ગુજરાતમાં વાવનો ઇતિહાસ
From Wikipedia, the free encyclopedia
વાવ એટલે એવા કૂવા કે જે લાંબા પગથિયાંવાળા ભાગથી જોડાયેલાં હોય. તે સૌથી વધારે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે. વિશેષ કરીને ગુજરાતમાં કુલ ૧૨૦થી વધુ વાવ જોવા મળે છે. વાવનું અસ્તિત્વ સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા નગરોના જળાશયોની રચનામાં પણ જોઈ શકાય છે. ગુજરાતનાં નૈઋત્ય ક્ષેત્રોમાં વાવ નિર્માણની પ્રવૃત્તિઓ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ જોઈ શકાય છે. અહીંથી તે ઉત્તર રાજસ્થાન અને ત્યારબાદ વાયવ્ય ભારતમાં ફેલાતી જોવા મળે છે. ૧૦મીથી ૧૩મી સદીમાં સોલંકી અને વાઘેલા વંશના શાસનકાળમાં વાવ નિર્માણની પ્રવૃત્તિમાં વધારો જોવા મળે છે. ૧૧મીથી ૧૬મી સદીમાં આ પ્રવૃત્તિ તેની ચરમસીમા પર જોવા મળે છે. ૧૩મીથી ૧૬મી સદી સુધીના મુસ્લિમ શાસકોએ વાવ નિર્માણની આ પ્રણાલીને પ્રતિબંધિત ન કરતાં તેને પ્રોત્સાહન આપ્યાનું જોવા મળે છે. ૧૯મી સદીમાં પાણીના પંપ અને પાઇપલાઇન દ્વારા પાણી મળવાનું શરૂઆત થતાં આ પ્રકારના પગથિયાંવાળા કૂવાઓએ તેમનું મહત્વ ગુમાવી દીધું.