તમિલનાડુનો ઈતિહાસ
From Wikipedia, the free encyclopedia
આધુનિક ભારતનો તમિલનાડુ પ્રદેશ પ્રાગઐતિહાસિક સમયથી સતત માનવ વસાહત હેઠળ રહ્યો છે તેમજ તમિલનાડુનો ઇતિહાસ અને તમિલ લોકોની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પૂરાણાં ઇતિહાસ-સંસ્કૃતિ પૈકીના એક છે. પાષાણ યુગથી લઈ આધુનિક સમય સુધીના તેના ઇતિહાસમાં, વિવિધ બાહ્ય સંસ્કૃતિઓ સાથે આ પ્રદેશનું સહઅસ્તિત્વ રહ્યું છે. ઇતિહાસના ખૂબ ટૂંકા સમયને બાદ કરતા તમિલ પ્રદેશ વિદેશી શાસનથી સ્વતંત્ર રહ્યું છે.
ચેરા, ચોલા, પાંડ્ય અને પલ્લવ – આ ચાર તમિલ સામ્રાજ્ય પૌરાણિક કુળના હતા. તેમણે એક અનોખી સંસ્કૃતિ અને ભાષા સાથે આ પ્રદેશ ઉપર લગાતાર શાસન કર્યું હતું, વિશ્વભરમાં હજું પણ અસ્તિત્વમાં હોય એવા સૌથી જૂના સાહિત્ય પૈકીનું કેટલાંક સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું હતું. તેઓ રોમન સામ્રાજ્ય સાથે વ્યાપક પ્રમાણમાં સમુદ્રી વેપાર ધરાવતા હતા. આ જમીન ઉપર વર્ચસ્વ સ્થાપવા માટેની રસાકસીમાં તેઓ સતત એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરતાં હતા. ત્રીજી સદીમાં કાલાભ્રાસના આક્રમણે આ ત્રણેય શાસક રજવાડાંને પદભ્રષ્ટ કરીને આ જમીનની પારંપરિક વ્યવસ્થામાં ખલેલ પાડી. પાંડ્ય અને પલ્લવોના પુર્નઉદભવે આ આક્રમણકારોને સત્તા પરથી ઉથલી પડ્યાં અને તેમણે પોતાના પરંપરાગત રાજ્યની ફરી સ્થાપના કરી. નવમી સદીમાં પલ્લવો અને પાંડ્યોને હરાવી પુનઃ ઉદભવ પામીને ચોલ લોકો મહાસત્તા બન્યાં અને તેમના સામ્રાજ્યને દક્ષિણીય દ્વિપકલ્પ સુધી વિસ્તાર્યું. ચોલ સામ્રાજ્યની પરાકાષ્ટાના ગાળામાં આ સામ્રાજ્ય બંગાળના અખાત સુધી લગભગ 3,60,000 ચોરસ કિલોમીટર (1,389,968 ચોરસ માઇલ) વિસ્તારમાં પથરાયેલું હતું. ચોલા નૌકાદળની હાક દક્ષિણપૂર્વ એશિયામાં શ્રી વિજય રજવાડાં સુધી વાગતી હતી.
ઉત્તરપશ્ચિમમાંથી ઉતરી આવેલા મુસ્લિમ સૈન્યના આક્રમણોને કારણે બાકીના સમગ્ર ભારતની રાજકીય પરિસ્થિતિમાં ઝડપી પરિવર્તન થતાં તમિલનાડુના ઇતિહાસમાં મહત્વનો વળાંક આવ્યો. 14મી સદી દરમિયાન ત્રણ પૌરાણિક રાજવંશોની પડતી થઈ તે સાથે, તામિલ દેશ વિજયનગર સામ્રાજ્યનો હિસ્સો બન્યો. આ સામ્રાજ્ય વખતે તેલુગુ બોલનારા નાયક રાજ્યપાલો તમિલ પ્રદેશ ઉપર શાસન કરતા હતા. ટૂંકા સમયગાળા માટે આવેલા મરાઠાઓએ યુરોપની વ્યાપારિક પેઢીઓને રસ્તો કરી આપ્યો. તેઓ 17મી સદીમાં દેખાવા શરૂ થયા હતા અને આખરે તેમણે આ પ્રદેશનાં મૂળ શાસકો ઉપર જીત મેળવી લીધી હતી. મોટા ભાગના દક્ષિણ ભારતને આવરી લેતી મદ્રાસ પ્રેસિડેન્સીની રચના 18મી સદીમાં થઈ અને તેનો વહીવટ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરાતો. ભારતને સ્વતંત્રતા મળ્યાં બાદ, ભાષાકીય હદના આધારે તમિલનાડુ રાજ્યની રચના કરાઈ હતી.
ઢાંચો:TNhistory