ફ્લાઇટ લેફ્ટનન્ટ, હવે સ્ક્વોડ્રોન લીડર From Wikipedia, the free encyclopedia
ગ્રુપ કેપ્ટન કમ્બાપતિ નચિકેતા વાયુસેના પદક[1] એ ભારતીય વાયુસેનાના અધિકારી છે. તેઓને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન કાશ્મીર ખાતે તેમના વિમાન મિગ-૨૭ને પાકિસ્તાની સ્ટીંગર પ્રક્ષેપાત્ર વડે નુક્શાન પહોંચતા વિમાન છોડવા ફરજ પડી હતી[2][3] અને તે બાદ પાકિસ્તાન દ્વારા તેમને યુદ્ધકેદી બનાવાયા હતા. તેઓ ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે ૨૭ મે ૧૯૯૯ના રોજ આ ઘટના ઘટી હતી.
ગ્રુપ કેપ્ટન કમ્બામપતિ નચિકેતા | |
---|---|
હુલામણું નામ | નચિ |
જન્મ | May 31, 1973 |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય વાયુ સેના |
સેવાના વર્ષો | ૧૯૯૦-૨૦૧૭ |
હોદ્દો | ગ્રુપ કેપ્ટન |
દળ | ૯મી સ્ક્વોડ્રન ૪૮મી સ્ક્વોડ્રન ૭૮મી સ્ક્વોડ્રન |
યુદ્ધો | કારગિલ યુદ્ધ |
પુરસ્કારો | વાયુસેના પદક |
ગ્રુપ કેપ્ટન નચિકેતાનો જન્મ ૩૧ મે ૧૯૭૩ના રોજ કે આર કે શાસ્ત્રી અને લક્ષ્મી શાસ્ત્રીના ઘરમાં થયો હતો.[4] તેઓએ શાળાકીય અભ્યાસ દિલ્હી ખાતેથી મેળવી અને રાષ્ટ્રિય સુરક્ષા અકાદમિ, પૂણે ખાતે નિયુક્તિ મેળવી ભારતીય વાયુસેનામાં જોડાયા હતા.
કારગિલ યુદ્ધ દરમિયાન કાર્યવાહી સમયે નચિકેતા ફ્લાઇટ લેફ્ટનન્ટના હોદ્દા પર હતા. તેઓ ૨૬ મે ૧૯૯૯ના રોજ બટાલિક વિસ્તારમાં બોમ્બમારો કરનાર ૯મી સ્ક્વોડ્રનના વિમાનચાલકોમાંના એક હતા.[5] તેમણે પ્રથમ હુમલો ૮૦ મીમીના પ્રક્ષેપાત્રો વડે દુશ્મન ઠેકાણાંઓ પર કર્યો હતો અને બીજો હુમલો ૩૦ મીમીની તોપ વડે. પરંતુ, ત્યારબાદ તેમના વિમાનનું એન્જીન બંધ પડી ગયું હતું.
તેને ફરી ચાલુ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં, નચિકેતાને વિમાન છોડવા ફરજ પડી હતી.
વિમાન પર છત્રી વડે ઉતર્યા બાદ નચિકેતા શરુઆતમાં પાકિસ્તાનીઓના કબ્જામાં આવવાથી બચવામાં સફળ રહ્યા. જોકે, આશરે ત્રણ કલાક પછી પાકિસ્તાની ભૂમિસેનાના ચોકિયાતો તેમને પકડવામાં સફળ રહ્યા.[6]
મિગ ૨૭ ને ઉપરથી રક્ષણ આપવા માટે ૧૭મી સ્ક્વોડ્રનના મિગ-૨૧ વિમાનો તૈનાત હતા. કાર્યવાહી દરમિયાન થતાં નુક્શાનનો અંદાજ મેળવવા માટે સ્ક્વોડ્રન લિડર અજય આહુજાને ફિલ્માંકન કરવાનું કાર્ય સોંપાયું હતું. તેઓ પોતાનું સ્થાન છોડી અને નચિકેતાને શોધવા માટે ઉંચાઇ ઘટાડવા લાગ્યા. તે દરમિયાન તેમના વિમાન પર પાકિસ્તાનીઓએ પ્રક્ષેપાત્ર વડે હુમલો કર્યો અને વિમાન તોડી પાડ્યું. પાછળથી ભારતીય સૈન્યના તબીબોએ તેમના શબનું પરિક્ષણ કરતાં જણાયુ કે વિમાન છોડ્યા બાદ આહુજા છત્રી વડે સહી સલામત નીચે ઉતરવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમની હત્યા પાકિસ્તાની સૈનિકોએ ગોળી મારી અને કરી હતી. તેમને માથા અને હ્રદયના ભાગે ગોળી મારવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર તેમના ડાબા ગોઠણમાં અસ્થિભંગ છત્રી વડે ઉતરવા દરમિયાન અકસ્માતના કારણે થયો હતો જ્યારે ગોળી તેમને જીવિત ઉતર્યા બાદ મારવામાં આવી હતી. તેને ભારત સરકારે હત્યા ગણાવી.[7] પાકિસ્તાનીઓના અનુસાર આમ નહોતું થયું અને જો તેઓ મારવા જ માગતા હોત તો નચિકેતાને પણ ઠાર મારત.[8][9]
પાકિસ્તાનમાં યુદ્ધકેદી તરીકે પકડાયા બાદ ફ્લાઇટ લેફ્ટ નચિકેતા આઠ દિવસ તેમના કબ્જામાં રહ્યા.[10] તેમને સૌપ્રથમ બટાલિક વિસ્તારમાં કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવાયા અને બાદમાં હેલિકોપ્ટર વડે સ્કર્દુ લઈ જવાયા.[11]
તેમના અનુસાર, આ અનુભવને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ હતો અને તેમને લાગ્યું કે તેના કરતાં મૃત્યુ વધુ સહેલું હતું. તેમને છત્રી વડે ઉતરાણ દરમિયાન થયેલ ઈજાને કારણે પીઠનો દુખાવો આજે પણ મોજૂદ છે.
પાકિસ્તાની વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન કૈસર તુફૈલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના દાવા અનુસાર સમગ્ર વાતચીત સભ્યતા પૂર્ણ હતી અને બે અધિકારીઓ વચ્ચેની સામાન્ય વાતચીત પ્રકારની હતી.[10]
નચિકેતાને ભારત ૩ જૂન ૧૯૯૯ના રોજ પરત મોકલાયા. તેમને પાકિસ્તાનમાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા અને લાહોર-અમૃતસર માર્ગ પર સ્થિત વાઘા ખાતેથી સ્વદેશ મોકલાયા.
નચિકેતા હાલમાં ગ્રુપ કેપ્ટનના હોદ્દા પર છે અને તેઓ હવામાં ઇંધણ પૂરું પાડતા પરિવહન વિમાન ઇલ્યુસીન ૭૮ના ચાલક છે. તેઓ આગ્રા સ્થિત ૭૮મી સ્ક્વોડ્રનમાં તૈનાત છે. કારગિલ યુદ્ધ દરમિયાન થયેલ ઇજાઓને કારણે તેમને લડાયક વિમાનચાલકમાંથી પરિવહન વિમાનચાલકમાં બદલવામાં આવ્યા હતા.[12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.