હવા મહેલ
મહેલ / From Wikipedia, the free encyclopedia
હવા મહેલ (હિંદી: हवा महल, અર્થ: "હવાદાર મહેલ" કે “પવનનો મહેલ”), એ જયપુર શહેર, કે જે પશ્ચિમ ભારતમાં આવેલા રાજસ્થાન રાજ્યનું પાટનગર છે, તેમાં આવેલો એક મહેલ છે. મહારાજા સવાઈ પ્રતાપસિંહે ઇ. સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી ૯૫૩ બારીઓ છે, જે સુંદર નક્શીદાર જાળીથી સુશોભિત છે.[1] મહેલની રાણીઓ જે પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદુ જીવન જોઈ શકે એ આ જાળીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.[1][2][3]
હવા મહેલ | |
---|---|
હવા મહેલનો આગળનો ભાગ | |
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | રાજપૂત શૈલીની વાસ્તુકળા |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 26.9239°N 75.8267°E / 26.9239; 75.8267 |
પૂર્ણ | ૧૭૯૯ |
તકનિકી માહિતી | |
બાંધકામ પદ્ધતિ | લાલ અને ગુલાબી રેતીયા પથ્થર |
રચના અને બાંધકામ | |
મુખ્ય કોન્ટ્રાક્ટર | મહારાજા પ્રતાપ સિંહ |
લાલ અને ગુલાબી રેતીયા પથ્થરનો બનેલો આ મહેલ જયપુર શહેરના હાર્દમાં આવેલ વાણિજ્યિક ક્ષેત્રમાં છે. આ જયપુર સીટી પેલેસનો એક ભાગ છે, તે જનાના (રાણીવાસ) સુધી વિસ્તરેલો છે. વહેલી સવારના પહોરમાં સૂર્યના સોનેરી પ્રકાશમાં તે સુંદર દેખાય છે.[2][3]