From Wikipedia, the free encyclopedia
દુર્યોધન (સંસ્કૃત: दुर्योधनः) હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો સૌથી મોટો પુત્ર તથા દુઃશાસનનો મોટો ભાઈ હતો. હિંદુ પૌરાણિક કથા મહાભારતમાં દુર્યોધન એ અંધ રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર હતો. તે પાંડવોનો સૌથી પ્રખર વિરોધી હતો. તે કલીનો અવતાર હતો, જે નળના શરીરમાં ઘૂસી ગયો હતો અને તેને પોતાના રાજપાટ દ્યૂતમાં લગાવવા વિવશ કર્યો હતો.
જ્યારે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીનો ગર્ભ કાળ ધર્યાં કરતાં લાંબા સમય સુધી ચાલ્યો ત્યારે કંટાળીને તેણે પોતાના ગર્ભને ઈર્ષ્યાથી પીટ્યો. કેમકે તેમના દિયર પાંડુની પત્ની કુંતી ત્યાર સુધી સૌથી જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિરને જન્મ આપી ચૂકી હતી. ગાંધારીના આ કૃત્યને લીધે તેના ગર્ભમાંથી રાખોડી રંગનો એક માંસનો લોચો પેદા થયો. આ જોઈ ગાંધારીને ધક્કો લાગ્યો. તેણે વ્યાસને પ્રાર્થના કરી, જેમણે તેને ૧૦૦ પુત્રોનું વરદાન આપ્યું હતું અને તે પોતાના શબ્દો ને સાચા પાડી બતાવે. વ્યાસે તે માંસના ટુકડાને ૧૦૧ ટુકડામાં વહેંચી દીધા અને તેમને ઘીથી ભરેલા પાત્રમાં મૂક્યાં અને તેમને સીલ કરી એક વર્ષ માટે જમીન માં દાટી દીધાં. એક વર્ષ પછી પ્રથમ પાત્ર ખોલવામાં આવ્યું અને તેમાંથી દુર્યોધન બહાર આવ્યો. અક્ષરશઃ, દુર્યોધનનો અર્થ થાય છે “જીતવામાં મુશ્કેલ”. તેના રથના ધ્વજ પર ફેણ ઊંચકેલા નાગનું ચિહ્ન હતું.
કહે છે દુર્યોધનનું શરીર તોફાનનું બનેલું હતું અને તે અત્યંત શક્તિશાળી હતો. તેનો ભાઈ દુઃશાસન તેનાથી ખૂબ પ્રભાવિત હતો. દુર્યોધને પોતાની શસ્ત્ર વિદ્યા કૃપાચાર્ય, દ્રોનાચાર્ય અને બલરામ પાસે થી મેળવી. પોતાના શસ્ત્ર ગદા સાથે ખૂબ શક્તિશાળી હતો અને ભીમનો સમોવડિયો હતો.
કૌરવો અને પાંડવોની યુદ્ધ કળા સંબંધી વડીલો, ગુરુઓ અને રાજ્યના અન્ય નામાંકિત યોદ્ધા સમક્ષના શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાં કર્ણ આવે છે અને અર્જુનને, (જેને દ્રોણ સર્વ શ્રેષ્ઠ યોદ્ધા ગણાવે છે) આહ્વાન આપે છે. પણ કૃપ તેને તેના કુળ વિષે પૂછીને તેને ક્ષોભ પમાડે છે અને જણાવે છે કે અસમાન કુળના વ્યક્તિ વચ્ચે સામનો અયોગ્ય છે. દુર્યોધન તરત કર્ણનો બચાવ કરે છે તેને અંગનો રાજ બનાવે છે જેથી તેને અર્જુનનો સમોવડિયો ગણવામાં આવે. કર્ણ તે સમયે દુર્યોધન દુર્યોધનને મિત્ર ગણી તેના ઉપકારવશ હમેશા તેની સાથે રહેવાનું વચન આપે છે. તે સમયે કોઈ પણ નથી જાણતું કે કર્ણ એ કુંતીનો સૂર્ય દ્વારા જન્મેલ સૌથી મોટો પુત્ર છે. આ બંને વચ્ચે મિત્રતા ખૂબ ગાઢ બને છે. બંને એક બીજાની નિકટ આવે છે. એમ કહે છે કે દુર્યોધનની સૌથી સારી વાત તેનો કર્ણ પ્રત્યેનો પ્રેમ હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ એ દુર્યોધનની વિજયની સૌથી મોટી આશા હતો. દુર્યોધન હમેશા માને છે કે કર્ણ અર્જુન કરતાં ચડિયાતો છે અને તે અવશ્ય અર્જુન અને તેના ચારેય ભાઈઓનો નાશ કરશે. દુર્યોધનને સમર્પિત કર્ણ જાણે છે કે તે ભલે કળામાં અર્જુન કરતાં બે ડગલાં આગળ હોય પણ જ્યાં સુધી શ્રી કૃષ્ણ અર્જુન સાથે છે ત્યાં સુધી તેને હરાવવો અશક્ય છે. જ્યારે કર્ણનું મૃત્યુ થાય છે ત્યારે દુર્યોધન તીવ્ર વલોપાત કરે છે.
ભલે તે પોતાના પરિવારમાં લાડકાં હોય પણ તેમને ગુણ, ફરજ અને વડીલોના સન્માનના સંદર્ભમાં હમેશા પાંડવો કરતાં ઉતરતા ગણવામાં આવે છે. દુર્યોધનને તેના મામા શકુનિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જે તેને પાંડવોના ભોગે આગળ લઈ જવા માંગે છે. તે પાંડવોને છોભીલાં પાડવા અને તેમનું અપમાન કરવા અને તેમની હત્યા કરવાના ષડ્યંત્ર રચતો રહ્યો. યુધિષ્ઠિર હસ્તિના પુરના સિંહાસન માટે તેનો પ્રતિદ્વંદ્વી છે તે જણતાં તે પાંડવોની ખૂબ ઈર્ષ્યા કરતો. તેને ભીમ પ્રત્યે પણ તીવ્ર નફરત હતી કેમકે તે બળના લીધે સર્વ સ્પર્ધા અને કળા માં કૌરવોથી આગળ હતો. દુર્યોધન ભીમને ઝેર મિશ્રિત મિજબાની આપીને તેને મારવાનો પ્રયત્ન કરે છે પણ પોતાની શક્તિ, બળ અને દૈવી નાગ દ્વારા મળેલા આશીર્વાદથી તે ઝેર પચાવી લે છે. પછી દુર્યોધન તેના પુરોચનની સહાયતાથી પાંડવો જ્યાં રહેતા હતાં તે ઘરને બાળી નાખવાનો પ્રયત્ન કરે છે પણ પાંડવો બચી જાય છે.
જ્યારે રાજકુમાર ઉંમરલાયક થયાં ત્યારે કુરુ રાજ્યને કારણે રાજકુમારો વચ્ચે થઈ શકતાં ઝગડાને અટકાવવા યુધિષ્ઠિરને અડધું રાજ્ય આપીને ઇંદ્રપ્રસ્થનો રાજા બનાવવામાં આવ્યો. દુર્યોધન હસ્તિનાપુરનો રાજ કુમાર બને છે. પણ રાજાની ઉંમર અને અંધાપાને કારણે તે રાજ્યના મુસદ્દાઓને પોતાના તાબામાં લઈ લે છે તેના મામા શકુનિ કર્ણ અને દુઃશાસનની સલાહ અનુસાર રાજ્ય ચલાવે છે. પરંતુ હસ્તિનાપુરની સરખામણીમાં ઇંદ્રપ્રસ્થના વૈભવ અને જાહોજલાલીની વાતો સાંભળીને તેને યુધિષ્ઠિરની અત્યંત ઈર્ષ્યા આવે છે. જ્યારે યુધિષ્ઠિર પોતાનો રાજા જાહેર કરતો રાજસૂય યજ્ઞ કરાવડાવ્યો દુર્યોધન પોતાનો ક્રોધ જાળવી ન શક્યો. પાણીના તળાવમાં પડી જતાં દ્રૌપદીએ દુર્યોધનનું અપમાન કરતાં આ ક્રોધ વધુ અને વધુ તીવ્ર બની ગયો.
શકુનિ જાણતો હતો કે પાંડવોની સત્તાને તેઓ શક્તિથી પડકારી નહીં શકે માટે એક ષડ્યંત્ર રચ્યું. જેની અનુસાર શકુનિ પાંડવોને દ્યુત રમવા આમંત્રણ આપ્યું જેમાં શકુનિ નિષ્ણાત હતો અને યુધિષ્ઠિર નવોદિત હતો. આ પડકારનો સામનો કરવાની ઇચ્છાને ન રોકી શકતાં તે પોતાનું આખું રાજપાટ, તેની સંપત્તિ, તેના ભાઈ અને તેની પત્ની એક પછી એક પછી હારી ગયો. પ્રથમ વખત તો રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુરે દુર્યોધન ને બધી વસ્તુ યુધિષ્ઠિર ને પાછી આપવા જણાવ્યું. પણ ફરી થી જ્યારે રમત રમાઈ ત્યારે શકુનિ એ શરત મૂકી કે યુધિષ્ઠિર અને તેના ભાઈઓએ ૧૩ વર્ષ વનવાસમાં ગાળવો અને ત્યાર પછી જ તેમને તેમનું રાજ્ય પાછું મળે. તેરમું વર્ષ ગુપ્તવાસમાં ગાળવું અને જો તેઓ પકડાઈ ગયાં તો ફરીથી વનવાસનું પુનરાવર્તન થશે. દુર્યોધન દુઃશાસનને દ્રૌપદીને દરબારમાં ઘસડી લાવે ને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રોત્સાહન આપે છે કેમ કે યુધિષ્ઠિર દ્યુતમાં પોતાની પત્ની સહિત સર્વસ્વ હારી ગયો હતો અને દ્રૌપદીનો તે હવે માલિક હતો. દુઃશાસન દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવા પ્રયત્ન કરે છે. દુઃશાસન દ્રૌપદીના વસ્ત્ર હરણનો પ્રયત્ન કરે છે પણ કૃષ્ણ અગમ્ય રીતે તેની મદદે આવે છે અને તેને અમર્યાદિત લાંબી સાડીનો પુરવઠો કરે છે જેને ખેંચતા ખેંચતા દુઃશાસન બેભાન થઈ જાય છે. તદુપરાંત આ ઘટના ભીમ પ્રતિજ્ઞા લે છે કે વનવાસ પછી તે દુર્યોધનની તે જાંઘ ફાડી નાખશે જેના પર બેસવા તેણે દ્રૌપદીને નિમંત્રણ આપ્યું હતું.
વનવાસ દરમ્યાન દુર્યોધન યુધિષ્ઠિરની સંપદાને ચાપીને તેને છોભો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ તે ગાંધર્વ રાજા ચિત્રસેન સાથે અંટસમાં સપડાઈ જાય છે જે તેને બંદી બનાવી લે છે. યુધિષ્ઠિર, અર્જુન અને ભીમને દુર્યોધનને છોડાવવા કહે છે જેણે મૃત્યુને આમંત્રણ આપવાની તૈયારી કરી લીધી હતી. દુર્યોધને આમરણ ઉપવાસ કરવા શરૂ કર્યાં હતાં. તે ઉપવાસ દરમ્યાન તેને શક્તિશાળી દૈત્યો અને દાનવોની પાસે અગમ્ય રીતે લઈ જવામાં આવ્યો. ત્યાં તેને જણાવવામાં આવ્યું કે તેનો જન્મ તેમની તપસ્યાને કારણે થયો હતો અને તેનો ઉદ્દેશ્ય પૃથ્વી પર દેવો અને કૃષ્ણની યોજનાઓને પરાસ્ત કરવાનો હતો. દૈત્યોએ તેને વિશ્વાસ આપ્યો કે શક્તિશાળી દાનવો તેની મદદ માટે અવતર્યા હતા અને તેમની સાથે તેનો પરાભવ અશક્ય હતો. આમ પ્રોત્સાહિત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો. કર્ણ હવે વિશ્વ વિજયની કૂચ પર નીકળ્યો અને નાના મોટા સર્વ રાજાને દુર્યોધનના તાબા હેઠળ લાવવા માંડ્યો. આ સર્વ રાજાઓ પાસેથી ભેટ આદિ લાવી દુર્યોધને વિષ્ણુને પ્રસન્ન કરવા વૈષ્ણવા બલિદાનનું પ્રયોજન કર્યું અને પોતાને વિશ્વ સમ્રાટ જાહેર કર્યો કેમકે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો હતો.
દેશવટા પછી દુર્યોધનએ ભીષ્મ, દ્રોણ, વિદુર અને કૃષ્ણના સમજાવવા છતાં પાંડવોને તેમનું રાજ્ય પાછો આપવાનો ઈનકાર કર્યો. કૃષ્ણે ન તો તેણે અગવ કરવાનો પણ પ્રયત્ન કર્યો. ભલે ધૃતરાષ્ટ્રએ તેના પુત્રની ટીકા કરી પણ મનમાં તેની ઈચ્છા એ જ હતી કે યુધિષ્ઠીર નહીં પણ દુર્યોધન રાજ બને. યુદ્દ અટળ લાગતાં દુર્યોધન એ શક્તિશાળી રાજાઓ અને તેમની સેનાઓની મદદ જમા કરવા માંડી. સૌથી નામચીન લડવૈયાઓ જેમકે ભીષ્મ, દ્રોણ, કૃપ, અશ્વત્થામા, શલ્ય, જે સૌ દુર્યોધન ના ટીકાકાર હોવા છતાં પણ તેમને તેની સાથે લડવું પડ્યું. અંતે દુર્યોધન તેના પ્રતિસ્પર્ધી પાંડવો કરતાં મોટી સેના ઊભી કરવામાં સફળ રહ્યો. લડાઈમાં દુર્યોધન ભીષ્મ અને દ્રોણ જેવા અજેય યોદ્ધાઓ ઉપર નિર્ભર હતો જોકે તેની સૌથી મોટી આશા તો કર્ણ હતો. તે દ્રોણને યુધિષ્ઠીર ને જીવતો પકડવા કહે છે જેથી તે પાંડવોને બ્લેકમેલ કરી શકે અથવા ફરી તેને દ્યુત રમાડીને હરાવી શકે. તે અર્જુનના પુત્ર અભિમન્યૂની હત્યામાં પણ સક્રીય ભૂમિકા ભજવે છે. કુરુ સેનાના બે મહારથીઓને પાંડવ દ્વારા હણી કાઢવાને લીધે તે હતપ્રશ અને હતાશ થતો જાય છે. વળી જ્યારે અભિમન્યૂની મૃત્યુ પછી અર્જુન એક દિવસમાં ૧૦ કરોડ સૈનિકોના વધ ઉપરાંત સિંધુ નરેશ જયદ્રથને મારી નાખે છે ત્યારે તે ભાંગી જાય છે. વળી ભીમ સતત તેના ભાઈઓને માર્યે રાખે છે, પોતાને હાર તરફ સરકતો જોઈ તે વધુ અને વધુ દુઃખી થાય છે. અર્જુન દ્વારા કર્ણનો વધ થયાં પછી તેની અંતિમ આશા પણ પડી ભાંગે છે. યુદ્ધ જીતવાના અમુક છેવટના અંતિમ પ્રયત્નો પણ વિફળ જતાં તે યુદ્ધ ભૂમિ છોડીને ભાગી જાય છે અને એક તળાવમાં સંતાઈ જાય છે જેમાં તે પોતાની યોગ શક્તિ દ્વારા જીવ ટકાવી રાખે છે. અશ્વત્થામા અને કૃપ તેને પોતાની નિયતિનો સામનો કરવા સમજાવાય છે અને તે ફરી બહાર આવે છે.
જ્યારે રાણી ગાંધારી સાંભળે છે કે દુર્યોધન સિવાય તેના દરેક પુત્ર મૃત્યુ પામ્યાં છે ત્યારે તે વિક્ષુબ્ધ બની જાય છે. દુર્યોધન કપટી છે અને તેના પક્ષે અધર્મ છે તે જાણવા છતાં પણ તે તેની મદદ કરવા જાય છે. તેણી તેને નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર રીતે પોતાના તંબૂમાં આવવા કહે છે, જેથી તે વર્ષો સુધી બંધ રહેલી તેની આંખોની શક્તિ વાપરીને તેના શરીરને એવું કવચ લગાડી દે જે સર્વ આક્રમણથી તેના શરીરના સર્વ ભાગને અજેય બનાવી દે પણ જ્યારે કૃષ્ણ રાણીને મળીની પાછા ફરે છે ત્યારે તેમની ભેટ નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ગાંધારીને મળવા જતાં દુર્યોધન સાથે થાય છે. કૃષ્ણ નાટ્યાત્મક રીતે દુર્યોધન ની મજાક ઉડાવે છે અને આ રીતે માતાને મળવા જતાં પુત્ર વિષે લોકો શું કહેશે તેની ચેતવણી આપે છે. ગાંધારીનો ઉદ્દેશ્ય જાણતા કૃષ્ણ દુર્યોધનની નિંદા કરે છે અને શરમનો માર્યો દુર્યોધન તંબુમાં પ્રવેશતા પહેલાં પોતાના ગુપ્તાંગને ઢાંકી દે છે. જ્યારે ગાંધારીની દ્રષ્ટી દુર્યોધન પર પડે છે ત્યારે તેની દ્રષ્ટીની દૈવી શક્તિથી દુર્યોધન ના શરીરો ભાગો દરેક હમલાથી સુરક્ષિત થઈ જાય છે પણ તેની સાથળના મૂળના ભાગ પર દૈવી દ્રષ્ટિ ન પડતાં તે ભાગ રહી જાય છે. જ્યારે દુર્યોધન પાંડવો અને કૃષ્ણને એકલો મળે છે ત્યારે યુધિષ્ઠીર તેને એક પ્રસ્તાવ આપે છે. તે પાંચમાંથી કોઈ પણ એક પાંડવ સાથે યુદ્ધ કરે. જો દુર્યોધન તેમાં તે પાંડવને હરાવી દે તો યુધિષ્ઠીર આટલું મોટું યુદ્ધ જીતવા છતાં રાજ્ય તેને પાછું સોંપી દેશે. પોતાના ગુમાનને વશ દુર્યોધન અન્ય કોઈ પણ પાંડવને છોડી તેની જાની દુશ્મન ભીમને પસંદ કરે છે, જેની સાથે તે ગદા યુદ્ધ કરે. બંને અત્યંત શક્તિશાળી હતાં અને બંનેએ બલરામ પાસે વિદ્યા લીધી હતી. બંને મલ્લ યુદ્ધ અને ગદા યુદ્ધમાં સમકક્ષ હતાં. લાંબા અને ભયાનક ઘણાં લાંબા ચાલેલા યુદ્ધ નાં અંતે દુર્યોધન ભીમને થકવી દે છે. આ ક્ષણે કૃષ્ણ જે લડાઈ જોઈ રહ્યાં છે તેઓ ભીમને ઈશારો કરી દુર્યોધનની જાંઘ ચીરવાની પ્રતિજ્ઞા ભીમને યાદ દેવડાવે છે. ભીમ ક્રૂર રીતે દુર્યોધનની સાથળ પર પ્રહાર કરે છે, જે ગાંધારીના વરદાનથી લેસ નથી. છેવટે નૈતિક રીતે પણ પડી ભાંગેલો દુર્યોધન પડે છે. ભલે દુર્યોધન કણસતો પડ્યો હતો પણ તે કહેતો રહ્યો કે તેને દગાથી અનૈતિક રીતે મારી નાખવા પ્રયત્ન થયો. કમર નીચે પ્રહાર કરવો એ ગદા યુદ્ધની નીતિઓ વિરુદ્ધ છે. ત્યારે કૃષ્ણ જણાવે છે કે દ્રૌપદીનું અપમાન, પાંડવોની હત્યા કરવાના કાવતરાં અને અભિમન્યૂનીએ કારપીણ હત્યાં એ દરેક પણમાં ધર્મ કે યુદ્ધ સંબંધિ નૈતિકતા ન હતી. માટે દુર્યોધન દ્વારા પોતાના બચાવમાં ધાર્મિક કે નૈતિક મૂલ્યોની દુહાઈ દેવી હાસ્યાસ્પદ છે જે મૂલ્યોનું સન્માન સંપૂર્ણ જીવન દરમ્યાને તેણે જાતે ન કર્યું તે હવે તેને કેમ બચાવી શકે?
દુર્યોધનને ધીરે ધીરે મૃત્યુ આવ્યું અને પાંડવો દ્વારા તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જ્યારે યુધિષ્ઠીર જાતે સ્વર્ગે પહોંચ્યા ત્યારે તેમણે દુર્યોધનને ત્યાં જોયો અને તે અત્યંત ક્રોધે ભરાયા કે આટલા પાપ કરવા છતાં પણ દુર્યોધન સ્વર્ગ સુખ માણે છે. ઈંદ્ર તેને સમજાવે છે કે દુર્યોધન એ પોતાનો નરક નો કાર્ય કાળ પુરો કરી લીધો હતો અને તે એક સારો રાજા હતો.
મવાળ હિંદુ વિચાર સરણી માને છે કે દુર્યોધન આમ તો શક્તિશાળી અને લાયક રાજા હતો. તે માત્ર પોતાના ભાઈઓ સમક્ષની નીતિઓમાં જ કપટી હતો. પોતાની શક્તિના ગુમાનમાં પરંપરાઓ અને સંસ્કૃતિને અવગણીને દ્રૌપદીનું અપમાન કરવા બદલ તેની નિંદા કરવામાં આવે છે. રાવણની જેમ દુર્યોધન પણ શક્તિશાળી ગૌરવશાળી અને ધાર્મિક જ્ઞાનથી યુક્ત હતો, પણ તેમને પ્રત્યક્ષ જીવનમાં ઉતારી ન શક્યો. જોકે મોટે ભાગે હિંદુઓ એકમતે દુર્યોધન ને દુષ્ટ માને છે.
દુર્યોધનને ઘણી વખત હોમર્સ ઈલીયાદના એચીલેસ સાથે સરખાવવામાં આવે છે. તેમાં એડી (એચીલેસ હીલ, Achilles' heel) હતી, જ્યારે આ વાર્તામાં સાથળ હતી.
ઉત્તરાંચલના કુમાઉં ક્ષેત્રમાં અમુક સુંદર કોતરણી કરેલા મંદિરો દુર્યોધન ને સમર્પિત છે. તેને એક નાના દેવ તરીકે પુજાય છે. કુમાઉં ક્ષેત્રની ટોળીઓના પૂર્વજો મહાભારતમાં દુર્યોધનની સેનામાં લડ્યાં હતાં. તેને એક લાયક અને સારા વ્યવસ્થાપક તરીકે જોવાતો હતો.
૧૯૮૦ના દાયકાની ટીવી ધારાવાહિક મહાભારતમાં દુર્યોધનનું પાત્ર પંજાબી કલાકાર પુનીત ઈસ્સાર દ્વારા ભજવવામાં આવ્યું.
ચિત્રપટમાં સૌથી પ્રખ્યાત દુર્યોધનનું પાત્ર તેલુગુ સુપર સ્ટાર એન. ટી. રામારાવે ભજવ્યું તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સર્વેસર્વા હતાં અને તેમણે એક દશક સુધી આંધ્રપ્રદેશમાં શાસન કર્યું હતું. મહાભારતના દ્રૌપદીના ચીર હરણનું દ્રશ્ય ભારતીય નાટ્ય વર્તુળમાં વારંવાર ભજવાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.