્ઝાલેઝ વિડેલાઓ જ્યારે 1948માં સામ્યવાદને ગેરકાયદે જાહેર કર્યું ત્યારે નેરુદાની ધરપકડ કરવા માટે વોરંટ નીકળ્યા હતા. તેમના મિત્રોએ તેમને ચિલીના વાલ્પારેઇસો બંદર ખાતે એક ઘરના ભોંયરામાં મહિનાઓ સુધી છુપાવી રાખ્યા હતા. અંતે નેરુદા માઇહુ લેક નજીક એક પર્વતમાર્ગેથી આર્જેન્ટિના નાસી છુટ્યા હતા. વર્ષો બાદ નેરુદા સમાજવાદી પ્રમુખ સાલ્વાડોર એલેન્ડેના નિકટના સહયોગી હતા. નોબલ પારિતોષિક સ્વીકારતી વખતના પ્રવચન પછી નેરુદા ચિલી પરત આવ્યા ત્યારે એલેન્ડેએ તેમને 70,000 લોકોની હાજરીમાં કાવ્ય પઠન માટે એસ્ટેડિયો નેસિયોનલ ખાતે આમંત્રિત કર્યા હતા.[3]
ઓગસ્ટો પિનોચેટની આગેવાની હેઠળ ચિલીમાં લશ્કરી બળવો થયો ત્યારે કેન્સરગ્રસ્ત નેરુદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયાના ત્રણ દિવસ બાદ નેરુદાનું હાર્ટ ફેઇલરથી અવસાન થયું હતું. પોતાના જીવન દરમિયાન જ દંતકથારૂપ બની ગયેલા નેરુદાના મૃત્યુનાં પડઘાં વિશ્વભરમાં પડ્યા હતા. પિનોચેટે નેરુદાની અંતિમયાત્રાને જાહેર પ્રસંગ બનાવવાની મંજૂરી આપી ન હતી. છતાં હજારો શોકમગ્ન ચિલીવાસીઓએ કરફ્યુનો ભંગ કર્યો હતો અને શેરીઓમાં ઉતરી આવ્યા હતા.
રિકાર્ડો એલેઇઝર નેફતાલી રેયેસ વાય બાસોઆલ્ટોનો જન્મ સાન્ટિયેગોથી લગભગ 350 કિમી દક્ષિણમાં મોલ વિસ્તારમાં લિનારેસ પ્રાંતમાં પેરેલ શહેરમાં થયો હતો. તેમના પિતા જોસ ડેલ કાર્મેન રેયેસ મોરાલ્સ એક રેલવે કર્મચારી હતા. તેમની માતા રોસા બાસોઆલ્ટો એક શાળામાં શિક્ષિકા હતા જેઓ તેમના જન્મ પછી બે મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા. નેરુદા અને તેમના પિતા ટૂંક સમયમાં ટેમુકો રહેવા ગયા જ્યાં તેમના પિતાએ ટ્રિનિદાદ કેન્ડિયા માર્વેર્ડે સાથે લગ્ન કરી લીધા. આ મહિલા થકી તેમને નવ વર્ષ અગાઉ રોડોલ્ફો નામનું એક બાળક થયું હતું. નેરુદાનો ઉછેર તેમની સાવકી બહેન લૌરા સાથે થયો હતો, જે અન્ય એક મહિલા સાથે તેના પિતાના સંબંધોથી થયેલું સંતાન હતી.
બાળપણમાં નેરુદાને તેમની સ્વર્ગીય માતાના મધ્ય નામ પરથી “નેફતાલી” નામ આપવામાં આવ્યું હતું. લેખન અને સાહિત્યમાં નેરુદાની રૂચિ સામે તેમના પિતાનો વિરોધ હતો, પરંતુ નેરુદાએ અન્ય લોકો પાસેથી પ્રોત્સાહન મેળવ્યું જેમાં નોબેલ પારિતોષિક વિજેતા ગેબ્રિયેલા મિસ્ત્રાલ સામેલ હતા જેઓ સ્થાનિક કન્યા શાળાનું વડપણ કરતા હતા. તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ તેમણે સ્થાનિક દૈનિક પત્ર લા મેનાના માટે તેર વર્ષની ઉંમરે લખેલો નિબંધઃ Entusiasmo y perseverancia (“ઉત્સાહન અને ખંત”) હતો. 1920 સુધીમાં તેમણે ઉપનામ પાબ્લો નેરુદા ધારણ કરી લીધું ત્યાં સુધીમાં તેઓ કવિતાઓ, ગદ્ય અને પત્રકારત્વના પ્રકાશિત લેખક હતા. તેમણે પોતાનું ઉપનામ ધારણ કર્યું આંશિક રીતે કારણ કે તે પ્રચલિત હતું અને આંશિક રીતે પોતાના પિતાથી કવિતાઓ છુપાવવા માટે, જેઓ એક અક્કડ વ્યક્તિ હતા જેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ‘વ્યવહારુ’ વ્યવસાય અપનાવે. તેમનું ઉપનામ ચેક લેખક અને કવિ જેન નેરુદા પરથી લેવામાં આવ્યું હતું, પાબ્લો નામ પૌલ વેર્લેઇન પરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ત્યાર પછીના વર્ષ (1921)માં તેઓ શિક્ષક બનવાના ઇરાદાથી યુનિવર્સિડેડ ડી ચિલિ ખાતે ફ્રેન્ચ ભાષા શીખવા માટે સાન્ટિયેગો ગયા હતા, પરંતુ ટૂંક સમયમાં નેરુદા પોતાનો સમગ્ર સમય કવિતાઓ માટે ફાળવતા હતા. 1923માં તેમની પંક્તિઓનો પ્રથમ સંગ્રહ ક્રેપુસકુલારિયો (“સંધ્યાકાળનું પુસ્તક”) પ્રકાશિત થયું હતું, ત્યાર બાદ પછીના વર્ષમાં Veinte poemas de amor y una canción desesperada (“વીસ પ્રેમ કાવ્યો અને હતાશાનું એક ગીત”) આવ્યું હતું જેમાં પ્રેમ કાવ્યો હતા જે તેના શૃંગારરસના કારણે વિવાદાસ્પદ બન્યા હતા, ખાસ કરીને લેખકની નાની વયના કારણે વિવાદ હતો. તેમની કૃતિઓને વિવેચકોએ વખાણી હતી અને અનેક ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના દાયકાઓમાં વિયેન્ટે પોએમસ ની લાખો નકલો વેચાઇ હતી અને તે નેરુદાની સૌથી જાણીતી કૃતિઓમાં સ્થાન ધરાવે છે.
ચિલીમાં અને બહાર નેરુદાની પ્રતિષ્ઠા ફેલાઇ રહી હતી, પરંતુ તેઓ ગરીબીમાં સપડાયેલા હતા. 1927માં હતાશ થઇને તેમણે સાંસ્થાનિક બર્માના તે સમયના હિસ્સા રંગૂનમાં માનદ્ વાણિજ્યદૂત પદ સ્વીકાર્યું હતું. આ સ્થળ વિશે તેમણે અગાઉ ક્યારેય સાંભળ્યું ન હતું. ત્યાર બાદ તેમણે કોલંબો (સિલોન), બાટવિયા (જાવા) અને સિંગાપોરમાં થોડો સમય કામ કર્યું હતું. જાવામાં તેમની મુલાકાત મેરિકા એન્ટોનિયેટા હેગેનાર વોગેલઝેન્ગ નામની એક ઊંચી ડચ બેન્ક કર્મચારી સાથે થઇ જેની સાથે તેમણે લગ્ન કર્યા અને તે તેમની પ્રથમ પત્ની બની. રાજદ્વારી સેવા દરમિયાન નેરુદાઓ મોટી સંખ્યામાં કવિતાઓ વાંચી અને કાવ્યના અનેક સ્વરૂપનો અનુભવ મેળવ્યો. તેમણે રેસિડેન્સિયા એન લા ટિયેરા ના પ્રથમ બે ભાગ લખ્યા જેમાં અનેક અતિવાસ્તવવાદી કવિતાઓ સામેલ હતી.
ચિલી પરત આવ્યા બાદ નેરુદાને બ્યુનોસ એર્સ અને પછી સ્પેનમાં બાર્સિલોના ખાતે રાજદ્વારી હોદ્દા અપાયા હતા. ત્યાર બાદ તેઓ મેડ્રિડમાં ગેબ્રિયેલા મિસ્ત્રાલની જગ્યાએ દૂત તરીકે આવ્યા, જ્યાં તેઓ જીવંત સાહિત્યિક વર્ગનો હિસ્સો બની ગયા અને રાફેલ આલ્બર્ટી, ફેડેરિકો ગાર્સિયા લોર્કા તથા પેરૂના કવિ સિઝર વેલ્લેજો સાથે તેમની મિત્રતા થઇ મેડ્રિડમાં 1934માં તેમની પુત્રી માલ્વા મેરિના ટ્રિનિદાદનો જન્મ થયો, જે જન્મથી જ આરોગ્યની સમસ્યા, ખાસ કરીને હાઇડ્રોસેફાલસ ધરાવતી હતી અને ટૂંકા આયુષ્ય દરમિયાન આ સમસ્યાથી પીડાતી રહી. આ ગાળામાં નેરુદા ધીમે ધીમે તેમની પત્નીથી વિમુખ થયા અને આર્જેન્ટિનાઇન મહિલા ડેલિયા ડેલ કેરિલ સાથે સંબંધ સ્થપાયો જે તેમના કરતા વીસ વર્ષ મોટી હતી અને અંતે તેમની બીજી પત્ની બની. 1936માં તેમણે ડચ પત્નીથી છુટાછેડા મેળવ્યા જે પોતાના એકમાત્ર બાળકને લઇને નેધરલેન્ડ્સ જતી રહી જ્યાં 1943માં બાળકનું મૃત્યું થયું હતું.
સ્પેનમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે નેરુદા પ્રથમ વાર રાજકારણમાં સંપૂર્ણ વ્યસ્ત થઇ ગયા હતા. સ્પેનિશ ગૃહ યુદ્ધ વખતના અને ત્યાર પછીના અનુભવો બાદ તેઓ વિશિષ્ટ, ખાનગી લક્ષ્ય સાથેના શ્રમથી સામુહિક જવાબદારી અને વધુ સારા સંગઠન તરફના શ્રમ તરફ વળ્યા. નેરુદા એક પ્રખર સામ્યવાદી બન્યા અને આજીવન રહ્યા. તેમના સાહિત્યિક મિત્રોનું ઉદ્દામવાદી ડાબરી રાજકારણ તથા ડેલ કેરિલનું રાજકારણ તેમાં યોગદાન આપનારું પરિબળ હતું, પરંતુ ફ્રાન્સિસ્કો ફ્રાન્કોને વફાદાર દળો દ્વારા ગાર્સિયા લોર્કાને દેહાંતદંડ આપવાની ઘટના સૌથી મહત્ત્વનું પરિબળ સાબિત થઇ. પોતાના પ્રવચન અને લખાણ દ્વારા નેરુદાએ રિપબ્લિકનને પોતાનો ટેકો આપ્યો અને ઇસ્પાના એન એલ કોરાઝોન (“હૃદયમાં સ્પેન”) નામે કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો. નેરુદાના પત્ની અને બાળક મોન્ટે કાર્લો રહેવા જતા રહ્યા જેમને તેઓ ત્યાર બાદ કદી જોઇ ન શક્યા. પત્નીને છોડ્યા બાદ તેઓ ફ્રાન્સમાં પૂર્ણ સમય માટે ડેલ કેરિલની નજીક રહ્યા.
નેરુદા જેમને ટેકો આપતા હતા તે પેડ્રો એગ્વેઇર સેર્ડા 1938માં પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા બાદ તેમને પેરિસમાં સ્પેનના ઇમિગ્રેશનમાં વિશેષ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેરુદાને ત્યાં જે જવાબદારી આપવામાં આવી હતી અને જેના માટે તેમણે કહ્યું, “અત્યાર સુધીમાં મેં લીધેલી આ સૌથી ઉમદા જવાબદારી હતી”, તે કામ હતું 2000 સ્પેનિશ શરણાર્થીઓને વિનિપેગ નામની જૂની હોડી પર બેસાડીને ચિલી મોકલવા જેમને ફ્રેન્ચ દ્વારા ગંદા કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. નેરુદા પર ઘણી વાર આરોપ મૂકવામાં આવે છે કે તેમણે માત્ર સામ્યવાદીઓને ઇમિગ્રેશન માટે પસંદ કર્યા હતા જ્યારે રિપબ્લિકન વતી લડનારા અન્ય લોકોને બાકાત રાખ્યા હતા,[સંદર્ભ આપો] પરંતુ બીજા લોકો આ આરોપો નકારી કાઢતા કહે છે કે નેરુદાએ અંગત રીતે અમુક સેંકડો લોકોને જ પસંદ કર્યા હતા જ્યારે બાકીનાને દેશવટો ભોગવતી સ્પેનિશ રિપબ્લિક સરકારના પ્રમુખ જુઆન નેગરિન દ્વારા રચાયેલી સર્વિસ ફોર ઇવેક્યુએશન ઓફ સ્પેનિશ રેફ્યુજીસ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.
નેરુદાને ત્યાર બાદ મેક્સિકો સિટીમાં કોન્સ્યુલ જનરલનું રાજદ્વારી પદ મળ્યું હતું જ્યાં તેમણે 1940થી 1943 સુધીના વર્ષો ગાળ્યા. મેક્સિકોમા વસવાટ દરમિયાન તેમણે હેગેનારને છુટાછેડા આપીને ડેલ કેરિલ સાથે લગ્ન કર્યા અને તેમના જાણવામાં આવ્યું કે તેમની આઠ વર્ષની પુત્રી વિવિધ આરોગ્ય સંબંધિત સમસ્યાના કારણે નાઝીઓ દ્વારા અંકુશમાં રહેલા નેધરલેન્ડ્સમાં મૃત્યુ પામી છે. તેઓ સ્ટાલિનવાદી ભાડુતી હત્યારા વિટ્ટોરિયો વિડાલીના મિત્ર પણ બન્યા હતા.
1940માં લિયોન ટ્રોટ્સ્કીની હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ નેરુદાએ ષડયંત્રકારીઓ પૈકીના એક માનવામાં આવતા મેક્સિકન ચિત્રકાર ડેવિડ આલ્ફારો સિક્વેઇરોસ માટે ચિલીના વિઝાની વ્યવસ્થા કરી હતી. નેરુદાએ ત્યાર બાદ જણાવ્યું હતું કે આવું તેમણે મેક્સિકોના પ્રમુખ મેન્યુઅલ એવિલા કામાચોની વિનંતીથી કર્યું હતું. તેના કારણે ત્યારે જેલવાસ ભોગવતા સિક્વેઇરોસ માટે મેક્સિકો છોડીને ચિલી જવાનું શક્ય બન્યું જ્યાં તે નેરુદાના અંગત રહેઠાણમાં રહ્યો હતો. નેરુદાની મદદના બદલામાં સિક્વેઇરોસે ચિલિયન ખાતે એક શાળામાં એક ભીંતચિત્ર દોરવામાં એક વર્ષ કરતા વધુ સમય ગાળ્યો હતો. સિક્વેઇરોસ સાથે નેરુદાના સંબંધોની ટીકા થઇ હતી અને નેરુદાએ તેમની સામેના એવા આરોપોને નકારી કાઢ્યા કે તેમનો ઇરાદો એક હત્યારાને મદદ કરીને “ખળભળાટવાદી રાજકીય-સાહિત્યિક સતામણી” સર્જવાનો હતો. મેક્સિકોમાં પાબ્લો નેરુદા વિખ્યાત મેક્સિકન લેખક ઓક્ટાવિયો પાઝને મલ્યા હતા જ્યાં તેઓ 1942માં લગભગ હાથોહાથની મારામારી પર ઉતરી આવવાની સ્થિતિમાં હતા.
ચિલી પરત આવ્યા બાદ 1943માં નેરુદાએ પેરુનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે માછુ પિછુની મુલાકાત લીધી. ઇનકાના કિલ્લાની સાદાઇભરી સુંદરતાથી પ્રેરાઇને તેમણે એલ્ટુરસ ડી માછુ પિછુ લખ્યું, જે બાર ભાગમાં લખાયેલું પુસ્તકની લંબાઇનું કાવ્ય છે જે તેમણે 1945માં પૂર્ણ કર્યું અને જેણે અમેરિકાની પ્રાચિન સભ્યતા અંગે જાગૃતિ અને રસ વધારવાનો પ્રારંભ કર્યો હતો. આ થિમ પર તેઓ કેન્ટો જનરલ માં વધુ આગળ વધવાના હતા. પેતાની આ કૃતિમાં નેરુદાએ માછુ પિછુની સિદ્ધિની ઉજવણી કરી, પરંતુ સાથે સાથે તેને શક્ય બનાવનાર ગુલામીની ટીકા કરી હતી. કેન્ટો XIIમાં તેમણે અનેક સદીઓના મૃતકોને ફરી જીવીત થવા અને તેમના મારફત બોલવા હાકલ કરી. કવિ અને યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ ખાતે સર્જનાત્મક લેખનના પ્રાધ્યાપક માર્ટિન ઇસ્પાડાએ તેમની આ કૃતિને માસ્ટરપીસ ગણાવીને વખાણ કર્યા અને જાહેરાત કરી કે “આનાથી વધુ મહાન રાજકીય કવિતા કોઇ નથી”.
સ્પેનના ગૃહ યુદ્ધમાં પોતાના અનુભવ પરથી ટેકો મેળવીને નેરુદાએ તેમની પેઢીના ડાબેરી વિચારધારા ધરાવતા અનેક બૌદ્ધિકોની જેમ જોસેફ સ્ટાલિનના સોવિયેત યુનિયનના પ્રશંસા કરવા લાગ્યા. આંશિક રીતે તેનું કારણ નાઝી જર્મનીને હરાવવામાં તેમની ભૂમિકા હતી. (કાવ્યો કેન્ટો એ સ્ટાલિનગ્રાડો (1942) અને નુએવો કેન્ટો ડી એમોર એ સ્ટાલિનગ્રાડો (1943)). પાબ્લો નેરુદાને હિટલરના સૌથી મહાન પતન પૈકી એક માટે શ્રેય અપાય છે, “સાહિત્યિક હુમલો” અથવા કેટલાક કહે છે તેમ “ચહેરા પર મુક્કો”ના કારણે હિટલર આત્મ હત્યા કરવા માટે પ્રેરાયો હોવાનું માનવામાં આવે છે. કલાકાર પાબ્લો પિકાસોને કાર્ય માટે શ્રેય આપવામાં આવે છે અને પાબ્લો નેરુદાને પિકાસોની કબુલાતના દાયકાઓ સુધી તે મળ્યું ન હતું. 1953માં નેરુદાને સ્ટાલિન શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે સ્ટાલિનના મૃત્યુ બાદ નેરુદાએ તેમના પર એક ઉર્મીકાવ્ય રચ્યું, જેમ તેમણે (બીજા વિશ્વયુદ્ધ દરમિયાન) ફલ્જેન્સિયો બાટિસ્ટા (સાલુડો એ બાટિસ્ટા , એટલે કે બાટિસ્ટાને સલામ ) અને પછી ફિડેલ કાસ્ટ્રો માટે પ્રશંસાના ગીત લખ્યા હતા.
તેમના આક્રમક સ્ટાલિનવાદના કારણે નેરુદા અને તેમના લાંબા સમયના મિત્ર ઓક્ટાવિયો પાઝ વચ્ચે તિરાડ પડી હતી જેમણે ટિપ્પણી કરી હતી કે નેરુદા વધુને વધુ સ્ટાલિનવાદી બનતા ગયા હતા, જ્યારે સ્ટાલિનમાં મારો વધુને વધુ મોહભંગ થયો હતો .[[4][5]1939માં નાઝી-સોવિયેત રિબનટ્રોપ-મોલોટોવ સંધિ વખતે આ મતભેદ સપાટી પર આવ્યા હતા જ્યારે તેઓ સ્ટાલિનને લઇને દલીલો કરવામાં લગભગ મારામારી પર ઉતરી પડવાના હતા. પાઝ હજુ પણ નેરુદાને “પોતાની પેઢીના સૌથી મહાન કવિ” માનતા હતા, પરંતુ એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સીન પર એક નિબંધમાં તેમણે લખ્યું હતું કે તેઓ જ્યારે
નેરુદા અને અન્ય પ્રખ્યાત સ્ટાલિનવાદી લેખકો અને કવિઓ વિશે વિચારે છે ત્યારે ઇન્ફર્નો માંથી ચોક્કસ ફકરા વાંચતી વખતે મારા રુંવાટા ઉભા થઇ જાય છે. નિઃશંક રીતે તેમણે સારા ઇરાદાથી શરૂઆત કરી હતી […] પરંતુ તર્કહીન રીતે એક પછી એક પ્રતિબદ્ધતામાં તેમણે પોતાની જાતને જુઠાણા, અસત્ય, બનાવટ, ખોટા સોગંદમાં ફસાયેલી દીધી અને અંતે પોતાનો આત્મા ગુમાવી બેઠા. [6]
નેરુદાએ લેનિનને આ સદીની સૌથી મહાન પ્રતિભા કહ્યા હતા. અન્ય એક ભાષણ (જૂન 5, 1946) સ્વર્ગીય સોવિયેત નેતા મિખાઇલ કાલિનિનને શ્રદ્ધાંજલિ સમાન છે જેઓ નેરુદાના મતે ઉમદા “જીવન ધરાવતી વ્યક્તિ”, “ભવિષ્યના મહાન ઘડવૈયા”, “લેનિન અને સ્ટાલિનના સાથીદાર” હતા.[7]
નિકિતા ખ્રુશ્ચેવએ 1956માં સોવિયેત 20મી પાર્ટી કોંગ્રેસ ખાતે વિખ્યાત ગુપ્ત પ્રવચન આપ્યું જેમાં તેમણે સ્ટાલિન આસપાસ છવાયેલા “વ્યક્તિત્વના પૂજ્યભાવ”ની ટીકા કરી અને ગ્રેટ પર્જિસ દરમિયાન સ્ટાલિન પર અપરાધ કરવાના આરોપ મૂક્યા ત્યાર બાદ નેરુદાને સોવિયેત નેતાને પોતે આપેલા સમર્થન બદલ અફસોસ થયો હતો. નેરુદાએ પોતાના સંસ્મરણોમાં લખ્યું હતું, “વ્યક્તિત્વના પૂજ્યભાવમાં મેં પણ મારું યોગદાન આપ્યું હતું,” તેમણે સ્પષ્ટતા કરી કે, “તે દિવસોમાં અમારા માટે સ્ટાલિન એક વિજેતા હતો જેણે હિટલરની સેનાઓને કચડી નાખી હતી”. ત્યાર બાદ 1957માં ચીનની મુલાકાત વિશે નેરુદાએ લખ્યું હતું, “ચીનની ક્રાંતિથી મને વિમુખ કરનારી બાબત માઓ ત્સે-તુંગ નથી, પરંતુ માઓ ત્સે-તુંગવાદ છે”, જેને તેઓ માઓ ત્સે-સ્ટાલિનવાદ ગણાવીને કહેતા હતાઃ “સમાજવાદી દેવતાના પૂજ્યભાવનું પુનરાવર્તન”.[સંદર્ભ આપો] જોકે, સ્ટાલિન અંગે તેમની ભ્રમણા ભાંગી ગઇ હોવા છતાં, નેરુદાએ ક્યારેય સામ્યવાદી વિચારધારામાં પોતાનો ઉંડો ભરોસો ગુમાવ્યો ન હતો અને તેઓ “પક્ષ”ને વફાદાર રહ્યા હતા. પોતાના વૈચારિક દુશ્મનોને દારૂગોળો ન મળે તે માટે તેમણે બોરિસ પાસ્તરનાક અને જોસેફ બ્રોડ્સ્કી જેવા અસંતુષ્ટ લેખકો પર સોવિયેત દ્વારા ગુજારવામાં આવેલા ત્રાસની જાહેરમાં ટીકા કરવાનું ટાળ્યું હતું. તેમના આ વલણ સાથે તેમના કેટલાક ચુસ્ત પ્રશંસકો પણ સહમત થતા નથી.
4 માર્ચ, 1943ના રોજ નેરુદાને વેરાન અને વસવાટ માટે બિનલાયક એટાકેમા રણના ઉત્તરના પ્રાંતો એન્ટોફગાસ્તા અને ટારાપેકા માટે સામ્યવાદી પક્ષના સેનેટર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ચાર મહિના બાદ તેઓ સત્તાવાર રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચિલીમાં જોડાયા હતા.
1946માં રેડિકલ પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ગેબ્રિયેલ ગોન્ઝાલેઝ વિડેલાએ નેરુદાને તેમના પ્રચાર મેનેજર તરીકે કામ કરવા જણાવ્યું હતું. ગોન્ઝાલેઝ વિડેલાને ડાબેરી પક્ષોના સંગઠનનો ટેકો હતો અને નેરૂલાએ તેમના માટે ઉત્સાહપૂર્વક પ્રચાર કર્યો હતો. જોકે, એક વાર સત્તામાં આવ્યા બાદ ગોન્ઝાલેઝ વિડેલા સામ્યવાદી પક્ષ વિરોધી બની ગયા. ઓક્ટોબર 1947માં લોટા ખાતે સામ્યવાદીઓની આગેવાની હેઠળ ખાણિયાઓની હડતાલને હિંસક રીતે દબાવી દેવાયા ત્યારે સેનેટર નેરુદા માટે હદ આવી ગઇ હતી. હડતાલ પર ઉતરેલા ખાણિયાઓને ટાપુની લશ્કરી જેલો અને પિસાગુઆ શહેરના કોન્સિન્ટ્રેશન કેમ્પમાં ભરી દેવાયા હતા. નેરુદા દ્વારા ગોન્ઝાલેઝ વિડેલાની ટીકાના ભાગરૂપે 6 જાન્યુઆરી, 1948ના રોજ ચિલીની સેનેટમાં નેરુદાએ એક નાટ્યાત્મક પ્રવચન આપ્યું જે યો એક્યુસો (“હું આરોપ મૂકું છું”) તરીકે ઓળખાયું હતું, આ પ્રવચન દરમિયાન તેમણે ખાણિયા અને તેમના પરિવારજનોના નામ વાંચી સંભળાવ્યા હતા જેમને કોન્સિન્ટ્રેશન કેમ્પમાં પૂરવામાં આવ્યા હતા.
કેટલાક સપ્તાહ બાદ નેરુદા ગુપ્તવાસમાં જતા રહ્યા આગામી તેર મહિના સુધી તેઓ અને તેમના પત્ની ટેકેદારો અને પ્રશંસકોના એક પછી એક ઘરમાં છુપાતા રહ્યા હતા. ગુપ્તવાસ દરમિયાન સેનેટર નેરુદાને પદ પરથી હટાવાયા હતા અને સપ્ટેમ્બર 1948માં સામ્યવાદી પક્ષને લે ડી ડિફેન્સા પર્મેનન્ટે ડી લા ડેમોક્રેસિયા (લોકશાહીના કાયમી રક્ષણ માટેનો કાયદો) હેઠળ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જે કાયદાને ટીકાકારોએ લે માલ્ટીડા (“આરોપ મૂકનારનો કાયદો”) ગણાવ્યો હતો, જેમાં 26,000 લોકોને કાયમ માટે મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા જેથી તેમનો મતદાનનો અધિકાર છીનવી લેવાયો હતો. નેરુદા ત્યાર બાદ દક્ષિણ ચિલીમાં વાલ્ડિવિયા ગયા હતા. વાલ્ડિવિયાથી તેઓ ફંડો હુઇશું પહોંચ્યા હતા જે હુઇશે લેકની બાજુમાં આવેલી એક વન્ય મિલકત હતી. માર્ચ 1949માં તેઓ ઘોડાની પર સવાર થઇને એન્ડેસ પર્વતમાળા પરથી લિલપેલા પાસમાંથી પસાર થઇને આર્જેન્ટિના પહોંચ્યા ત્યારે તેમના ગુપ્તવાસનો અંત આવ્યો હતો. નોબેલ પુરસ્કાર સ્વીકારવાના પ્રવચન વખતે તેમણે ચિલીમાંથી ભાગી છુટવાની નાટ્યાત્મક ઘટનાને યાદ કરી હતી.
ચિલીમાંથી એક વાર બહાર નીકળ્યા બાદ તેમણે ત્યાર પછીના ત્રણ વર્ષ દેશવટામાં ગાળ્યા હતા. બ્યુનોસ એર્સ ખાતે નેરુદાના એક મિત્ર, ભવિષ્યના નોબેલ વિજેતા અને નવલકથાકાર મિગ્યુએલ એન્જેલ એસ્ટુરિયેસ ગ્વાટેમાલાના દુતાવાસ ખાતે સાંસ્કૃતિક અધિકારી હતા. બંને વ્યક્તિના દેખાવમાં કેટલીક સામ્યતા હતી તેથી એસ્ટુરિયેસના પાસપોર્ટનો ઉપયોગ કરીને નેરુદા યુરોપ ગયા હતા. પાબ્લો પિકાસોએ પેરિસમાં તેમના પ્રવેશની વ્યવસ્થા કરી હતી[સંદર્ભ આપો] અને નેરુદાએ વર્લ્ડ કોંગ્રેસ ફોર પીસ ફોર્સિસમાં ઉપસ્થિત થઇને ચોંકાવી દીધા હતા, જોકે આ દરમિયાન કવિ દેશમાંથી ભાગી છુટવામાં સફળ થયા હોય તેવી શક્યતાને ચિલીની સરકારે નકારી કાઢી હતી.[સંદર્ભ આપો]
નેરુદાએ આ ત્રણ વર્ષમાં સમગ્ર યુરોપમાં પ્રવાસ કર્યો હતો તથા ભારત, ચીન, શ્રીલંકા અને સોવિયેત યુનિયનની મુલાકાત લીધી હતી. 1949ના અંતમાં તેમની મેક્સિકો યાત્રા ફિલ્બાઇટીસની ગંભીર સ્થિતિના કારણે લંબાઇ ગઇ હતી. તેમની સારસંભાળ રાખવા માટે માટિલ્ડે ઉરુતિયા નામે એક ચિલીની ગાયિકાને નોકરીએ રાખવામાં આવી હતી જેમાં તેમની વચ્ચે પ્રણય શરૂ થયો હતો અને વર્ષો બાદ લગ્નમાં પરિણમ્યો હતો. દેશવટો ભોગવવા દરમિયાન ઉરુતિયા એક દેશથી બીજા દેશ નેરુદાની પાછળ જતી હતી અને શક્ય હોય ત્યાં તેમની વચ્ચે મુલાકાતો થતી હતી. માટિલ્ડે ઉરુતિયા “લોસ વર્સોસ ડેલ કેપિટન” માટે પ્રેરણા હતી જે 1952માં અજ્ઞાત પ્રકાશિત થયું હતું.
મેક્સિકોમાં વસવાટ દરમિયાન નેરુદાએ તેમનું લાંબુ મહાકાવ્ય કેન્ટો જનરલ પ્રકાશિત કર્યું જે દક્ષિણ અમેરિકાના ઇતિહાસ, ભૂગોળ અને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિગતાવર સૂચિ સાથે વોલ્ટ વીટમેનની શૈલીનું પ્રકાશન હતું. તેની સાથે નેરુદાનું નિરીક્ષણ અને અનુભવો સામેલ હતા. તેમાંથી ઘણા ચિલીમાં તેમના ભૂગર્ભવાસ સાથે સંકળાયેલા હતા અને તે સમયે જ તેમણે મોટા ભાગનું કાવ્ય લખ્યું હતું. વાસ્તવમાં તેમણે ઘોડાની પીઠ પર બેસીને નાસી છુટતી વખતે કાવ્યની હસ્તપ્રત તેમણે પોતાની સાથે રાખી હતી. એક મહિના બાદ ચિલીમાં પ્રતિબંધિત સામ્યવાદી પક્ષ દ્વારા પાંચ હજાર નકલની એક અલગ આવૃત્તિ હિંમતપૂર્વક પ્રકાશિત કરવામાં આવી હતી જે નેરુદાએ પાછળ છોડેલી હસ્તપ્રત પર આધારિત હતી. મેક્સિકોમાં તેમને મેક્સિકોનું માનદ નાગરિકત્વ મળ્યું હતું.
1952માં કેપ્રિ ટાપુ ખાતે ઇટાલિયન ઇતિહાસકાર એડવિન સેરિયોની માલિકીના વિલામાં તેમના રોકાણને એન્ટોનિયો સ્કારમેટાની 1985ની નવલકથા એર્ડિયેન્ટે પેસિયેન્સિયા (એર્ડેન્ટ પેસન્સ , જેઓ પછી અલ કાર્ટેરો ડી નેરુદા અથવા નેરુદાના ટપાલી તરીકે ઓળખાયા)માં કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યું જેના પરથી લોકપ્રિય ફિલ્મ Il પોસ્ટિનો (“ધ પોસ્ટમેન”, 1944) બની હતી.
ઢાંચો:Too many images
1952 સુધીમાં ગોન્ઝાલેઝ-વિડેલા સરકાર ભ્રષ્ટાચારના કૌભાંડોથી નબળી પડીને પોતાના છેલ્લા તબક્કામાં હતી. ચિલીનો સામ્યવાદી પક્ષ સપ્ટેમ્બર 1952ની પ્રમુખપદની ચૂંટણીઓ માટે સાલ્વાડોર એલેન્ડેને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવાની તૈયારીમાં હતી અને અભિયાનને ટેકો આપવા માટે ત્યાં સુધીમાં ચિલીના સૌથી વિખ્યાત ડાબેરી સાહિત્યિક વ્યક્તિ બની ગયેલા નેરુદાની હાજરી માટે ઉત્સુક હતી.
નેરુદા તે વર્ષમાં ઓગસ્ટમાં પરત આવ્યા અને ડેલિયા ડેલ કેરિલને ફરી મળ્યા જે તેમનાથી કેટલાક મહિના અગાઉ પ્રવાસ ખેડીને આવી ગઇ હતી, પરંતુ લગ્નજીવન ભાંગી રહ્યું હતું. ડેલ કેરિલને અંતે માટિલ્ડે ઉરુતિયા સાથે તેમના ગરમાગરમ પ્રણયની જાણકારી મળી અને નેરૂલાએ તેને 1955માં ચિલી પરત મોકલી દીધી. તેણી ચિલીના અધિકારીઓને નેરુદાની ધરપકડ રદ કરાવવા માટે સમજાવવામાં સફળ થઇ જેથી ઉરુતિયા અને નેરુદાને ઇટાલીમાં કેપ્રી જવાની છૂટ મળી શકે. હવે ઉરુતિયા સાથે મિલન થયા બાદ નેરુદા તેમનું બાકીનું જીવન ચિલીમાં વીતાવવાના હતા, જેમાં ઘણી વિદેશ યાત્રાઓ આવવાની હતી તથા 1970થી 1973 સુધી તેઓ ફ્રાન્સમાં એલેન્ડેના રાજદૂત તરીકે ફરજ બજાવવાના હતા.
ત્યાં સુધીમાં નેરુદાને એક કવિ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી અને તેમના પુસ્તકોને વિશ્વની તમામ મોટી ભાષાઓમાં અનુવાદીત કરવામાં આવતા હતા. તેઓ રાજકીય મુદ્દાઓ પર છુટથી વિચારો વ્યક્ત કરતા હતા અને ક્યુબાની મિસાઇલ કટોકટી વખતે તેમણે અમેરિકાની ઉગ્ર ટીકા કરી હતી. (તે દાયકામાં ત્યાર બાદ તેમણે તેવી જ રીતે વિયેતનામ યુદ્ધ વિશે અમેરિકાની વારંવાર ટીકા કરી હતી.) પરંતુ સૌથી વધુ વિખ્યાત અને સ્પષ્ટવક્તા જીવીત ડાબેરી બૌદ્ધિકો પૈકી એક હોવાના નાતે તેમણે વૈચારિક વિરોધીઓ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. યુએસની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા છુપી રીતે સ્થાપિત અને તેના ભંડોળથી ચાલતા સામ્યવાદ વિરોધી સંગઠન ધી કોંગ્રેસ ફોર કલ્ચરલ ફ્રીડમએ નેરુદાને મુખ્ય લક્ષ્યાંક પૈકી એક ગણ્યા હતા અને તેમની પ્રતિષ્ઠાને ખરડવા માટે અભિયાન શરૂ કર્યું હતું જેમાં જૂનો દાવો કરવામાં આવ્યો હતો કે મેક્સિકો સિટીમાં 1940માં ટ્રોટ્સ્કી પર કરવામાં આવેલા હુમલામાં તેઓ સાગરીત હતા.[સંદર્ભ આપો] નેરુદા 1964ના નોબેલ પારિતોષિક માટે ઉમેદવાર છે તે જાહેર થયા બાદ આ અભિયાન વધુ તીવ્ર બન્યું હતું, જે પારિતોષિક અંતે જીન-પૌલ સાર્ટેને મળ્યું હતું.
1966માં નેરુદાને ન્યુ યોર્ક સિટી ખાતે આંતરરાષ્ટ્રીય પીઇએન (PEN) સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું હતું. તેઓ સામ્યવાદી હોવાથી સત્તાવાર રીતે તેમને યુએસમાં પ્રવેશતા અટકાવાયા હતા, પરંતુ પરિષદના આયોજક, પટકથાકાર આર્થર મિલર અંતે નેરુદાને વિઝા આપવા માટે જ્હોન્સન વહીવટીતંત્ર પર હાવી થયા હતા. નેરુદાએ ખીચોખીચ ભરેલા ખંડમાં કાવ્યપઠન કર્યું હતું અને લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ માટે કેટલીક કવિતાઓ રેકોર્ડ કરાવી હતી. મિલરે ત્યાર બાદ કહ્યું હતું કે નેરુદા 1930ના દાયકાના સામ્યવાદી વિચારધારાને વળગી રહ્યા હતા કારણ કે તેમને “મધ્યમવર્ગીય સમાજ”માંથી લાંબા સમય સુધી બાકાત રાખવામાં આવ્યા હતા. પૂર્વ બ્લોક ના અનેક લેખકોની હાજરીના કારણે મેક્સિકોના લેખક કાર્લોસ ફ્યુએન્ટેસે ત્યાર બાદ લખ્યું હતું કે પેન પરિષદથી શીત યુદ્ધના “અંતની શરૂઆત” થઇ હતી.
ચિલીમાં નેરુદાના આગમન બાદ તેઓ પેરૂ પહોંચ્યા જ્યાં તેમણે લિમા અને એરેક્વિપા ખાતે ઉત્સાહી ભીડ સામે પઠન કર્યું અને પ્રમુખ ફર્નાન્ડો બેલોન્ડે ટેરીએ તેમનું સ્વાગત કર્યું હતું. જોકે આ મુલાકાતથી તરત અનિચ્છિનય વિરોધ શરૂ થયો હતો. પેરૂની સરકાર ક્યુબાની ફિલેડ કાસ્ટ્રોની સરકારની વિરૂદ્ધ હતી અને જુલાઇ 1966માં ક્યુબાના એકસોથી વધુ બૌદ્ધિકોએ સહી કરેલા પત્રના સ્વરૂપમાં નેરુદાએ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો જેમાં નેરુદા પર દુશ્મન સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ મૂકાયો હતો અને તેમને તે સમયે લેટિન અમેરિકામાં પ્રવર્તમાન “મંદ- યાંકી તરફી રિવિઝનિઝમ”નું ઉદાહરણ કહેવામાં આવ્યા હતા. આ અનુભવ નેરુદા માટે ખાસ પીડાદાયક હતો કારણ કે તેમણે ભૂતકાળમાં ક્યુબાની ક્રાંતિ માટે ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો અને ત્યાર બાદ તેમણે ટાપુની ક્યારેય મુલાકાત લીધી ન હતી, 1968માં આમંત્રણ મળ્યા પછી પણ નહીં.
1967માં બોલિવિયામાં ચે ગૂવેરાના મૃત્યુ બાદ નેરુદાએ “મહાન નાયક”ની ગુમાવવાનો ખેદ વ્યક્ત કરતા કેટલાક લેખ લખ્યા હતા.[સંદર્ભ આપો] તે જ સમયે તેમણે તેમના મિત્ર એઇડા ફિગેરોને ચે માટે નહીં, પરંતુ લુઇસ એમિલિયો રેકાબેરેનમાટે રડવા કહ્યું હતું, જેઓ ચિલીની સામ્યવાદી ચળવળના પિતા હતા અને જેઓ શાંત ક્રાંતિના તરફદાર હતા જ્યારે ચે હિંસક માર્ગના હિમાયતી હતા.[8]
1970માં નેરુદાને ચિલીના પ્રમુખપદ માટે ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સાલ્વાડોર એલેન્ડેને પોતાનો ટેકો આપ્યો જેઓ અંતે ચૂંટણી જીતી ગયા અને 1970માં દેશના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા સામ્યવાદી વડા બન્યા હતા. ત્યાર બાદ ટૂંક સમયમાં એલેન્ડેએ નેરુદાને ફ્રાન્સ માટે ચિલીના રાજદૂત (1970-1972 સુધી, રાજદ્વારી પદ પર તેમની અંતિમ નિમણૂક) તરીકે નિયુક્ત કર્યા હતા. અઢી વર્ષ બાદ નેરુદા નબળી તબિયતના કારણે ચિલી પરત આવ્યા હતા.
વર્ષો સુધી પુરસ્કારની ઝંખના રાખ્યા બાદ 1971માં નેરુદાને અંતે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સરળ ન હતો કારણ કે ભૂતકાળમાં સ્ટાલિનવાદી આપખુદશાહી માટે નેરુદાએ કરેલી પ્રશંસાને સમિતિના કેટલાક સભ્યો ભૂલ્યા ન હતા. પરંતુ તેમના સ્વિડીશ અનુવાદક આર્તુર લુંડક્વિસ્ટએ ચિલીના નેતાને પુરસ્કાર મળે તે માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા.[9]
1973ની અંધાધુંધીની શરૂઆત થઇ ત્યારે નેરુદા પ્રોસ્ટેટ કેન્સરના કારણે ગંભીર રીતે બીમાર હતા. એલેન્ડે સરકાર સામે શરૂ થયેલા વિરોધના કારણે તેમને આઘાત લાગ્યો હતો. સપ્ટેમ્બર 11ના રોજ જનરલ ઓગસ્ટો પિનોચેટની આગેવાની હેઠળ લશ્કરી બળવો થયો ત્યારે નેરુદાનું માર્ક્સવાદી ચિલીનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. ત્યાર બાદ ટૂંક સમયમાં ચિલીના સશસ્ત્ર દળો દ્વારા આઇલા નેગરા ખાતે ઘર અને મેદાનની તલાશી દરમિયાન નેરુદા પણ હાજર હતા જ્યારે તેમણે વિખ્યાત ટિપ્પણી કરી હતીઃ
Look around—there's only one thing of danger for you here—poetry.[સંદર્ભ આપો]
સપ્ટેમ્બર 23, 1973ની સાંજે સાન્ટિયાગોની સાન્ટા મારિયા ક્લિનિકમાં હાર્ટ ફેઇલરથી નેરુદાનું અવસાન થયું હતું.[10][11][12] ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને શોકમગ્ન લોકોએ થોડા સપ્તાહ અગાઉ જ સ્થપાયેલા નવા શાસન સામે પોતાનો વિરોધ દર્શાવવા આ પ્રસંગનો લાભ લીધો હતો.
માટિલ્ડે ઉરુતિયાએ નેરુદા તેમના મૃત્યુથી થોડા દિવસો અગાઉ જેના પર કામ કરતા હતા તે સંસ્મરણોને એકત્રિત કરીને તેના સંપાદનનું કામ કર્યું હતું જેમાં કદાચ તેમની છેલ્લા કવિતા ‘રાઇટ કોમરેડ, ઇટ્સ ધ અવર ઓફ ધી ગાર્ડન’ સામેલ હતી. આ અને અન્ય પ્રવૃત્તિના કારણે તેઓ પિનોચેટ સરકાર સાથે સંઘર્ષમાં ઉતરી હતી જે ચિલીના સામુહિક જાગ્રત અવસ્થા પર નેરુદાનો પ્રભાવ ભૂંસી નાખવા સતત પ્રયાસ કરતી હતી. ઉરુતિયાના પોતાના સંસ્મરણો “માય લાઇફ વિથ પાબ્લો નેરુદા ” 1986માં મરણોત્તર પ્રકાશિત થયા હતા.
નેરુદા ચિલીમાં ત્રણ ઘર ધરાવતા હતા; આજે તે બધા મ્યુઝિયમ તરીકે લોકો માટે ખુલ્લા છેઃ સાન્ટિયેગો ખાતે લા ચાસ્કોના, વાલ્પારાઇસો ખાતે લા સેબાસ્ટિયેના અને આઇલા નેગરા ખાતે કેસા ડી આઇલા નેગરા જ્યાં તેમને અને માટીલ્ડી યુરુતિયાને દફનાવાયા છે.
1960ના દાયકાના અંતમાં આર્જેન્ટિનાના લેખક જોર્જ લુઇસ બોર્જિસને પાબ્લો નેરુદા વિશે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. યુવાવસ્થામાં નેરુદા સાથેની ટૂંકી મુલાકાત વર્ણવ્યા બાદ બોર્જિસે જણાવ્યું,
“હું તેમને બહુ સારા કવિ તરીકે ગણું છું, બહુ સારા કવિ. હું તેમને એક માણસ તરીકે વખાણતો નથી. હું તેમને બહુ નીચી કક્ષાના માણસ તરીકે ગણું છું."[13]
આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે બોર્જિસે કહ્યું,
“તેમણે એક પુસ્તક લખ્યું હતું -- વેલ, હું કદાચ રાજકીય બની રહ્યો છું- તેમણે દક્ષિણ અમેરિકાના જુલમી શાસકો વિશે લખ્યું, અને ત્યાર બાદ તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ કેટલીક કડીઓ લખી હતી. તેઓ જાણતા હતા કે આ બધુ બકવાસ છે. અને તેમણે પેરોન સામે એક શબ્દ લખ્યો ન હતો. કારણ કે બ્યુનોસ એર્સ ખાતે તેમનો એક કેસ ચાલતો હતો, જેની મને પાછળથી જાણકારી અપાઇ હતી, અને તેઓ કોઇ જોખમ લેવા માંગતા ન હતા. તેથી તેઓ જ્યારે પોતાની પૂર્ણ ક્ષમતા સાથે અને ઉમદા તિરસ્કાર સાથે લખે તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય ત્યારે તેઓ પેરોન વિરૂદ્ધ એક શબ્દ કહેવા માંગતા ન હતા. અને તેમણે એક આર્જેન્ટિનાની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, તેઓ જાણતા હતા કે તેમના ઘણા મિત્રોને જેલમાં ધકેલી દેવાયા હતા. તેઓ આપણા દેશની સ્થિતિ વિશે બધું જાણતા હતા, પરંતુ તેમની વિરૂદ્ધ એક શબ્દ ન બોલ્યા. સાથે સાથે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ વિરૂદ્ધ બોલી રહ્યા હતા અને તેઓ જાણતા હતા કે બધી વાત ખોટી છે, નહીં? અલબત્ત તેનો અર્થ તેમના કાવ્ય વિરૂદ્ધ કંઇ નથી. નેરુદા એક ઘણા સારા કવિ છે. વાસ્તવમાં એક મહાન કવિ. અને જ્યારે તેમણે મિગ્યુઅલ ડી એસ્ટુરિયાસને નોબેલ પારિતોષિક આપ્યો ત્યારે મેં કહ્યું કે તે નેરુદાને મળવો જોઇતો હતો! હું ચિલીમાં હતો ત્યારે અમે અલગ રાજકીય મત ધરાવતા હતા, મને લાગે છે કે તેમણે શ્રેષ્ઠ કામ કર્યું હતું. હું ત્યાં હતો ત્યારે તેઓ ત્રણ કે ચાર દિવસ માટે રજાઓ ગાળવા જતા રહ્યા હતા જેથી અમારી મુલાકાત થઇ શકી ન હતી. પરંતુ મને લાગે છે કે તેઓ વિવેકપૂર્ણ રીતે વર્તી રહ્યા હતા, નહીં? કારણ કે તેઓ જાણતા હતા કે લોકો તેમને મારી વિરૂદ્ધ સરખાવશે, નહીં? મારું કહેવું છે કે, હું આર્જેન્ટિનાનો હતો, કવિ હતો. તેઓ ચિલીના કવિ હતા, તેઓ સામ્યવાદીઓના પક્ષે હતા, હું તેમની વિરૂદ્ધ છું. તેથી મને લાગ્યું કે તેઓ મુલાકાત ટાળીને બહુ બુદ્ધિપૂર્વક વર્તી રહ્યા હતા કારણ કે મુલાકાત થઇ હોત તો અમારા બંને માટે મુંઝવણ પેદા થઇ હોત.”[14]
ઢાંચો:Trivia
! ગિયાનિના બ્રાસ્કી દ્વારા.
ક્વેઇરો હેસર કોન્ટિગો લો ક્યુ લા પ્રાઇમાવેરા હેસ કોન લોસ સેરેઝોસ —નેરુદા |
!.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.