ભારતીય અભિનેતા, નિર્દેશક અને લેખક-નાટ્યકાર From Wikipedia, the free encyclopedia
ઉત્પલ દત્ત (બંગાળી: উত্পল দত্ত, ઉત્પોલ દોત્તો (utpôl dôtto)) (29 માર્ચ 1929 – 19 ઓગસ્ટ 1993) ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને લેખક-નાટ્યલેખક હતા. તેઓ મુખ્યત્વે બંગાળી નાટકોના અભિનેતા હતા. 1947માં ‘લિટલ થિયેટર ગ્રૂપ’ની સ્થાપના કરીને તેઓ આધુનિક ભારતીય નાટકોના ક્ષેત્રે પહેલ કરનાર હસ્તી બન્યાં હતા. એક સંપૂર્ણપણે અત્યંત રાજકીય અને સિદ્ધાંતવાદી થિયેટર તરીકે ઉદભવ પામતા પૂર્વે અત્યારે જે ‘એપિક થિયેટર’ તરીકે ઓળખાય છે તે સમયગાળામાં આ ગ્રૂપે ઘણાં અંગ્રેજી, શેક્સપિયર અને બ્રેખ્તના નાટકો ભજવ્યાં હતા. પોતાની માર્કસવાદી વિચારધારાને વ્યક્ત કરવા માટે તેમના નાટકો યોગ્ય સાધન બની ગયા, તેમની વિચારધારા કલ્લોલ (1965), માનુશેર અધિકાર , લૌહા માનોબ (1964), તિનેર તોલોઆર અને મહા-બિદ્રોહા જેવા તેમનાં સામાજિક-રાજકીય નાટકોમાં જોવા મળી હતી. તેમણે પોતાની 40 વર્ષની કારકિર્દીમાં આશરે 100 બંગાળી અને હિંદી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, તેઓ મૃણાલ સેનની ભુવન શોમ (1969), સત્યજિત રેની આગંતુક (1991) અને ગૌતમ ઘોષની પદ્મા નાદિર માઝી (1993) જેવી બંગાળી ફિલ્મો તેમજ ગોલ માલ (1980) અને રંગ બિરંગી (1983) જેવી હિંદી ફિલ્મોમાં પોતાની ભૂમિકા બદલ વધુ જાણીતા બન્યાં હતા[1][2][3][4].
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
તેઓએ 1970માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમણે ત્રણ ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ મેળવ્યા હતા. સંગીત, નૃત્ય અને નાટક માટેની ભારતની રાષ્ટ્રીય સંસ્થા- સંગીત નાટક અકાદમીએ તેમણે નાટકોમાં જીવનપર્યંત આપેલા યોગદાન બદલ 1990માં તેમને પોતાનો સર્વોચ્ચ પુરસ્કાર સંગીત નાટક અકાદમી ફેલોશિપ એનાયત કર્યો હતો.
તેમના પિતા ગિરિજારંજન દત્ત હતા. ઉત્પલ દત્તનો જન્મ 29 માર્ચ 1929ના રોજ શિલોંગ સ્થિત એક હિન્દુ કુટુંબમાં થયો હતો, પ્રારંભમાં તેમણે ત્યાંની સેંટ એડમંડ્સ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું, બાદમાં તેમણે કોલકાતાની સેંટ ઝેવિયર’સ કોલેજિયેટ સ્કૂલથી 1945માં મેટ્રિક પૂરું કર્યું હતું. 1949માં, તેઓ સેંટ ઝેવિયર’સ કોલેજ, કલકત્તા, યુનિવર્સિટી ઓફ કલકત્તામાંથી અંગ્રેજી સાહિત્ય (માનદ) સાથે સ્નાતક થયા હતા[5].
પોતે મુખ્યત્વે બંગાળી નાટકોમાં સક્રિય હોવા છતાં, તેમણે અંગ્રેજી નાટકોમાં પોતાની કારકિર્દી શરૂ કરી. 1940ના દશકમાં તરૂણવયે તેમણે અંગ્રેજી નાટકો માટે લાગણી અને કૌશલ વિકસાવ્યાં, જેના પરિણામે 1947માં ‘ધ શેક્સપિયરન્સ’ની સ્થાપના થઈ. આ સંસ્થાએ પોતાનો સૌપ્રથમ પ્રયોગ શેક્સપિયરનાં રિચાર્ડ ત્રીજા નાટકનો કર્યો હતો, જેમાં દત્ત રાજાનો અભિનય કરતા હતા, તેમના અભિનયથી જ્યોફ્રે કેન્ડલ અને લૌરા કેન્ડલ (અભિનેત્રી જેનિફર કેન્ડલના માતાપિતા) અત્યંત મુગ્ધ થયા હતા, આ બન્ને સતત પ્રવાસ ખેડીને નાટકો ભજવતી ‘શેક્સપિયરન થિયેટર કંપની’ના સૂત્રધાર હતા. તેમણે તાત્કાલિકપણે દત્તને પોતાને ત્યાં રોકી લીધા. ઉત્પલ દત્તે તેમની સાથે ભારત અને પાકિસ્તાનમાં બે વર્ષ લાંબો પ્રવાસ ખેડ્યો અને શેક્સપિયરના નાટકો ભજવ્યાં. તેમની પહેલી ટૂર 1947-49 અને ત્યારબાદ 1953-54માં ટૂર થઈ હતી. ઓથેલોના તામસી અભિનય બદલ તેમને વધાવવામાં આવ્યા હતા. 1949માં જ્યોફ્રે દંપતિએ સૌપ્રથમવાર ભારત છોડ્યું, ત્યારબાદ ઉત્પલ દત્તે પોતાના ગ્રૂપનું નામ બદલીને ‘લિટલ થિયેટર ગ્રૂપ’ (એલટીજી (LTG)) રાખ્યું, અને પછીના ત્રણ વર્ષ દરમિયાન તેમણે ઇબ્સેન, શૉ, ટાગોર, ગોર્કી અને કોન્સટેન્ટિન સિમોનોવના નાટકો ભજવવાનું અને નિર્માણ કરવાનું જાળવી રાખ્યું. આ ગ્રૂપે બાદમાં વિશિષ્ટપણે બંગાળી નાટકો ભજવવાનો નિર્ણય કર્યો અને ક્રમિકપણે વિકાસ સાધીને એક પ્રોડકશન કંપની બની. આ સંસ્થાએ વિવિધ બંગાળી ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. તેઓ ગણનાટ્ય સંઘ નાં સક્રિય સદસ્ય રહ્યાં હતા, જેણે પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં નાટકો ભજવ્યાં હતા.[6].
પોતાના ડાબેરી વલણ માટે જાણીતી સંસ્થા ઇન્ડિયન પિપલ’સ થિયેટર એસોસિયેશન (ઇપ્ટા (IPTA))ના પણ તેઓ સ્થાપક સભ્ય હતા, પરંતુ અમુક વર્ષો બાદ તેમણે આ સંસ્થા છોડી દીધી, અને તે સમયે તેમણે પોતાનું નાટક ગ્રૂપ શરૂ કર્યું. પોતે જેને “એપિક થિયેટર” તરીકે ઓળખાવતા હતા તે નાટકો તેમણે લખ્યાં અને દિગ્દર્શિત કર્યાં. એપિક શબ્દ તેમણે બર્ટોલ્ટ બ્રેખ્ત પાસેથી ઉછીનો લીધો હતો, જેની પાછળ તેમનો આશય બંગાળમાં વિચારવિમર્શ અને પરિવર્તન લાવવાનો હતો. 1948માં તેમની બ્રેખ્ત સોસાઇટીની રચના થઈ, જેના અધ્યક્ષ સત્યજિત રૅ હતા. જૂથ નાટક ચળવળની સૌથી પ્રભાવી વ્યક્તિઓ પૈકીના તેઓ એક હતા. પ્રેક્ષકો નાટકોના ‘સહ-લેખકો’ હોય છે તેવી બ્રેખ્તની માન્યતાનો ઉત્પલ દત્ત સ્વીકાર કરતા હતા, તેવા સમયે તેમણે ‘એપિક થિયેટર’ની રૂઢ પ્રણાલિઓ ભારતમાં અવહેવારું ગણાવીને તેનો ઇનકાર કરી દીધો હતો[7]. તેઓ કોલકાતાની સાઉથ પોઇન્ટ સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક પણ રહ્યાં હતા.
ટૂંક સમયમાં જ તેઓ પોતાની માતૃભાષા બંગાળી તરફ પરત વળ્યાં અને શેક્સપિયરની વિવિધ કરુણાંતિકાઓ તથા રશિયન શૈલીની કૃતિઓનો બંગાળીમાં અનુવાદ કરીને નિર્માણ કર્યું. 1954થી તેમણે વિવાદાસ્પદ બંગાળી રાજકીય નાટકો લખ્યા અને દિગ્દર્શિત કર્યાં, 1957માં મેક્ઝિમ ગોર્કીનું લૉઅર ડેપ્થ્સ પણ કર્યું. 1959માં, એલટીજી (LTG)એ કોલકાતામાં મિનર્વા થિયેટરને ભાડાપટ્ટે મેળવ્યું, જ્યાં કોલસાની ખાણમાં થતા શોષણ પર આધારિત અંગાર (આગ) (1959) ભજવાયું હતું. આગામી દશકમાં, આ ગ્રૂપે અહીં વિવિધ નાટકો ભજવ્યાં, ઉત્પલ દત્ત આ નાટકોના સંચાલક હતા. તેમને હજું પણ ભારતીય રંગમંચના છેલ્લાં પહેલ કરનાર અભિનેતા-સંચાલક તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે આરજો ઓપેરા અને બિબેક યાત્રા સમાજ જેવા જૂથોની પણ રચના કરી હતી.[8]
દરમિયાન, તેમણે ફિલ્મો તરફ પ્રયાણ કર્યું. એકવાર તેઓ ઓથેલોની ભૂમિકા ભજવી રહ્યાં હતા તે સમયે પ્રસિદ્ધ ફિલ્મકાર મધુ બોઝ નાટક જોવા આવ્યાં અને તેમણે પોતાની ફિલ્મ માઇકલ મધુસુદન (1950)માં તેમને મુખ્ય ભૂમિકા આપી, જે ઇન્ડો-એગ્લિયન કવિ માઇકલ મધુસુદન દત્તના જીવન ઉપર આધારિત હતી. બાદમાં, તેમણે વિભાજિત સંસ્થાનવાદી માનસિકતા અને માઇકલ મધુસુદન દત્ત તથા “સંસ્થાનવાદ” પ્રત્યે ઝોક અને “સંસ્થાનવાદ-વિરોધી” બળવાની વચ્ચેની દ્વિધાયુક્ત પરિસ્થિતિ ઉપર એક નાટક લખ્યું હતું. તેમણે સંખ્યાબંધ બંગાળી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં સત્યજિત રેની ઘણી ફિલ્મોનો સમાવેશ થતો હતો.[2]
દત્ત હિન્દી સિનેમામાં પણ અત્યંત પ્રસિદ્ધ રમુજી અભિનેતા હતા, તેમ છતાં તેમણે બહુ થોડી હિન્દી ફિલ્મોમાં જ અભિનય કર્યો હતો. તેમણે કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જે પૈકી સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મોમાં ગુડ્ડી , ગોલમાલ , નરમ ગરમ , રંગ બિરંગી અને શૌકીન નો સમાવેશ થાય છે. તેમણે ગોલમાલ, નરમ ગરમ અને રંગ બિરંગી માટે ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન પુરસ્કાર મેળવ્યો હતો.
બંગાળી સિનેમામાં, તેમણે ભુવન શોમ માં અભિનય કર્યો હતો જે માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો. તેમની અન્ય ફિલ્મોમાં મૃણાલ સેનની એક અધુરી કહાની અને કોરસ ; સત્યજિત રેની આગંતુક , જાને અરણ્યે , જોય બાબા ફેલુનાથ અને હિરક રાજાર દેશે ; ગૌતમ ઘોષની પાર અને પદ્મા નાદિર માઝી ; જેમ્સ આઇવરીની બોમ્બે ટોકી , ધ ગુરુ અને શેક્સપિયરવાલાહ ; રિત્વીક ઘટકની જુક્તી તક્કો આર ગપ્પો ; ઋષિકેશ મુખરજીની ગુડ્ડી , બાસુ ચેટર્જીની સ્વામી અને ગોલ માલ તથા શક્તિ સામંતાની અમાનુષ નો સમાવેશ થાય છે.
હિન્દી સિનેમામાં લોટપોટ કરી મૂકતી રમૂજી ભૂમિકાઓની સાથોસાથ બંગાળમાં અત્યંત ગંભીર નાટ્ય લેખન અને દિગ્દર્શન- આ બન્ને કારકિર્દી વચ્ચે તેમણે સફળતાપૂર્વક સમતુલન જાળવ્યું હતું. 20મી સદીમાં પ્રગતિશીલ બંગાળી નાટકોના તેઓ સૌથી મહાન નાટ્યકાર છે.
"Revolutionary theatre is essentially people's theatre, which means it must be played before the masses,.."
ઉત્પલ દત્ત જીવનપર્યંત માર્કસવાદી રહ્યાં હતાં તથા તેઓ સામ્યવાદી પક્ષ, સીપીઆઇએમ (CPIM) અથવા કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ[9]નાં સક્રિય ટેકેદાર રહ્યાં હતા અને આધુનિક બંગાળી નાટકોમાં તેમનાં ડાબેરીતરફી “ક્રાંતિકારી નાટકો” એક અસામાન્ય ઘટના સમાન હતા. સામ્યવાદી પક્ષની તરફેણમાં તેમણે ઘણાં શેરી નાટકો ભજવ્યાં હતા. 1965માં પશ્ચિમ બંગાળની કોંગ્રેસ સરકારે તેમને કેદ કર્યાં હતા અને સાત મહિના સુધી પૂરી રાખ્યાં હતા, કારણ કે રાજ્ય સરકારને એવો ડર હતો કે રોયલ ઇન્ડિયન નેવીના 1946ના બળવા ઉપર આધારિત દત્તનાં નાટક કલ્લોલ (સમુદ્રી મોજાઓનો અવાજ)નો ગર્ભિત સંદેશો પશ્ચિમ બંગાળમાં સરકાર વિરોધી દેખાવોને પ્રોત્સાહન આપે એવી શક્યતા છે. કલકત્તાના મિનર્વા થિયેટરમાં આ નાટકના શૉ ખીચોખીચ ભરાયેલા રહેતા અને તે મિનર્વા ખાતે ઉત્પલ દત્તનું સૌથી લાંબો સમય ચાલનારું નાટક બન્યું હતું. 1968માં આવેલું માનુષેર અધિકારે (લોકોના હકનું) નાટક બંગાળી નાટ્યજગતમાં અગાઉ ક્યારેય નહીં ભજવાયેલું નવી પેઢીનું દસ્તાવેજી નાટક હતું, અલબત્ત મિનર્વા ખાતે ઉત્પલ દત્તના ગ્રૂપનું આ છેલ્લું નિર્માણ હતું, તેના પછી આ ગ્રૂપે આ થિયેટર છોડી દીધું હતું. ત્યારબાદ, આ ગ્રૂપને તેનું નવું નામ મળ્યું, ‘પિપલ’સ લિટલ થિયેટર’ અને તે સાથે ઉત્પલ દત્તની કારકિર્દીએ નવો વળાંક લીધો, તેમની કૃતિઓ લોકોની નજીક આવી. ભારતીય શેરી નાટકોને લોકપ્રિય બનાવવામાં આ તબક્કાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, કેમ કે ઉત્પલ દત્તે ખુલ્લી જગ્યામાં કોઇ મદદ અથવા સુશોભન વિના જ જંગી મેદની સામે શેરી નાટકો અથવા ‘પોસ્ટર’ નાટકો ભજવવા શરૂ કર્યાં. આ વર્ષમાં, મુખ્યત્વે પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં ભજવાતાં બંગાળી લોક નાટ્યના એક સ્વરૂપ જાત્રા અથવા યાત્રા પાલ તરફ પણ તેઓ વળ્યા. તેમણે જાત્રાની કથા લખવી, નિર્માણ અને તેમાં અભિનય કરવો શરૂ કર્યો, એ ઉપરાંત તેમણે પોતાનું જાત્રા મંડળ પણ બનાવ્યું. તેમના જાત્રા રાજકીય નાટકો ઘણીવાર ખુલ્લું વાતારવરણ ધરાવતા મંચો ઉપર ભજવાતા હતા અને સામ્યવાદી વિચારધારા પ્રત્યે તેમના સમર્પણને પ્રતીકાત્મકરીતે વ્યક્ત કરતા, અને આજે તે ઉત્પલ દત્તના અંતિમ વારસારૂપ છે[10].
1970ના દશક દરમિયાન તેમના ત્રણ નાટકો – બેરિકેડ , દુસ્વપ્નેર નગરી (દુઃસ્વપ્નોનું નગર) અને એબાર રાજાર પાલા (રાજા પ્રવેશે છે) ઉપર સત્તાવાર પ્રતિબંધ મૂકાયો, તેમ છતાં આ નાટકોએ મેદની આકર્ષિત કરી[1][8][11][12].
1964માં જ્યારે ઉત્પલ દત્ત જેલમાં હતા ત્યારે તેમણે લોહ માનબ (લોહપુરૂષ) લખ્યું. આ નાટક 1963માં ખ્રુશ્ચોવ દ્વારા મોસ્કોમાં ભૂતપૂર્વ પોલિતબ્યુરો સદસ્ય અને સ્ટાલિન તરફી એક માણસની વિરુદ્ધ ચાલેલા એક વાસ્તવિક ખટલા ઉપર આધારિત હતું. આ નાટક 1965માં સૌપ્રથમવાર અલીપોર જેલમાં પિપલ’સ લિટલ થિયેટર દ્વારા ભજવાયું હતું. તેમના જેલવાસ દરમિયાન નવા સમયનાં બળવાખોર અને રાજકીય દ્વષ્ટિએ સ્ફોટક નાટકો ઘડાયા, જેમાં આંશિકપણે પિગ્મેલિયન ઉપર આધારિત નાટક તિનેર તોલોઆર (ટિનની તલવાર), દુશપનેર નગરી (દુઃસ્વપ્નોનું નગર), 1931 સ્કોટ્સબોરો બોયઝ કેસમાં સ્કોટ્સબરો ખટલામાં થયેલા જાતિવાદી ભેદભાવ અને અન્યાયની વિરુદ્ધ બળવા ઉપર આધારિત મનુષેર ઓધિકારે (માનવના અધિકાર), સૂર્ય-શિકાર (સૂર્યનો શિકાર) (1978), મહા-બિદ્રોહ (મહાન બળવો) (1989) અને સામ્યવાદના મોત વિશે વાત કરતા અને કાલ્પનિક ઇસ્ટ યુરોપિયન દેશની પૃષ્ઠભૂમિ ધરાવતા નાટક લાલ દુર્ગો (લાલ કિલ્લો) (1990) (વિનાશની લાલ દેવી) તેમજ લાભ માટે ધર્મનો ઉપયોગ કરતા ભારતીય રાજકીય પક્ષો અંગે દુઃખ વ્યક્ત કરતા નાટક જનતાર અફીમ (જનતાનું ઘેન) (1990)નો સમાવેશ થાય છે[4]. ટૂંકમાં તેમણે 22 પૂર્ણ ફલકના નાટકો, 15 પોસ્ટર નાટકો અને 19 જાત્રા કથાનું લેખન કર્યું હતું, 1,000 જેટલા શૉમાં અભિનય કર્યો હતો અને 60થી વધુ નાટકોનું નિર્દેશન કર્યું હતું, આ ઉપરાંત તેમણે શેક્સપિયર, ગિરીશ ઘોષ, સ્ટેનિસ્લાવસ્કી, બ્રેખ્ત અને ક્રાંતિકારી થિયેટરના ગંભીર અભ્યાસોનું લેખન તથા શેક્સપિયર અને બ્રેખ્તની કૃતિઓનો અનુવાદ કર્યો હતો.
તેમણે એક મનોવૈજ્ઞાનિક થ્રીલર મેઘ (1961), ઘૂમ ભંગાર ગાન (1965), બંગાળની યુવા ચળવળ ઉપર આધારિત ઝાર (તોફાન) (1979), બૈસાખી મેઘ (1981), મા (1983) અને ઇન્કિલાબ કે બાદ (1984) જેવી સંખ્યાબંધ ફિલ્મો પણ નિર્દેશિત કરી હતી.
ઉત્પલ દત્ત 19 ઓગસ્ટ, 1993ના રોજ પશ્ચિમ બંગાળના કલકત્તામાં મૃત્યુ પામ્યા [8].
અરબી સમુદ્રમાં બ્રિટિશરો વિરુદ્ધ ભારતીય નાવિકોના બળવાની વાત વણી લેતા ઉત્પલ દત્તનાં ક્લાસીક નાયક કલ્લોલ ને કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું. આ નાટકનાં મંચનના 40 વર્ષ બાદ 2005માં, રાજ્ય સરકારના નાણાકીય સમર્થનથી યોજાયેલા ‘ઉત્પલ દત્ત નાટ્યોત્સવ’ (ઉત્પલ દત્ત નાટક મહોત્સવ)ના ભાગરૂપે તેને ગંગાબોકશે કલ્લોલ તરીકે પુર્નજીવિત કરાયું. કોલકાતાની હૂગલી નદીમાં કિનારાની નજીક બનાવાયેલા એક મંચ ઉપર આ નાટક ભજવાયું હતું[13].
2007માં આવેલી અંગ્રેજી ફિલ્મ ધ લાસ્ટ લીયર ઉત્પલ દત્તના નાટક આજકેર શાહજહાં ઉપર આધારિત હતી જેનું મુખ્ય પાત્ર શેક્સપિયરના નાટકોનો અભિનેતા હોય છે. આ ફિલ્મને રિતુપર્ણો ઘોષે નિર્દેશિત કરી હતી, અને બાદમાં તેને અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
1960માં, દત્તે નાટકો અને ફિલ્મોની અભિનેત્રી શોભા સેન સાથે લગ્ન કર્યાં હતા. તેમની એકમાત્ર પુત્રી બિષ્નુપ્રિયા દત્ત નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ એસ્થેટિક્સ ખાતે થિયેટર હિસ્ટ્રીની અધ્યાપિકા છે.[14]
ઉત્પલ દત્તની ફિલ્મયાત્રાની અપૂર્ણ યાદી આ પ્રમાણે છેઃ
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.